ખર્ચાળ ગણાતી કપાસની ખેતીને ઝીરો ખર્ચમાં કરી દેખાડી, મળો ઓર્ગેનિક ખેતી કરીને વિદેશો સુધી છવાયેલા ખેડૂતને
ભારત સહિત દુનિયાના તમામ દેશો ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જના કારણે પરેશાન છે. ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જની સૌથી વધુ અસર ખેડૂતોને થાય છે. જો કે આજે આપણે એક એવા ખેડૂત વિશે વાત કરવાના છીએ જે ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ જેવી સમસ્યાઓને સીધી ટક્કર આપી રહ્યા છે અને કોઈપણ જાતના વધારાના ખર્ચ વગર સફળ ખેતી કરી રહ્યા છે.

આ ખેડૂતની કહાનીની શરૂઆત 2018 થી થાય છે. યુરોપિયન દેશ બેલ્જિયમની રાજધાની બ્રુસેલ્સમાં દુનિયાના કેટલાક લોકો ગ્લોબલ કોટન સમિટના નામે એક મંચ પર એકઠા થાય છે. આ મંચ પર ઘણા બધા ખેતી નિષ્ણાતોની વચ્ચે એક વ્યક્તિની નોંધ લેવાય છે. આ વ્યક્તિ એટલે બીજુ કોઈ નહીં પણ ગુજરાતના સુરેન્દ્રનગર જિલ્લાના ધ્રાંગધ્રા તાલુકાના હરિપર ગામના ખેડૂત વિનોદભાઈ પટેલ હતા.
વિનોદભાઈ પટેલ આ સમિટમાં બોલાવાયેલા માત્ર ત્રણ ખેડૂતોમાંથી એક હતા. અહીં આ ત્રણ ખેડૂતોએ તેમના અનુભવોને લોકો સામે રાખ્યા. તેમાંથી ત્યાં હાજર તમામ લોકોએ એક વાત સ્વીકારી કે વિનોદભાઈ પટેલની પ્રાકૃતિક કપાસની ખેતી પદ્ધતિ પુરી દુનિયાને ઓછા ખર્ચે અને કેમિકલ મુક્ત કપાસનું સારૂ ઉત્પાદન આપી શકે તેમ છે.
વિનોદભાઈ પટેલ એવુ તો શું કરી રહ્યા છે કે જેની નોંધ વિદેશો સુધી લેવાઈ?
ગુજરાતમાં કપાસ પકવતા ખેડૂતો આજે મોટી સમસ્યાઓમાંથી પરેસાન થઈ રહ્યા છે. એક તરફ ગ્લોબલ વોર્મિંગ અને ક્લાઈમેટ ચેન્જ તેમજ બીજી તરફ વિવિધ રોગોને લઈને મોટા ખર્ચા થઈ રહ્યા છે અને ઉત્પાદન સતત ઘટી રહ્યા છે ત્યારે વિનોદભાઈએ કોઈપણ પ્રકારની દવા અને રાસાયણિક ખાતર વગર કપાસની 100 ટકા ઓર્ગેનક ખેતી કરી દેખાડી છે.
વિનોદભાઈ જણાવે છે કે, તે છેલ્લા 8 વર્ષથી ઓર્ગેનિક ખેતી કરી રહ્યા છે અને આજે તેમના ખેતરમાં રાસાયણિક દવાઓ અને ખાતર લાવવાની મનાઈ છે. તે માત્ર દેશી ખાતરનો ઉપયોગ કરીને મબલખ ઉત્પાદન મેળવી રહ્યા છે.
કોઈપણ પ્રકારના રાસાયણિક ખાતર કે દવાનો ઉપયોગ કરતા નથી
અમે જ્યારે વિનોદભાઈને પુછ્યુ કે તમે તમારા ખેતરમાં આ રાસાયણિક ખાતરોની જગ્યાએ કેવી વસ્તુઓનો ઉપયોગ કરો છો તો તેમનો જવાબ દરેક ખેડૂતોએ સાંભળવા જેવો છે. વિનોદભાઈએ જણાવ્યુ કે, તે તેમના ખેતરમાં ગાયના ગોબરમાથી બનેલા દેશી ખાતર અને પાનખર ઋતુમાં ઝાડના પાન એકઠા કરીને તેમાંથી એક ખાતર બનાવીને આપે છે. આ સિવાય તે કોઈપણ પ્રકારના ખાતર આપતા નથી.
ખેતી માટે રાસાણયિક ખાતરોની નહીં પરતું ઓર્ગેનિક કાર્બનની જરૂર છે
અહીં હવે ખેડૂતોને સવાલ થાય કે રાસાયણિક ખાતર વગર ઉત્પાદન આવે ખરૂ? તો આ સવાલના જવાબમાં વિનોદભાઈ પ્રકૃતિના સાયન્સને સમજવાતા એક સારી વાત જણાવે છે. તેમને જણાવ્યુ કે, ખેતી કરવા માટે ખાતર અને દવા નહીં પણ ઓર્ગેનિક કાર્બન અને માઈક્રો ક્લાઈમેન્ટની જરૂર પડે છે.
હવે તમને સવાલ થાય કે આ ઓર્ગેનિક કાર્બન છે શું અને કેવી રીતે ખેતીમાં ઉત્પાદન વધારવામાં મદદ કરે તો આ સવાલના જવાબમાં વિનોદભાઈ જણાવે છે કે, પહેલાના સમયમાં ખેતીમાં કોઈપણ પ્રકારના દવા કે ખાતરની જરૂર નહોતી પડતી, કેમ કે એ સમયે જમીનનું સંતુલન જળવાઈ રહેતુ હતુ. હવે આ સંતુલન બગડી રહ્યું છે અને તેની પાછળ દવાઓ અને ખાતરનો આડેધટ ઉપયોગ છે.

