બેરુત હુમલાના જવાબમાં ઈરાનનો ઈઝરાયેલ પર ભીષણ મિસાઈલ હુમલો, તમામ 'રેડ લાઈન' પાર થતાં યુદ્ધની આશંકા
પશ્ચિમ એશિયામાં ચાલી રહેલો તણાવ હવે ચરમસીમાએ પહોંચી ગયો છે. બેરુત પર થયેલા તાજેતરના હુમલા બાદ તમામ સીમાઓ ઓળંગાઈ ગઈ હોવાનું જણાવીને ઈરાને રવિવારે મોડી રાત્રે ઈઝરાયેલ પર એકસાથે અનેક મિસાઈલો દાગી દીધી હતી. આ હુમલાને પગલે સમગ્ર ઈઝરાયેલમાં યુદ્ધના સાયરન ગુંજી ઉઠ્યા હતા અને હજારો નાગરિકોને તાત્કાલિક સુરક્ષિત બંકરોમાં આશરો લેવાની ફરજ પડી હતી.

સેન્ય મથકોને બનાવાયા નિશાન
ઈરાનની સત્તાવાર સૈન્ય પાંખ 'ઈસ્લામિક રિવોલ્યુશનરી ગાર્ડ કોર્પ્સ' (IRGC) એ આ હુમલાની સત્તાવાર જવાબદારી સ્વીકારી છે. IRGCના નિવેદન અનુસાર, ઈઝરાયેલના અતિ મહત્વના ગણાતા 'રામત ડેવિડ એરબેઝ'ને નિશાન બનાવીને આ મિસાઈલો છોડવામાં આવી હતી. ઈરાને સ્પષ્ટ કર્યું છે કે દક્ષિણ લેબનોનના ટાયર અને નબાતીહ વિસ્તારોમાં નિર્દોષ નાગરિકો પર થઈ રહેલા સતત અત્યાચારો અને હુમલાના વિરોધમાં આ જવાબી કાર્યવાહી કરવામાં આવી છે.
વળતો પ્રહાર થશે તો ગંભીર પરિણામો: ઈરાન
સોશિયલ મીડિયા પર ઈરાની સૈન્ય સલાહકારો દ્વારા જારી કરાયેલી કડક ચેતવણીમાં કહેવામાં આવ્યું છે કે તેઓ વર્તમાન યુદ્ધવિરામનું કોઈપણ પ્રકારનું ઉલ્લંઘન સહન કરશે નહીં. જો ઈઝરાયેલ આ મિસાઈલ હુમલાના જવાબમાં વળતો પ્રહાર કરવાની ભૂલ કરશે, તો આગામી સમયમાં આનાથી પણ વધુ વિનાશક અને આકરો જવાબ આપવામાં આવશે.
બીજી તરફ, ઈઝરાયેલી સંરક્ષણ દળો (IDF) એ દાવો કર્યો છે કે તેમની એર ડિફેન્સ સિસ્ટમે ઈરાન તરફથી આવેલી તમામ મિસાઈલોને હવામાં જ તોડી પાડી છે અને જમીન પર કોઈ મોટું નુકસાન થવા દીધું નથી.
ટ્રમ્પની શાંતિ જાળવવાની અપીલ
આ ભયાનક સૈન્ય ટકરાવ વચ્ચે વૈશ્વિક સ્તરે ચિંતાની લકીરો ખેંચાઈ ગઈ છે. અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે આ મામલે તાત્કાલિક પ્રતિક્રિયા આપતા જણાવ્યું છે કે, સદનસીબે આ મિસાઈલ હુમલામાં કોઈ જાનહાનિના સમાચાર નથી.
"અમેરિકા અત્યારે ઈરાન સાથે એક ઐતિહાસિક શાંતિ કરારની ખૂબ જ નજીક છે. અમે નથી ઈચ્છતા કે આ ક્ષેત્રની સ્થિતિ વધુ વણસે." - ડોનાલ્ડ ટ્રમ્પ
અમેરિકી રાષ્ટ્રપતિએ ઈઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહુ સાથે વાતચીત કરીને તેમને વળતો હુમલો ન કરવા અને સંયમ રાખવા ખાસ અપીલ કરી છે, જેથી પશ્ચિમ એશિયાને મહાયુદ્ધની ખાઈમાં ધકેલાતું બચાવી શકાય. વૈશ્વિક રાજદ્વારીઓ હવે આ નાજુક સ્થિતિ પર બારીકાઈથી નજર રાખી રહ્યા છે.












Click it and Unblock the Notifications
