Mangal dosh: માંગલિક હોવાના અનેક લાભ પણ છે, જાણો કેવી રીતે?
માંગલિક કુંડળી હોવાના અનેક શુભ પ્રભાવ પણ જાતકને પ્રાપ્ત થતા હોય છે. જાણો વિગત.
Mangal dosh: મંગળ દોષવાળી કુંડળી હોવાને કારણે ઘણીવાર લોકો પરેશાન અને ચિંતિત રહે છે. માંગલિક હોવાને કારણે તેમને લાગે છે કે તેમના જીવનમાં કંઈપણ સારુ નહિ થાય અને તેઓ હંમેશા મુશ્કેલીથી ઘેરાયેલા રહેશે. એ સાચુ છે કે માંગલિક કુંડળીના કારણે લગ્નના કાર્યોમાં ખાસ કરીને વિલંબ થાય છે અને માંગલિક યુવક કે યુવતીના લગ્ન માંગલિક યુવક-યુવતી સાથે જ કરવા જોઈએ. પરંતુ એ પણ એટલુ જ સાચુ છે કે માંગલિક કુંડળી પણ અમુક ગ્રહોની સ્થિતિઓમાં ઘણા લાભ આપે છે. માંગલિક કુંડળી હોવાના અનેક શુભ પ્રભાવ પણ જાતકને પ્રાપ્ત થતા હોય છે.
- મિથુન લગ્નની કુંડળી હોય અને આઠમાં કે બારમા ઘરમાં મંગળ હોય તો તે જાતકને ઘણા લાભદાયક પરિણામ આપે છે.
- કર્ક રાશિની કુંડળીમાં ચોથા અને આઠમા ઘરમાં મંગળ વ્યક્તિને વિદેશ યાત્રા કરાવે છે અને વિદેશથી ધન પ્રદાન કરે છે.
- સિંહ લગ્નના જાતકો માટે મંગળ સૌથી શુભ માનવામાં આવે છે. લગ્ન અને ચોથા ઘરનો મંગળ અનેક ભૌતિક સુખો આપે છે. જો કે સિંહ લગ્નમાં આઠમા અને બારમાં ઘરનો મંગળ કષ્ટકારી હોય છે.
- કન્યા લગ્નના આઠમાં અને બારમાં ઘરનો મંગળ શુભ ફળ આપે છે. આવી વ્યક્તિનું આયુષ્ય લાંબુ હોય છે. પરંતુ કન્યા લગ્નવાળા જાતકો માટે ચોથા અને સાતમા ઘરમાં મંગળ ખૂબ જ કષ્ટદાયક હોય છે.
- તુલા લગ્નના જાતકો માટે સાતમા ઘરમાં મંગળ શ્રેષ્ઠ છે અને અનેક પ્રકારના સુખ પ્રદાન કરે છે. પરંતુ જો મંગળ બારમા ઘરમાં હોય તો તે જાતકના તમામ સુખોનો નાશ કરે છે.
- વૃશ્ચિક લગ્નની કુંડળીમાં સાતમા ઘરમાં મંગળ હોય તો વ્યક્તિને કોઈ નુકસાન થતું નથી, પરંતુ આઠમા અને બારમા ઘરમાં મંગળ વ્યક્તિને બરબાદ પણ કરી શકે છે.
- કુંભ લગ્નના જાતકો માટે બારમા ઘરમાં રહેલો મંગળ શુભ ફળ આપે છે.
- મીન લગ્નના ચોથા અને સાતમાં ઘરનો મંગળ નુકસાનકારક નથી હોતો પરંતુ આઠમાં અને બારમાં ઘરમાં રહેલો મંગળ જાતક માટે ખૂબ જ કષ્ટદાયક હોય છે.
મંગળથી જ દોષ કેમ ઉત્પન્ન થાય છે?
મંગળને આક્રમકતા, ક્રોધ, આવેશ, શૌર્ય, શક્તિ, શરીરમાં લોહી, સૌભાગ્યનો કારક ગ્રહ ગણવામાં આવે છે. જો મંગળ દૂષિત હોય તો વ્યક્તિ આ બધા સાથે જોડાયેલી પીડાઓથી પીડાય છે. જો યુવક કે યુવતીની કુંડળીમાં મંગળ ઉગ્ર હોય તો તે સીધે સીધુ બીજાને દબાવવાનો પ્રયાસ કરશે. આવી સ્થિતિમાં લગ્નજીવન સુખી હોવામાં શંકા રહે છે. મંગળ રક્તનુ પણ પ્રતિનિધિત્વ કરે છે. તેથી જો દોષ કોઈ એકની કુંડળીમાં હોય તો તે અન્ય વ્યક્તિ માટે ઘાતક બની શકે છે. આના કારણે સૌભાગ્યમાં કમી આવી શકે છે.