રેવતી નક્ષત્રમાં જન્મેલા જાતકો બુદ્ધિમાન હોય છે!
લોકોના જન્મ નક્ષત્રો પરથી તેમનુ ભાગ્ય જાણી શકાય છે. નક્ષત્રોથી વ્યક્તિના સ્વભાવ અને ગુણને પણ જાણી શકાય છે.
આપણા જન્મના નક્ષત્રો આપણા જીવન પર અસર કરે છે. આપણા જન્મ નક્ષત્રને આધારે સ્વભાવ, ગુણધર્મ, ભાગ્યોદય વિશેની જાણકારીમાં અત્યાર સુધી અમે તમને અનેક નક્ષત્રો વિશે જાણીકારી આપી છે. આજે અમે તમને ઘનિષ્ઠા, શતભિષા, પૂર્વભાદ્રપદ, ઉત્તરાભાદ્રપદ, અને રેવતી નક્ષત્રમાં જન્મેલા લોકો કેવા હોય છે, તેમનો સ્વભાવ, તેમનો ભાગ્યોદય ક્યારે થશે, વગેરે જેવા પ્રશ્નોના જવાબ આપીશું. આ નક્ષત્રમાં જન્મેલા જાતકો અંગે વધુ વાંચો અહીં...
ધનિષ્ઠા
ધનિષ્ઠા નક્ષત્રમાં જન્મેલા જાતકોને પોતાના ભાઈ-બંધુઓ પ્રત્યે વિશેષ લાગણી હોય છે. પોતાની સંપત્તિમાંથી તેઓ બધાને સરખો ભાગ પણ આપે છે. તેઓ પૈસાદાર, સારા કામ કરનારા, સાહસી અને સ્ત્રીઓના પ્રિય હોય છે, આ નક્ષત્રની કન્યા પુરુષો વચ્ચે લોકપ્રિય હોય છે. તેમને ઘરેણાનો અત્યંત શોખ હોય છે. તેઓ સરકારી નોકરીમાં ઉચ્ચ પદ મેળવે છે. તેમના જીવનમાં 15, 19 અને 23મું વર્ષ શુભ નથી હોતું. પોતાના ગુણોને કારણે તેઓ સમાજમાં ચર્ચિત હસ્તી બને છે.
શતભિષા
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો પૈસાદાર બુદ્ધિમાન, હોંશિયાર અને દુશ્મનો પર વિજય હાંસલ કરવાવાળા હોય છે. રાજકીય કામોમાં તેમને ખાસ સફળતા મળેલી હોય છે. તેમના જીવનમાં 28મું વર્ષ સૌથી મહત્વનું હોય છે. જીવનના મુખ્ય નિર્ણયો આ જ ઉંમરે લેવાય છે. જો આ સમયે તેઓ ખોટા નિર્ણયો લઈ લે તો તેઓ વ્યસની અને સટ્ટાબાજ બની જાય છે.
પૂર્વભાદ્રપદ
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો સ્વસ્થ અને સુંદર શરીરના માલિક હોય છે. તેમની પાસે પૈસા પણ ખૂબ જ હોય છે અને ખર્ચા પણ તેઓ વધુ કરે છે. તેમને બોલવામાં જરાય ભાન હોતું નથી કે કોને શું કહેવું જોઈએ ? આને કારણે ધીમે ધીમે તેમની લોકપ્રિયતા ઓછી થવા લાગે છે. તેમને પોતાની આલોચના પસંદ નથી. નાની નાની વાતે તેઓ ગુસ્સે થઈ જાય છે. પૈસાદાર હોવા છતાં તેમનું મન નાનું હોય છે. તેમને સ્ત્રીથી દગો મળે છે.
ઉત્તરાભાદ્રપદ
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો સાહસી અને બુદ્ધિમાન હોય છે. તેમનો ભાગ્યોદય 27 કે 31 વર્ષે થાય છે. ડગલે ને પગલે ભાગ્ય તેમને સાથ આપે છે અને જે પણ કામ હાથમાં લે છે તેને પૂરું કરીને જ જંપે છે. મુશ્કેલીઓથી તેઓ ક્યારેય ભાગતા નથી. ભલે ગમે તેટલી મુશ્કેલી આવે તેઓ હિંમત હારતા નથી. તેઓ સફળ લેખક અને સંગીતકાર હોય છે. તેમનું ગૃહસ્થ જીવન સફળ હોય છે.
રેવતી
આ નક્ષત્રમાં જન્મેલા જાતકો પોતાના માતા-પિતાની સેવા કરવાવાળા હોય છે. તેઓ વાણી અને બુદ્ધિથી તેજ હોય છે અને મિત્રો સાથે ખુશ રહે છે. તેમની પ્રકૃતિ સાધુઓ જેવી હોય છે. તેમના જીવનનું 17, 21 અને 24મું વર્ષ ખરાબ હોય છે. તેમનું શરીર સ્વસ્થ અને નિરોગી હોય છે. તેઓ ધનવાન પણ કામાતુર, કવિ, પત્રકાર, ઉપન્યાસકાર હોય છે. તેમને ચરિત્રવાન, સર્વગુણ સંપન્ન જીવનસાથી મળે છે.