કુંડળીમાં શુક્ર વક્રી હોવો સારુ કે ખરાબ? શું ઉપાય કરશો? જાણો અહીં
કુંડળીના અલગ-અલગ ભાવમાં શુક્ર વક્રી થવાના પરિણામ પણ અલગ-અલગ હોય છે. આવો જાણીએ...
નવી દિલ્લીઃ ગ્રહોમાં શુક્રને ભોગ-વિલાસ, ભૌતિક સુખ-સુવિધાઓ, પ્રેમ, સૌંદર્ય, આકર્ષણ, જાતીય સંતોષ વગેરેનો સ્વામી કહેવામાં આવે છે. જો જન્મકુંડળીમાં શુક્ર બળવાન હોય તો વ્યક્તિ આ તમામ ક્ષેત્રોમાં વિશેષ સિદ્ધિઓ હાંસલ કરે છે પરંતુ જો જન્મ સમયે શુક્ર વક્રી હોય તો આવી વ્યક્તિના જીવનમાં કોઈના પ્રત્યે લગાવ નથી રહેતો. આનંદદાયક વસ્તુઓ પણ તેના માટે નીરસ બની જાય છે. લગ્ન પછી પણ આવા વ્યક્તિને પત્ની, બાળકો, પરિવાર પ્રત્યે કોઈ લગાવ નથી હોતો. જો કે, આવી વ્યક્તિમાં અપાર સર્જનાત્મક શક્તિ હોય છે. તે મહાન કલાકારો, સંગીતકારો, કવિઓ, લેખકો, જ્યોતિષીઓ પણ બને છે. કુંડળીના અલગ-અલગ ભાવમાં શુક્ર વક્રી થવાના પરિણામ પણ અલગ-અલગ હોય છે. આવો જાણીએ...

પ્રથમ ભાવઃ વક્રી શુક્ર લગ્નમાં હોય તો વ્યક્તિનુ રૂપ સુંદર હોય છે. આવા વ્યક્તિની વાણી ઉત્તમ હોય છે.
દ્વિતીય ભાવઃ વ્યક્તિ કામુક વિલાસી, કલાકાર, વિદ્યાવાન અને ધનવાન હોય છે.
તૃતીય ભાવઃ રચનાત્મક કાર્યમાં નિષ્ફળતા મળે છે. વ્યભિચારી અને રંગીલો હોય છે. વધુ બહેનો હોય છે.
ચતુર્થ ભાવઃ વ્યક્તિ જમીનનો હોય માલિક છે પરંતુ એકવાર તેની પાસેથી બધુ છીનવાઈ જાય છે. તે ગામનો વડો હોય છે.
પંચમ ભાવ: કન્યા બાળકો વધુ હોય છે. વ્યક્તિ જુગાર, લોટરી વગેરેમાં પૈસા ગુમાવે છે. મોટુ જોખમ લે છે.
ષષ્ઠમ ભાવઃ વિજાતીય લિંગ પ્રત્યે દ્વેષ રાખે છે. તે પોતાની સંપત્તિનો જાતે જ નાશ કરે છે. અભિમાનને કારણે હાર થાય છે.
સપ્તમ ભાવઃ દુશ્મનો વધુ હોય છે. લગ્ન, ભાગીદારીના કામ, ધંધામાં સફળતા ન મળે. સ્વાર્થી વર્તન હોય છે.
અષ્ટમ ભાવઃ પિતાનુ દેવુ ચૂકવતો રહે છે. લગ્નજીવનમાં મુશ્કેલીઓ આવે છે. ઝેરી જીવોનો પ્રકોપ રહે છે.
નવમ ભાવઃ વ્યક્તિ વ્યાજખોર બની જાય છે. તે સમાજ સેવાના કામમાં પણ પૈસા રોકે છે. આત્મ પ્રશંસા પ્રબળ બને છે.
દશમ ભાવઃ ધનવાન, વૈભવશાળી હોય છે. લગ્ન સારા કુળમાં થાય છે. ગોચરમાં શુક્ર વક્રી થવા પર સમ્માન મળે છે.
એકાદશ ભાવઃ ધન-વૈભવ, માન-સમ્માન, સેવકોથી યુક્ત હોય છે. નિમ્ન સ્તરના લોકો સાથે સારો વ્યવહાર કરે છે.
દ્વાદશ ભાવઃ ખર્ચીલો હોય છે. ધન એકઠુ નથી કરી શકતો. આંખના રોગોથી પીડિત હોય છે. વ્યસનોમાં ધન ખર્ચ કરે છે.
શુક્ર વક્રી હોય તો શું ઉપાય કરશો
જો કુંડળીમાં શુક્ર વક્રી હોય તો વ્યક્તિએ સંયમિત જીવન જીવવુ જોઈએ. ચાંદી અને પ્લેટિનમ પહેરવુ. સફેદ જિરકન, ઓપલ, ડાયમંડ પહેરી શકાય. શુક્રના મંત્રોનો જાપ કરવો. શુક્રવારે તેજસ્વી સફેદ વસ્ત્રો પહેરો. સફેદ ફૂલોથી શિવજીની પૂજા કરો.












Click it and Unblock the Notifications
