અદ્ભૂતઃ આ છે ભગવાન પરશુરામની રહસ્યમય ગુફા
ત્રેતા યુગના ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવ દ્વારા તેમને અપાયેલી પરશુ (ફરસી)ને કારણે તેમનું નામ પરશુરામ પડ્યું.
ત્રેતા યુગના ઋષિ પરશુરામ ભગવાન વિષ્ણુનો છઠ્ઠો અવતાર મનાય છે. પૌરાણિક માન્યતા અનુસાર ભગવાન શિવ દ્વારા તેમને અપાયેલી પરશુ (ફરસી)ને કારણે તેમનું નામ પરશુરામ પડ્યું. ભગવાન પરશુરામ મહર્ષિ જમદગ્નિ અને રેણુકાના પુત્ર હતા. પૌરાણિક માન્યતા એવી પણ છે કે પરશુરામ શસ્ત્રવિદ્યામાં એટલા નિપુણ હતા કે તેમણે બાણાવળી કર્ણ, પાંડવોના ગુરુ દ્રોણ અને ભીષ્ણને પણ શસ્ત્રની તાલીમ આપી હતી. પૌરાણિક લેખોમાં ભગવાન પરશુરામની અનેક પરાક્રમ કથાઓ નોંધાયેલી છે.
આજે આ વિશેષ લેખમાં અમે તેમને એક એવી ગુફા વિશે વાત કરીશું, જેને ભગવાન પરશુરામે પોતાની ફરસીથી બે મોટી શિલાઓ તોડીને બનાવી હતી અને આ જ ગુફામાં તેમણે ભગવાન શિવની કઠોર આરાધના પણ કરી હતી.
પરશુરામ મહાદેવ ગુફા મંદિર
PC- Nkansara
રાજસ્થાનની અરાવલી ટેકરીઓની તળેટીમાં ભગવાન પરશુરામ મહાદેવનું મંદિર આવેલું છે, આ મંદિરની ગણતરી હિન્દુઓના પ્રમુખ તીર્થસ્થાનોમાં થાય છે. પૌરાણિક માન્યતા અનુસાર આ મંદિરનું નિર્માણ ભગવાન પરશુરામે ખુદ પોતાની ફરસીથી બે મહાકાય શિલાઓના ટુકડા કરીને કર્યુ હતું. ખાસ તહેવારોએ અહીં ભક્તોનું ઘોડાપૂર ઉમટે છે.
મનાય છે કે આ એ જ જગ્યા છે, જ્યાં પરશુરામે કઠોર તપ કરીને ભગવાન શિવનું આહ્વાન કર્યું હતું. આજે આ સ્થળ પ્રમુખ શિવધામ તરીકે પણ પ્રચલિત છે. અને તેની સાથે ભગવાન પરશુરામનું નામ પણ જોડાયેલું છે.
ચડવી પડશે 500 સીડી
PC- Nkansara
પહાડી પર બનેલા આ ગુફા મંદિર સુધી પહોંચવા માટે 500 સીડી ચડવી પડે છે. સમુદ્ર સપાટીથી આ મંદિરની ઉંચાઈ લગભગ 3,600 ફૂટ છે. જાણકારો કહે છે કે આ આખી ગુફા એક જ શિલા કાપીને બનાવવામાં આવી છે. ગુફાનો ઉપરનો હિસ્સો ગાયના સ્તન સમાન દેખાય છે. આ ગુફાની અંદર જ આવેલું છે ભગવાન ભોળાનાથનું શિવલિંગ. શિવલિંગની ઉપર ગોમુખ છે, જ્યાંથી કુદરતી રીતે જ શિવલિંગ પર જળાભિષેક થતો રહે છે.
મંદિર ઉપરાંત અહીંના સાદડી વિસ્તારમાં પરશુરામ મહાદેવનો એક બગીચો પણ છે. મંદિરથી કેટલાક કિલોમીટર દૂર માતૃકુંડિયા નામની એક જગ્યા છે, કહેવાય છે કે ભગવાન પરશુરામને માતૃહત્યાના પાપમાંથી અહીં જ મુક્તિ મળી હતી.
અહીં મેળવ્યા હતા દિવ્ય શસ્ત્ર
PC- Nkansara
પૌરાણિક માન્યતાઓ અનુસાર પરશુરામે ભગવાન શિવની કઠોર આરાધના કરીને દિવ્ય શસ્ત્રો મેળવ્યા હતા. આ ગુફા મંદિરની એક દિવાલ પર એક રાક્ષસનું ચિત્ર પણ છે, કહેવાય છે કે આ રાક્ષસનો વધ ભગવાન પરશુરામે પોતાની ફરસીથી કર્યો હતો. પહાડના દુર્ગમ રસ્તાઓ પરથી ભક્તો અહીં મહાદેવના દર્શન કરવા આવે છે. માન્યતા છે કે અહીં સાચા મનથી માનેલી દરેક માનતા પૂરી થાય છે.
મહાશિવરાત્રી અને પરશુરામ જયંતી જેવા દિવસોએ અહીં જાણે માનવ મહેરામણ ઉમટે છે. કુદરતી રીતે જોઈએ તો પહાડ પર આવેલું આ મંદિર ખૂબ જ સુંદર છે. આત્માની અને માનસિક શાંતિ માટે આ જગ્યા આદર્શ સ્થાન મનાય છે.
ગુફા મંદિર સાથે જોડાયેલી માન્યતા
PC- Raja Ravi Varma
પરશુરામના આ ગુફા મંદિર સાથે કેટલીક ધાર્મિક માન્યતાઓ પણ જોડાયેલી છે. એક માન્યતા અનુસાર એ જ વ્યક્તિ ભગવાન બદ્રીનાથના કપાટ ખોલી શકે છે જેણે આ પરશુરામ મહાદેવના દર્શન કર્યા હોય. તો બીજી માન્યતા અહીં શિવલિંગમાં રહેલા એક છિદ્ર વિશે છે. એવું મનાય છે કે શિવલિંગના આ છિદ્રમાં હજારો ઘડા પાણી નાખવા છતાં આ છિદ્ર ભરાતું નથી. પરંતુ દૂધનો અભિષેક કરીએ તો છિદ્રમાં દૂધ જતું જ નથી.
પૌરાણિક માન્યતા એવી પણ છે કે આ જ જગ્યાએ પરશુરામે કર્ણને શસ્ત્રોની તાલીમ આપી હતી. શ્રાવણ માસમાં આ મંદિર પાસે ભવ્ય મેળાનું આયોજન થાય છે, જેમાં ભાગ લેવા દેશભરમાંથી કરોડો શ્રદ્ધાળુઓ અહીં ધામા નાખે છે.
કેવી રીતે પહોંચશો
PC- Shuklamayank330
પરશુરામ ગુફા મંદિર કુંભલગઢ કિલ્લાથી લગભગ 9 કિલોમીટર દૂર સાદરી-પરશુરામ ગુફા રોડ પર આવેલું છે. અહી જુદા જુદા ત્રણ રસ્તાઓથી પહોંચી શકાય છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું એરપોર્ટ ઉદયપુરનું છે.
તો સૌથી નજીકનું રેલવે સ્ટેશન છે ફલના કે રાની રેલવે સ્ટેશન. તમે ઈચ્છો રોડ રોડ દ્વારા પણ આ મંદિરના દર્શન માટે જઈ શખાય છે. પરશુરામ ગુફા મંદિર રાજસમંદ જિલ્લામાં આલું છે, જ્યાં ઉદયપુરના રસ્તે બસ કે ટેક્સી દ્વારા સહેલાઈથી પહોંચી શકાય છે.