નવી દિલ્લીઃ ઉત્તમ ગુણોથી યુક્ત સંતાનની પ્રાપ્તિ કરવી દરેક દંપત્તિનુ સપનુ હોય છે પરંતુ યોગ્ય માહિતી ન હોવાથી અને ખોટા સમયે યૌન સંબંધ બનાવી લેવાથી દુષ્ટ પ્રકૃતિના સંતાનો પેદા થઈ જાય છે. શાસ્ત્રોમાં સાયંકાળ એટલે કે સંધ્યા કાળે યૌન સંબંધ બનાવવા વર્જિત ગણવામાં આવ્યુ છે પરંતુ મહર્ષિ કશ્યપની પત્ની દિતીના કામાગ્નિથી પીડિત થવા પર સંધ્યા કાળના સમયે બનેલા સંબંધોના કારણે હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે ભયંકર દૈત્ય પ્રકૃતિના પુત્રો ઉત્પન્ન થયા હતા જેનો સંહાર કરવા માટે ભગવાન વિષ્ણુને નૃસિંહનો અવતાર ધારણ કરવો પડ્યો. આવો, જાણીએ આખી કથા.
મહર્ષિ કશ્યપ સંધ્યા કાળે હોમ હવન કરવા માટે બેઠા. એ વખતે તેમની પત્ની દિતી આવી અને તેણે મહર્ષિ કશ્યપને કહ્યુ - હે ભગવાન! મને કામાગ્નિ પીડિત કરી રહી છે માટે તમે ઋતુદાન કરો. આના પર મહર્ષિ કશ્યપે કહ્યુ - દેવી! આ સંધ્યા કાળનો સમય છે. આ હવન કાર્ય અને દેવ પૂજાનો સમય છે. તમે થોડી વાર ધીરજ રાખો. હવન સંપન્ન કર્યા પછી હું તમારી સાથે રમણ કરીશ. આ સમયે સહવાસ કરવાથી દેવતાઓ અને ધર્મ વિરોધી દુષ્ટ સંતાન પેદા થશે. સ્વામીની વાત સાંભળીને દિતી હાથ જોડીને તેમના ચરણોમાં પડી ગઈ અને લાલ નેત્રોવાળી થઈને બોલી - હે મુનિ! આ સમયે જો તમે મારી કામાગ્નિને શાંત નહિ કરો તો કામદેવની અગ્નિથી પીડિત હું પોતાના પ્રાણ ત્યજી દઈશુ. ભલે ગમે તેવી સંતાન પેદા થયા પરંતુ મારી અભિલાષા તમારે અત્યારે પૂરી કરવી પડશે. દિતીની આવી વાતો સાંભળીને મહર્ષિ કશ્યપે તેની સાથે સહવાસ કર્યો અને પછી સ્નાનાદિ કરીને પોતાના હવનમાં રત થઈ ગયા.
કાલાંતરમાં દિતીને મહાન બળશાળી, ત્રણે લોકમાં જીતનાર, દેવતાઓના વિરોધી હિરણ્યાક્ષ અને હિરણ્યકશિપુ નામના બે પુત્રો ઉત્પન્ન થયા. આ બંનેએ અનેક વર્ષો સુધી માત્ર પોતાના અંગૂઠાના બળ પર ઉભા રહીને ભગવાન શિવની ઘોર તપસ્યા કરી. બંનેની તપસ્યાથી પ્રસન્ન થઈને જ્યારે ભગવાન શિવ પ્રગટ થયા તો એ બંનેએ આશીર્વાદ માંગ્યા કે દેવતાઓ, યક્ષો, રાક્ષસો, કિન્નરો, શ્રેષ્ઠ મનુષ્યો, પિશાચો તથા ચારણ વગેરે કોઈ પણ યોનિના પ્રાણી દ્વારા અમારુ મૃત્યુ ન થાય. ન શસ્ત્રોથી, ન ભીના પદાર્થોથી, ના સૂકા પદાર્થોથી, ના કોઈ જીવજંતુથી અને ના કોઈ જળચરથી. અન્ય કોઈ પ્રાણીથી અમારુ મૃત્યુ ન થાય. ના પૃથ્વીમાં, ના આકાશમાં, ના એ બંનેની મધ્ય, ના ઉષાકાળમાં અમારુ મૃત્યુ થાય. ત્યારે શિવજીએ કહ્યુ કે આવુ જ થશે અને અંતર્ધ્યાન થઈ ગયા.
કાલાંતરમાં હિરણ્યકશિપુને પ્રહલાદ નામનો એક પુત્ર ઉત્પન્ન થયો જે ભગવાન વિષ્ણુનો અનન્ય ભક્ત હતો. પ્રહલાદના તપથી પ્રસન્ન થઈને ભગવાન વિષ્ણુ નૃસિંહના રૂપમાં પ્રગટ થયા અને હિરણ્યકશિપુનો વધ કર્યો. કાલાંતરમાં પ્રહલાદનો પુત્ર વિરોચન થયો અને વિરોચનનો પુત્ર રાજા બલિ.