ઓર્ગેનિક કાર્બનનું ખેતીમાં કામ શું?
વિનોદભાઈએ જણાવ્યુ કે, તેમને ખેતી શરૂ કરી ત્યારે તેમના ખેતરમાં ઓર્ગેનિક કાર્બનની ટકાવારી માત્ર 0.3 ટકા આસપાસ હતી અને આજે આ ટકાવારી 1.5 ટકા આસપાસ પહોંચી છે. ઓર્ગેનિક કાર્બનનું સૌથી મોટુ કામ છોડની ઈમ્યુનિટી વધારવાનું છે. જો છોડની ઈમ્યુનિટી સારી હશે તો ઘણા રોગ આવતા પહેલા જ અટકી જશે.
ઓર્ગેનિક કાર્બન વધારવો કેવી રીતે?
હવે એક સવાલ એ થાય કે ઓર્ગેનિક કાર્બન વધારવો કેવી રીતે? તો આ સવાલનો જવાબ આપતા વિનોદભાઈ જણાવે છે કે, તે જમીનમાં કપાસ સહિતના પાકો સાથે કઠોળ વર્ગના પાકોનું વાવેતર કરે છે. આ પાકોમાંથી જે કંઈ પાકે તે લઈ લેવાનું ત્યારબાદ તેનો બાયો વેસ્ટ એટલે કે કચરો જમીનમાં રહેવા દેવાનો. આ કચરાના કારણે સમય જતા ઓર્ગેનિક કાર્બનની ટકાવારી વધવા લાગે છે.
માઈક્રો ક્લાઈમેન્ટ
ઓર્ગિનિક કાર્બન સિવાય વિનોદભાઈ ઓર્ગેનિક ખેતીમાં માઈક્રો ક્લાઈમેન્ટ પર વિશેષ ભાર મુકે છે. વિનોદભાઈએ જણાવ્યુ કે, તેમને ઓર્ગેનિક ખેતી શરૂ કરી ત્યારે સૌથી પહેલા તેમના ખેતરની ફરતી બાજુઓ એક વિવિધ ઝાડના એગ્રો ફોરેસ્ટનું નિર્માણ કર્યુ. આ એક એવી રચના છે જે ખેતરની ફરતે એક કુદરતી દિવાલનું કામ કરે છે.

એગ્રો ફોરેસ્ટિંગ ખેતીમાં કેટલુ મહત્વનું?
વિનોદભાઈ ખેડૂતોને ટાંકીને જણાવે છે કે મોટાભાગના ખેડૂતો તેમના ખેતરની ફરતે રહેલા શેઢા-પાળાને સળગાવીને સાફ કરી દે છે. વિનોદભાઈ આમ ન કરવાની ભલામણ કરે છે. તેમના અનુભવ પ્રમાણે તે જણાવે છે કે, આ કુદરતી દિવાલ પાકને ઘણા રોગોથી બચાવે છે.
મિત્ર કિટકોને રહેવા માટેની જગ્યા
વિનોદભાઈ જણાવે છે કે, જ્યારે ખેતરમાં કોઈ પાક હોતો નથી ત્યારે મિત્ર કિટકોને રહેવા માટે જગ્યા મળતી નથી અને તેનો નાશ થઈ જાય છે. તેથી જો શેઢા પાળા હશે તો આ કિટકો ત્યાં રહી શકશે. આ સિવાય વિનોદભાઈ એગ્રો ફોરેસ્ટિંગનું મહત્વ સમજાવતા કહે છે કે આ ઉંચી દિવાલ ખેતરમાં હવાનું દબાળ જાણવી રાખશે તેમજ બાજુમાંથી ઉડીને આવતા શત્રુ કિટકોને રોકશે. આ દિવાલના ઝાડ ઉનાળામાં મોટા પ્રમાણમાં પાંદડા ખેરવશે અને તેમાંથી ઉત્તમ દેશી ખાતર તૈયાર કરીને પાકને આપી શકાય છે
તમને જાણીને નવાઈ લાગશે કે વિનોદભાઈ આજે કોઈપણ ખર્ચ વગર આજે બીજા ખેડૂતોને સમકક્ષ ઉત્પાદન લઈ રહ્યા છે. વિનોદભાઈની ખેતી પદ્ધતિ બીજા ઘણા ખેડૂતો માટે પ્રેરણારૂપ બની છે અને આ ખેડૂતો પણ તેમના માર્ગદર્શનમાં ખેતી કરતા થયા છે.












Click it and Unblock the Notifications
