Sankat Chauth 2023: ક્યારે છે અંગારકી ચોથ? અહીં જાણો તેનુ મહત્વ
માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સંકષ્ટી ચતુર્થીને 'અંગારક ચતુર્થી' અને 'વક્રતુંડ ચતુર્થી' તરીકે પણ ઓળખવામાં આવે છે. જાણો તેની વિધિ અને મહત્વ
Sankat Chauth 2023: માઘ મહિનાના કૃષ્ણ પક્ષમાં આવતી સંકટ ચતુર્થીને 'અંગારક ચતુર્થી' અને 'વક્રતુંડ ચતુર્થી' તરીકે પણ ઓળખવામાં આવે છે. સંકટ ચતુર્થી વ્રત જીવનની તમામ પ્રકારની મુશ્કેલીઓનો નાશ કરવા, સુખ-સમૃદ્ધિ વધારવા અને પારિવારિક અને વૈવાહિક સુખ પ્રાપ્ત કરવા માટે કરવામાં આવે છે. અંગારકી ચોથના દિવસથી વર્ષભર ચાલતી સંકટ ચતુર્થીનુ વ્રત શરૂ થાય છે. આ વખતે અંગારકી ચોથ 10 જાન્યુઆરી, 2023 મંગળવારના રોજ આવી રહી છે. મંગળવારના દિવસે આવતી હોવાથી તેને અંગારક ચતુર્થી કહેવામાં આવે છે.
ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા થાય છે
માઘ મહિનામાં અંગારક ચતુર્થીના દિવસથી શરૂ કરીને દર મહિનાની સંકટ ચતુર્થીના દિવસે વ્રત રાખવામાં આવે છે. આ દિવસે ચંદ્રોદય વ્યાપિની ચતુર્થીથી લઈને સાંજે ભગવાન ગણેશની પૂજા કરવામાં આવે છે અને ચંદ્રોદય સમયે ચંદ્રદેવની પૂજા કરવામાં આવે છે. દિવસભર ઉપવાસ રાખવામાં આવે છે. રાત્રે ચંદ્રની પૂજા કરીને આખો દિવસ રાખેલુ વ્રત ખોલવામાં આવે છે. દિવસમાં એકવાર ગણેશજીની ભક્તિભાવ પૂર્વક પૂજા કરીને ચતુર્થીની કથા સાંભળવામાં આવે છે.
કેમ કરવામાં આવે છે સંકટ ચોથનુ વ્રત
- સંકટ ચતુર્થી વ્રત મુશ્કેલીઓનો નાશ કરવા માટે કરવામાં આવે છે. જીવનમાં કોઈ મોટું સંકટ આવી ગયુ હોય, પછી ભલે તે પારિવારિક હોય, બાહ્ય હોય, કામ સંબંધિત હોય કે વિવાહિત જીવન સંબંધિત હોય, તેને દૂર કરવા માટે સંકટ ચતુર્થી વ્રત રાખવામાં આવે છે.
- જો પરિવારમાં કોઈ વ્યક્તિ સતત બીમાર રહે છે, ઘણા પ્રયત્નો પછી પણ રોગ ઠીક ન થઈ રહ્યો હોય, તો પરિવારનો કોઈ સભ્ય દર્દીના નામ પર સંકટ ચતુર્થી વ્રત રાખે, તો દર્દીને જલ્દી જ ફાયદો થવા લાગે છે.
- સંકટ ચતુર્થી વ્રત આર્થિક સમસ્યાઓ દૂર કરવા અને દેવાથી મુક્તિ મેળવવા માટે કરવામાં આવે છે.
- જો કામકાજ બરાબર ના ચાલતુ હોય. જો નોકરીમાં પ્રગતિ ન થતી હોય અથવા ધંધામાં સતત નુકસાન થતુ હોય તો આ વ્રત આખા વર્ષ દરમિયાન કરવુ જોઈએ. આનાથી ચોક્કસપણે નિરાકરણ થાય છે.
વ્રતનુ ઉત્થાપન જરુરી
આખુ વર્ષ ચતુર્થી કર્યા પછી છેલ્લી ચતુર્થીના દિવસે આ વ્રતનુ ઉત્થાપન કરવામાં આવે છે. વિદ્વાન પુરોહિતને બોલાવીને વ્રતનુ ઉત્થાપન કરવુ જોઈએ.