Navratri 2022: મા દુર્ગાની પ્રતિમા માટે કેમ જરુરી છે બદનામ ઘરોના આંગણાની માટી?
26મી ઓક્ટોબર એટલે કે સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. જાણો મા દુર્ગાની મૂર્તિ માટે બદનામ ઘરના આંગણાની માટી કેમ જરુરી છે?
નવી દિલ્લીઃ 26મી ઓક્ટોબર એટલે કે સોમવારથી શારદીય નવરાત્રીનો પ્રારંભ થઈ રહ્યો છે જેની તૈયારીઓ દેશભરમાં જોરશોરથી ચાલી રહી છે. આ નવ દિવસોમાં માતાના નવ સ્વરૂપોની પૂજા કરવામાં આવે છે. માતાનુ દરેક સ્વરૂપ શક્તિનો પર્યાય છે પરંતુ જ્યાં સુધી બંગાળની દુર્ગા પૂજાનો ઉલ્લેખ ન થાય ત્યાં સુધી માતાની પૂજાનુ વર્ણન અધૂરુ છે. અહીંની પૂજા વિશ્વ પ્રસિદ્ધ છે. અહીં પૂજામાં ભાગ લેવા માટે લોકો દૂર-દૂરથી આવે છે.
બદનામ ઘરોના આંગણાની માટી...
શારદીય નવરાત્રિમાં ઘણી જગ્યાએ માતાની મૂર્તિઓને શણગારવામાં આવે છે. લોકો આખુ વર્ષ તેની તૈયારી કરે છે. એવુ માનવામાં આવે છે કે જ્યાં સુધી બદનામ ઘરોના આંગણાની માટી તેમાં ન ભળે ત્યાં સુધી મા દુર્ગાની મૂર્તિ અધૂરી છે અને આ કારણથી શિલ્પકારો પ્રતિમા બનાવવા માટે રેડ લાઈટ એરિયા એટલે કે કોઠાઓમાં પણ જાય છે. આ પ્રથા પ્રખ્યાત ફિલ્મ નિર્માતા સંજય લીલા ભણસાલીએ તેમની સુપરહિટ ફિલ્મ 'દેવદાસ'માં પણ સારી રીતે દર્શાવી હતી.
શું ખરેખર આવુ થાય છે?
પરંતુ હવે સવાલ એ થાય છે કે શું ખરેખર આવુ છે? આખરે જે જગ્યાની મહિલાઓને પવિત્ર કે આદરની નજરથી જોવામાં આવતી નથી તેમના ઘરની માટીમાંથી માતાની મૂર્તિ કેવી રીતે અને શા માટે બનાવવામાં આવે છે? આની પાછળનુ કારણ શું છે?
એક વેશ્યા મા દુર્ગાની મોટી ભક્ત હતી...
આની પાછળ એક રસપ્રદ કથા છે. એવુ કહેવાય છે કે પ્રાચીન સમયમાં એક વેશ્યા મા દુર્ગાની મોટી ભક્ત હતી. તે દિવસ-રાત માતાની પૂજામાં મગ્ન રહેતી. લોકો તેને ઉપેક્ષા અને નફરતથી જોતા હતા. અમુક લોકો તેને મંદિરમાં પ્રવેશતા પણ રોકતા હતા.
મા દુર્ગાએ આપ્યુ મોટુ વરદાન
પરંતુ તે પોતાની બધી તકલીફો ભૂલી માતાની પૂજા કરતી રહી, મા દુર્ગા તેની પૂજાથી ખૂબ જ પ્રસન્ન થયા અને તેમણે તેને વરદાન આપ્યુ કે આજથી સમાજનો દરેક વ્યક્તિ તને સન્માનની નજરે જોશે અને તેથી માતાએ આશીર્વાદ આપ્યા કે જ્યાં સુધી મારી મૂર્તિમાં તવાયફના ઘરના આંગણાની માટી નહીં મળે ત્યાં સુધી પૂજા અધૂરી છે અને ત્યારથી તે એક પ્રથા બની ગઈ છે.
'ચોક્ખૂ દાન'
તમને જણાવી દઈએ કે બંગાળમાં નવરાત્રિના એક અઠવાડિયા પહેલા માતાની મૂર્તિ તૈયાર કરવામાં આવે છે અને નવરાત્રીના પહેલા દિવસે તેને પંડાલમાં લાવવામાં આવે છે પરંતુ મહાલયના દિવસે તેમની આંખો ખોલવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે આ દિવસે માતા પૃથ્વી પર ઉતરે છે. આને 'ચોક્ખૂ દાન' કહેવાય છે.
સિંદૂર ખેલા
માતાની પૂજા આખા નવ દિવસ સુધી સંપૂર્ણ ભક્તિભાવથી કરવામાં આવે છે પરંતુ માતાના વિસર્જનના આગલા દિવસે 'સિંદૂર ખેલા' થાય છે. જે પોતાનામાં ખૂબ જ વિશેષ અને ખાસ હોય છે. આ દિવસે મહિલાઓ ખાસ સફેદ-લાલ સાડી પહેરીને પંડાલમાં પહોંચે છે અને સિંદૂર અને અબીલ વડે રમે છે અને ઉલુ ધ્વની સાથે માતાને વિદાય આપે છે. આ પ્રથા જોવા માટે દૂર-દૂરથી લોકો કોલકાતાના પંડાલમાં પહોંચે છે.