306 ખેડૂતોએ મળીને બનાવી કંપની, ભાવ તોડવાની વેપારીઓની રમતનો પ્રતિકાર કરી મેળવશે પોષણક્ષમ ભાવ
વિસાવદર પંથકના 306 ખેડૂતોએ 4000 વિઘા જમીનમાં ખેતી કરીને પોતાના પાકનુ વેચાણ પોતાની જ કંપની દ્વારા થાય તે માટે એક કંપનીની સ્થાપના કરી છે.
અમદાવાદઃ અનાજ અને શાકભાજી કે તેલીબિયા પેદા કરતા ખેડૂતોને રાત-દિવસ મહિનાઓ સુધી મહેનત કર્યા પછી પણ પોષણક્ષમ ભાવ ન મળતા હોવાથી વિસાવદર પંથકના 306 ખેડૂતોએ 4000 વિઘા જમીનમાં ખેતી કરીને પોતાના પાકનુ વેચાણ પોતાની જ કંપની દ્વારા થાય તે માટે એક કંપનીની સ્થાપના કરી છે. આ કંપની બનાવવાનો હેતુ સહિયારી ખેતી અને સહિયારો વેપાર કરવાનો છે. વિસાવદર તાલુકા ખેત સહકારી મંડળી લિમિટેડ નામથી આ કંપનીની સ્થાપના કરવામાં આવી છે જેમાં 306 ખેડૂતોને શેરહોલ્ડર બનાવવામાં આવ્યા છે.

તમને જણાવી દઈએ કે ખેડૂતોને દિવસ-રાત એક કરીને મહેનત કર્યા બાદ પોતાના પાકનો યોગ્ય ભાવ નથી મળતો માટે ખેડૂતોએ વેપારીઓની સિઝનમાં ભાવ તોડવાની રમતનો પ્રતિકાર કરવા માટે પોતાની ઉપજનો પોતે જ વેપાર કરવાનો નિર્ણય કર્યો છે. કંપની સીધો જ બજારમાં વેપાર કરશે અને વેપારીઓની સંગ્રહખોરી અને નફાખોરીથી બચશે. ખેડૂતોના પાકનુ શોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગનુ કામ પણ આ જ કંપની કરશે. સાથે બ્રાંડિંગનુ આયોજન કરી વેલ્યુ એડ પણ કરશે. 306 ખેડૂતોની જમીનમાં જ તેઓ શોર્ટિંગ, ગ્રેડિંગ માટેના એકમો અને પેકિંગ માટેના એકમો તૈયાર કરશે. શોર્ટિંગ અને ગ્રેડિંગ કરીને તેનુ વેચાણ પણ આ જ કંપની દ્વારા કરવામાં આવશે.
306 ખેડૂતોની આ કંપની પોતાની ઉપજના વેચાણ માટે સેલ્સ એક્ઝીક્યુટીવ્ઝની ટીમ પણ તૈયાર કરશે. પાકનુ શોર્ટિંગ, ગ્રેડિંગ અને પેકિંગ કરીને તેનુ સેલ્સમેન મારફતે વેચાણ કરાવવામાં આવશે. હાલમાં નાના પાયે શરુઆત કરવામાં આવી છે. ભવિષ્યના વર્ષોમાં તેને કૉર્પોરેટ કંપનીનુ સ્વરૂપ આપવાનુ આયોજન કરવામાં આવ્યુ છે. ઉપજ પેદા થાય એટલે વેપારીઓ બજારમાં ભાવ તોડી નાખતા હોય છે. જેના કારણે પોતાના ટ્રેક્ટરમાં કે ભાડાના ટ્રેક્ટરમાં માલ લઈને બજારમાં ગયેલા ખેડૂતો ટ્રેક્ટરનુ ભાડુ માથે ન પડે તે માટે ખેડૂતોને નીચા ભાવે તેમનો માલ વેચી દેવાની ફરજ પડે છે અને આનો લાભ વેપારીઓ ઉઠાવે છે.
દરેક સિઝનમાં વેપારીઓની આવી રમતનો પ્રતિકાર કરવા માટે વિસાવરદના ખેડૂત નાગજી ભાયાણીના નેતૃત્વ હેઠળ 306 ખેડૂતોએ મળીને આ કંપનીની સ્થાપના કરવાનો નિર્ણય કર્યો છે. કંપનીના સ્થાપક નાગજી ભાયાણીનુ કહેવુ છે કે નવી સ્થપાયેલી કંપની તેમના દરેક ખેડૂતનો માલ લઈને તે જ માલને વેર હાઉસમાં પણ મુકશે અને વેરહાઉસ રિસિપ્ટ પર લોન લઈને ખેડૂતને તેમની જરુરિયાત મુજબ પૈસા ચૂકવશે. તેમના માલને સાચવવા કોલ્ડ સ્ટોરેજ પણ બનાવશે. કંપની ખેડૂતો માટે ખાતર અને બિયારણની ખરીદી પણ કરશે.












Click it and Unblock the Notifications
