અદભૂતઃ અહીં ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે થયું હતું યુદ્ધ
મહારાષ્ટ્રના પૂણેમાં લેણ્યાદ્રી નામની એક ઐતિહાસિક જગ્યા છે, જ્યાં પર્વતને તોડીને 30 જેટલી બૌદ્ધ ગુફાઓ બનાવાયેલી છે.
મહારાષ્ટ્રના પૂણેમાં લેણ્યાદ્રી નામની એક ઐતિહાસિક જગ્યા છે, જ્યાં પર્વતને તોડીને 30 જેટલી બૌદ્ધ ગુફાઓ બનાવાયેલી છે. પૂણેના નાસિક રોડ પર જુન્નર પાસે આવેલી આ ગુફાઓ સુધી પહોંચવા માટે 321 સીડીઓ ચડવી પડે છે. ઐતિહાસિક મહત્વ અને રિસર્સ માટે આ સ્થળની ભારતીય પુરાતત્વ વિભાગ દ્વારા દેખરેખ રાખવામાં આવે છે.
આ ગુફાઓના પ્રચાર-પ્રસાર માટે હવે અહીં પ્રવાસીઓને પણ આવવાની છૂટ છે. ગુફામાં પ્રવેશ માટે દરેક મુલાકાતીએ ટિકિટ લેવી ફરજિયાત છે. અહીંની પ્રાચીન ગુફાઓ સુંદર છે, અને ગુફાની આસપાસના વિસ્તારનું રમણીય કુદરતી દ્રશ્ય આ સ્થળને અદભૂત બનાવે છે.
જેમને ઐતિહાસિક સ્થળ જોવાનો શોખ હોય, તેમના માટે આ સ્થળ સ્વર્ગથી ઓછું નથી. મનાય છે કે એક જમાનામાં આ ગુફાઓમાં બોદ્ધ ભિક્ષુઓ સાધના કરતા હતા. તો ચાલો આ લેખમાં જાણીએ ગુફાનું પૌરાણિક મહત્વ અને વિશેષતાઓ.
321 સીડીઓની સફર
PC- Niemru
લેણ્યાદ્રીની 30 ગુફાઓમાંથી હવે માત્ર ગણતરીની ગુફાઓ જ જોવાલાયક બચી છે. બાકીની ગુફાઓ સમયની સાથે પોતાનું અસ્તિત્વ ખોઈ ચૂકી છે. અહીં આવેલી 7 નંબરની ગુફા એક હિન્દુ મંદિર તરીકે ઓળખાય છે. આ ગુફાની અંદર ભગવાન ગણેશની પ્રતિમા સ્થાપિત છે. તેને અષ્ટવિનાયક મંદિરોમાંથી પણ એક માનવામાં આવે છે. મહારાષ્ટ્રમાં ગણેશજીના આઠ પ્રમુખ મંદિરોને અષ્ટવિનાયક મંદિર તરીકે ઓળખાય છે.
લેણ્યાદ્રીની ગુફાઓ પહેલીથી ત્રીજી સદીના સમય દરમિયાન બની હોવાનું મનાય છે. એક માન્યતા પ્રમાણે ગુફામાં આવેલું અષ્ટવિનાયક મંદિર પહેલી સદીમાં નિર્માણ પામ્યુ હશે.
કેટલીક પસંદ કરેલી ગુફાઓ સિવાય બાકીની ગુફાઓ સામાન્ય છે, જેને સંખ્યાના આધારે ઓળખવામાં આવે છે. આ ગફાઓ એક પહાડ પર બનેલી છે, એટલે અહીં સુધી પહોંચવા માટે 321 સીડીઓ ચડવી જરૂરી છે.
લેણ્યાદ્રીના ગિરિજાત્મજ ગણપતિ
PC-Magiceye
લેણ્યાદ્રીની ગુફાઓ અષ્ટવિનાયક મંદિર અને બૌદ્ધ વિહારને કારણે જાણીતી છે. અહીં બિરાજમાન ગણેશ ભગવાનની ગણતરી મહારાષ્ટ્રના અષ્ટવિનાયક મંદિરોમાં થાય છે. દરરોજ અહીં મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓની ભીડ ઉમટે છે. અહીં બિરાજમાન ગણેશજીને ગિરિજાત્મજ ગણપતિ તરીકે ઓળખાય છે.
