પૂજામાં કપૂરથી શું લાભ થાય છે?
હિંદુ પૂજા વિધિમાં કપૂરનું વિશેષ મહત્વ છે, આપણી કોઇ પણ આરતી કે પૂજા કપૂર વિના અધૂરી છે. આ પાછળ આધ્યાત્મિક ઉપરાંત કેટલાંક વૈજ્ઞાનિક કારણો પણ છે.
પ્રાચીન સમયથી હિંદુ પરંપરામાં ભગવાનને ખુશ કરવા પૂજા સમયે દીપ, ધૂપ, કપૂર, અગરબત્તી સળગાવવામાં આવે છે. હિંદુ ધર્મની કોઈપણ પૂજામાં કપૂર વિના આરતી પૂર્ણ થતી નથી. પરંતુ તમે ક્યારેય એ જાણવાનો પ્રયત્ન કર્યો છે કે, આપણે શા માટે પૂજામાં કપૂરનો ઉપયોગ પર આટલો ભાર મૂકીએ છીએ? આજે પૂજામાં કપૂરના મહત્વ વિશે વિસ્તારમાં જાણકારી મેળવો અહીં..
આ ઉપરાંત અમે તમને કપૂર સળગાવા પાછળના કેટલાક આધ્યાત્મિક કારણો પાછળનું વૈજ્ઞાનિક રહસ્ય પણ જણાવીશું!
મન શાંત થાય છે..
પુરાણો મુજબ કપૂર મનને શાંત કરે છે, માટે તેનો ઉપયોગ પૂજામાં કરવામાં આવે છે. કપૂરની સુગંધથી પૂજાનું સ્થાન પવિત્ર થાય છે, માટે પૂજા સ્થળે ખાસ કપૂર પ્રગટાવવામાં આવે છે. કપૂર સળગાવવાથી મનુષ્યના મન અને ઈશ્વર વચ્ચે સેતુ બંધાય છે, જેનાથી મનને શાંતિ મળે છે.
વાયુમંડળ શુદ્ધ થાય છે
શાસ્ત્રો જણાવે છે કે, આરતીમાં કપૂર સળગાવવાથી આસપાસનું વાતાવરણ શુદ્ધ થાય છે. વાતાવરણમાં રહેલા બેક્ટેરિયા નાશ પામે છે. ઘરમાં આરતી કર્યા બાદ નિયમિત કપૂર સળગાવવું જોઈએ, તેનાથી તમારા ઘરનાં ઝેરી તત્વો નાશ પામે છે અને શુદ્ધ હવા મળે છે.
નકારાત્મક ઊર્જાને ખતમ કરે છે
નિયમિત ઘરમાં કપૂર સળગાવવાથી ઘરમાં રહેલી નકારાત્મક ઊર્જાને બહાર ધકેલી શકાય છે. અદ્રશ્ય શક્તિઓ ઘરમાં પ્રવેશી શકતી નથી. ઉપરાંત પિતૃદોષને દૂર કરવા માટેના એક ઉપાય તરીકે પણ કપૂરનો ઉપયોગ કરવામાં આવે છે. ઘરનું કોઈ સભ્ય દુઃસ્વપ્નોથી હેરાન થતું હોય તો રાત્રે આરતી સમયે કપૂર સળગાવવાથી દુઃસ્વપ્નોમાંથી છૂટકારો મળે છે.
અનેક બિમારીઓનો ઈલાજ
કપૂરનો ઉપયોગ કરવાથી સાંધાના દુખાવામાં રાહત મળે છે. કપૂરને પાણીમાં રાખ્યા બાદ શરીરે ઘસવાથી અસ્થમાના રોગીઓને રાહત મળે છે. કપૂરને અજમો અને હીંગ સાથે પીવાથી પેટના દુખાવો અને ગેસમાં રાહત મળે છે. ચામડીને લગતા અનેક રોગોમાં કપૂરનો ઉપયોગ રાહત આપે છે.