15 મેના રોજ શનિ જયંતિ : વિશેષ યોગોના નિર્માણ સાથે આ વખતની શનિ જયંતિ રહેશે ખાસ
ન્યાયના અધિપતિ દેવ શનિ મહારાજનો જન્મોત્સવ એટલે શનિ જયંતિ. જે આ વખતે 15 મેના રોજ મંગળવારે ઉજવાશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ છે.
ન્યાયના અધિપતિ દેવ શનિ મહારાજનો જન્મોત્સવ એટલે શનિ જયંતિ. જે આ વખતે 15 મેના રોજ મંગળવારે ઉજવાશે. આ દિવસે સર્વાર્થસિદ્ધિ યોગ છે. સાથે જ વટસાવિત્રી અમાસ અને ભૌમવતી અમાસનો સંયોગ પણ છે. આટલા સંયોગો સાથે શનિનો જન્મદિવસ ઉજવનારા જાતકો માટે આ વર્ષે શનિ જયંતિ ખાસ રહેશે.
શનિની સાડાસાતી, શનિની ઢૈયા કે જન્મકુંડળીમાં શનિની મહાદશા, અંતર્દશા કે શનિની ખરાબ સ્થિતિને કારણે હેરાન થનારા જાતકો માટે આ ખાસ યોગ છે. આ શુભ સમયે શનિને પ્રસન્ન કરવા માટેના ઉપાયો જરૂર કરવા, જેનાથી તમને દુઃખોમાંથી રાહત મળશે.
સર્વાર્થસિદ્ધિ યોગ
અમાસ મંગળવારના દિવસે ભરણી નક્ષત્ર, શોભન યોગ, ચતુષ્પદ કરણ તથા મેષ રાશિની ચંદ્રની ઉપસ્થિતિમાં આવી રહી છે. આ વર્ષે જયેષ્ઠ માસ અધિકમાસ પણ છે. જેથી પ્રથમ શુદ્ધ જયેષ્ઠ કૃષ્ણ પક્ષમાં આવતી અમાસનું ખાસ મહત્વ છે. આ દિવસે સવારે 10.57 વાગ્યે સર્વાર્થસિદ્ધિ યોગની શરૂઆત થશે. જે આખો દિવસ રહેશે. આ દિવ્ય યોગની સાક્ષીમાં શનિદેવની આરાધના જાતકોને વિશિષ્ટ શુભફળ પ્રદાન કરશે.
શનિને ખુશ કરવા કરો આ ઉપાય
શનિદેવને ખુશ કરવા માટે 15 મેના રોજ શનિના વૈદિક તથા બીજ મંત્ર ऊं खां खीं खूं सः मंदाय स्वाहाः ની 21 માળા જાપ કરો. શનિસ્તવરાજ, મહાકાલ શનિમૃત્યુંજય સ્ત્રોત પાઠ અને મંદિરમાં શનિદેવનો તેલથી અભિષેક કરવાથી શુભ ફળની પ્રાપ્તિ થાય છે. જે જાતકોને હંમેશા શારીરિક મુશ્કેલી રહે છે તેઓ શનિ જયંતિએ શનિવજ્રપિંજર કવચના 11 પાઠ કરો અને ત્યારબાદ રોજ નિયમિત આ પાઠ કરો. તેનાથી તમારા શારીરિક દુઃખો દૂર થશે.
કરો આ વસ્તુઓનું દાન
શનિની શાંતિ માટે શનિ જયંતિના દિવસે કાળા અળદ, કાળા તલ, સ્ટીલ-લોખંડનું વાસણ, શ્રીફળ, કાળુ વસ્ત્ર, લાકડાની વસ્તુ, ઔષધિનું દાન કરવું જોઈએ. ગરીબોને ભોજન કરાવવાથી શનિદેવ પ્રસન્ન થાય છે. જે લોકો ગરીબોની દવાનો ખર્ચ ઉઠાવે છે તેનાથી શનિદેવ જલ્દી પ્રસન્ન થાય છે. કોઈ પણ મોટી સાડાસાતી હોય તો પણ આ ઉપાય દ્વારા તેના દુઃખો દૂર થાય છે.
ત્રિગ્રહી યોગની સારી નરસી અસરો
ગ્રહ ગોચરની ગણના અનુસાર અમાસના દિવસે સૂર્ય, ચંદ્ર તથા બુધનો મેષ રાશિમાં ત્રિગ્રહી યુતિ યોગ રહેશે. મેષ રાશિનો સ્વામી મંગળ છે અને મંગળવારે જ અમાસ છે. જેથી મેષ રાશિના જાતકો માટે આ દિવસ વધુ ખાસ રહેશે. આ દિવસે શનિદેવની સાથે હનુમાનજીની આરાધના દ્વારા શ્રેષ્ઠ ફળની પ્રાપ્તિ થાય છે. જે લોકો આર્થિક તંગી અનુભવે છે તેમણે હનુમાનજીને બેસનના લાડુ ધરાવવા. જો કે આ ત્રણ ગ્રહોનો સંયોગ પ્રાકૃતિક આપદા, તોફાન, વરસાદ, વિમાન દુર્ઘટના પણ લાવી શકે છે. આ દરમિયાન દેશના પશ્ચિમી રાજ્યોમાં ભીષણ ગર્મીથી જાનહાનીના સંકેત છે. ઉપરાંત મોટા રાજનૈતિક ફેરબદલની પણ શક્યતા છે.