Pushya nakshatra 2022 Date: પુષ્ય નક્ષત્ર ક્યારે છે? અહીં જાણો મુહૂર્ત અને મહત્વ
મહાલક્ષ્મીની પૂજા-આરાધનાનો તહેવાર દિવાળી એ સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. જાણો આ વખતે પુષ્ય નક્ષત્ર ક્યારે છે? અહીં જાણો મુહૂર્ત અને મહત્વ.
મહાલક્ષ્મીની પૂજા-આરાધનાનો તહેવાર દિવાળી એ સુખ અને સમૃદ્ધિનો તહેવાર છે. આ દિવસે લોકો દેવી લક્ષ્મીની પૂજા કરે છે અને જીવનમાં સુખ, સમૃદ્ધિ અને પ્રગતિ માટે પ્રાર્થના કરે છે. ધનતેરસથી ભાઈ બીજ સુધી ચાલનારા પાંચ દિવસીય તહેવારમાં લોકો ઘરેણાં, જમીન-મકાન, વાહનો, ઈલેક્ટ્રોનિક્સ, ભૌતિક ચીજવસ્તુઓ ખરીદે છે અને આ માટે મહા મુહૂર્તની રાહ જુએ છે. દીવાળીની આસપાસ આવતા પુષ્ય નક્ષત્રનુ સૌથી વધુ મહત્વ છે. પુષ્ય નક્ષત્રના સ્વામી શનિ છે અને દેવતા બૃહસ્પતિ છે. તેથી આ નક્ષત્રમાં ખરીદેલી વસ્તુ સ્થાયી હોય છે તેમાં વૃદ્ધિ થતી જાય છે.
આ વખતે દિવાળી સોમવાર 24 ઓક્ટોબર 2022ના રોજ આવી રહી છે. આના છ દિવસ પહેલા એટલે કે 18 ઓક્ટોબરથી પુષ્ય નક્ષત્ર શરૂ થશે. આ વખતે પુષ્ય નક્ષત્રનો પુણ્યકાલ 26 કલાક 50 મિનિટનો રહેશે. જેથી બે દિવસ સુધી જોરદાર ખરીદી કરી શકાશે. ઉજ્જૈની સૂર્યોદય અનુસાર પુષ્ય નક્ષત્ર 18 ઓક્ટોબરના રોજ સવારે 5.12 વાગ્યાથી શરૂ થશે અને 19 ઓક્ટોબરના રોજ સવારે 8.02 વાગ્યા સુધી રહેશે. આમ પુષ્ય નક્ષત્ર કુલ 26 કલાક 50 મિનિટ રહેશે. આ સમયગાળા દરમિયાન સોનુ, ચાંદી, આભૂષણો, જમીન, મકાન, મિલકત, વાહન, ભૌતિક સુખની વસ્તુઓની ખરીદી કરવી ખૂબ જ શુભ રહેશે.
18 અને 19 ઓક્ટોબરે પુષ્ય નક્ષત્રની સાથે સિદ્ધ અને સાધ્ય યોગ પણ રહેશે. 18મી ઓક્ટોબરે સાંજે 4.52 વાગ્યા સુધી સિદ્ધ યોગ રહેશે. ત્યારબાદ 19મી ઓક્ટોબરે સાંજે 5.29 વાગ્યા સુધી સાધ્યયોગ શરૂ થશે. આ બે યોગો સાથે પુષ્ય નક્ષત્રનુ સંયોજન ખૂબ જ શુભ મહામુહૂર્તનુ નિર્માણ કરી રહ્યુ છે.
સ્વર્ણ પૂજન, ખરીદીથી સમૃદ્ધિ
પુષ્ય નક્ષત્રના શુભ સંયોગમાં સોનાની ખરીદી અને પૂજા કરવાનુ વિશેષ મહત્વ છે. આ નક્ષત્રમાં ખરીદેલ સોનામાં ધીમે ધીમે વધારો થાય છે.