ગિરિજાત્મજ, માતા પાર્વતીના નામ સાથે જોડાયેલું છે. ગિરિજાત્મજ એટલે માતા પાર્વતીના પુત્ર. પૌરાણિક દંતકથા અનુસાર આ પહાડીઓમાં ક્યારેક માતા પાર્વતી નિવાસ કરતા હતા.
માતા પાર્વતીની તપસ્યા
PC- Aitijhya
આ ગુફાઓ નજીક જળ કુંડ પણ હતા, જ્યાં માતા પાર્વતી સ્નાન કરતા હતા. આજે પણ આ કુંડ અહીં આવેલો છે. આ એ જ સ્થળ છે જ્યાં શિવજી માતા પાર્વતીને મળવા પહોંચ્યા હતા અને બાલ ગણેશે તેમને અટકાવ્યા હતા. જે બાદ ભગવાન શિવ અને ગણેશજી વચ્ચે યુદ્ધ થયું, જેમાં શિવજીએ ગણેશજીનું માથુ ધડથી અલગ કરી નાખ્યું હતું.
પૌરાણિક લેખોમાં આ સ્થળનો ઉલ્લેખ જીર્ણપુર અથવા લેખન પર્વત તરીકે છે. લેણ્યાદ્રી નામ પાછળ પણ એક અર્થ છુપાયેલો છે. અહીં ભગવાન ગણેશ ગુફાઓમાં બિરાજમાન છે, અને ગુફાઓને ‘લેણી' પણ કહે છે.
પૌરાણિક માન્યતા અનુસાર પુત્ર પ્રાપ્તિ માટે માતા પાર્વતીએ અહીં 12 વર્ષ સુધી આકરું તપ કર્યું હતું. જે બાદ ભગવાન ગણેશનો જન્મ થયો હતો. મનાય છે કે ગુફા નંબર સાતમાં ભગવાન ગણેશની જે મૂર્તિ છે તે સ્વયંભૂ છે, એટલે કે ખુદ ગણેશજી અહીં પ્રતીક રૂપે જાતે પ્રગટ થયા હતા.
બૌદ્ધ ધર્મ સાથે સંબંધ
PC- Kevin Standage
ગુફા નંબર 7 સિવાયની બાકીની ગુફાઓ બૌદ્ધ ધર્મ સાથે સંકળાયેલી છે. આ ગુફાઓમાં બનેલા મોટા ભાગના રૂમ બૌદ્ધ ભિક્ષુઓ દ્વારા સાધના માટે ઉપયોગમાં લેવાતા હતા. અહીં દરેક ગુફાનો આકાર અને ડિઝાઈન સરખી જ છે, એટલે જ તેમને નંબર અપાયા છે.
ગુફા નંબર 7 માં સ્થાપિત ગણેશ મૂર્તિ વિશે વધુ માહિતી તો નથી મળતી, પરંતુ આ ગુફાને સૌથી પ્રાચીન માનવામાં આવે છે.
કેવી રીતે પહોંચશો
PC- Kevin Standage
લેણ્યાદ્રીની ગુફા પૂણે જિલ્લાના જુન્નરથી લગભગ 5 કિલોમીટર દૂર છે. મુલાકાતીઓ પૂણે અને મુંબઈથી બસ કે ટેક્સીમાં જુન્નર પહોંચી શકે છે. જુન્નરથી લેણ્યાદ્રી સુધી આસાનીથી પહોંચી શકાય છે. જો કે લેણ્યાદ્રી જવા માટે ખાનગી ટેક્સી કે કેબ વધુ સરળ ઉપાય છે. અહીં પહોંચવા માટે સૌથી નજીકનું રેલવે સ્ટેશન પૂણે છે. તો પ્લેન દ્વારા આવનાર મુસાફરો માટે પણ પૂણે એરપોર્ટ થઈને આવવું સરળ છે.