કાબુલ : અફઘાનિસ્તાનમાં પાકિસ્તાન અને તાલિબાન સામે મોટા પાયે બળવો થવાની સંભાવના છે. પાકિસ્તાન સામે લોકોનો રોષ સતત વધી રહ્યો છે. આજે તાલિબાનના ડર વગર અફઘાનિસ્તાનના ઘણા ભાગોમાં હજારો લોકો રેલી કાઢી રહ્યા છે, જેમાં પાકિસ્તાન મુર્દાબાદ અને આઝાદીના નારા લગાવવામાં આવી રહ્યા છે. આ સાથે એવા અહેવાલો છે કે, આ રેલીમાં તાલિબાન તરફથી ગોળીઓ ચલાવવામાં આવી છે. મહિલાઓની રેલી પર હવાઈ ગોળીબાર કરવામાં આવ્યો છે.
શું અફઘાનમાં ગૃહયુદ્ધ થશે? પાકિસ્તાનનો વિરોધ કરતી મહિલાઓની રેલી પર તાલિબાનોએ ગોળીઓ વરસાવી
પાકિસ્તાન સામે રોષ ફાટી નીકળ્યો
પાકિસ્તાને જે રીતે અફઘાનિસ્તાનમાં તાલિબાનને સમર્થન કરી રહ્યું છે, તેનાથી અફઘાનિસ્તાનના લોકોમાં ભારે રોષ છે અને સોશિયલ મીડિયા પર પાકિસ્તાન પર પ્રતિબંધની સતત માંગ કરી રહ્યા છે. તાલિબાનના ડર વગર મહિલાઓએ આજેરાજધાની કાબુલમાં એક મોટી રેલીનું આયોજન કર્યું હતું.
બીબીસીના એક રિપોર્ટરે રેલીનો વીડિયો ટ્વિટ કર્યો છે, જેમાં સેંકડો મહિલાઓ શેરીઓમાં આઝાદી અને સ્વતંત્રતાના અને પાકિસ્તાન વિરુદ્ધ નારા લગાવતી જોવા મળી રહી છે. એવા અહેવાલો છે કે, આતંકવાદી સંગઠન તાલિબાન મહિલાઓની આ રેલીને લઈને ખૂબ જ ગુસ્સે થઈ ગયું છે અને તેણે મહિલાઓની રેલી પર ગોળીબાર કરવાના આદેશો આપ્યા છે. સમાચાર એજન્સીના અહેવાલ મુજબ આ રેલીને રોકવા માટે તાલિબાન દ્વારા ગોળીઓ ચલાવવામાં આવી છે.
તાલિબાન સાથે પાકિસ્તાન
પાકિસ્તાન હવે તાલિબાનના સમર્થનમાં ખુલ્લેઆમ બહાર આવ્યું છે. પાકિસ્તાન ઈન્ટેલિજન્સ એજન્સીના વડા ફૈઝ હમીદે બે દિવસ પહેલા કાબુલની મુલાકાત લીધી હતી અને પાકિસ્તાની વાયુસેના સાથે તાલિબાનને પંજશીર જીતવામાં મદદ કરવાની વાત કરી હતી. જે બાદ પાકિસ્તાની વાયુસેનાએ આગલા દિવસે પંજશીરમાં તાલિબાન વિરોધી દળ પર બોમ્બમારો કર્યો હતો.
પાકિસ્તાની હેલિકોપ્ટરની તસવીર સામે આવતાની સાથે એ પણ પુષ્ટિ થઈ ગઈ છે કે, પાકિસ્તાન આખી દુનિયા સાથે બેવડી રમત રમી રહ્યું છે. પાકિસ્તાન આતંકવાદી સંગઠનને સીધી મદદ કરી રહ્યું છે. નોર્થન એલાયન્સના ચીફ કમાન્ડર સાલેહ મોહમ્મદના મૃત્યુ બાદ તાલિબાનોએ દાવો કર્યો હતો કે, તાલિબાન દ્વારા પંજશીરનો પરાજય થયો હતો. પંજશીર અત્યાર સુધી એવો કિલ્લો હતો, જેને સોવિયત યુનિયન પણ જીતી શક્યું ન હતું, પરંતુ તાલિબાનોએ પાકિસ્તાન એરફોર્સ અને ISIની મદદથી પંજશીરને હરાવ્યું હોવાનો દાવો કર્યો હતો.
પાકિસ્તાનના હસ્તક્ષેપથી ઈરાન ખફા
તાલિબાનને સીધી મદદ કરવા બદલ ઈરાને પાકિસ્તાન પર આકરા પ્રહારો કર્યા છે અને વૈશ્વિક સમુદાયને તાકીદે પાકિસ્તાન સામે પગલાં લેવાની વિનંતી કરી છે. ઈરાને પાકિસ્તાની વાયુસેનાના હુમલા બાદ માર્યા ગયેલા નોર્થન એલાયન્સના નેતાઓને શ્રદ્ધાંજલિ આપી છે. સોમવારના રોજ ઈરાનના વિદેશ મંત્રાલયે એક ટ્વીટમાં પંજશીરમાં પાકિસ્તાની હુમલાની સખત નિંદા કરી હતી. ઈરાને કહ્યું છે કે, ગત રાત્રે પંજશીર પર હુમલો નિંદનીય છે અને ઈરાન હુમલામાં જીવ ગુમાવનારા અફઘાન નેતાઓને શ્રદ્ધાંજલિ આપી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, ઈરાને અફઘાનિસ્તાનમાં તાલિબાન સરકારને માન્યતા આપવાનો ઈન્કાર કરી દીધો છે.