તમે પણ મેળવી શકશો ઓડી, મર્સિડિઝનું સુખ, જો તમારી કુંડળીમાં હશે આ યોગ
કોઈ કારકને વાહન સુખની પ્રાપ્તિ થશે કે નહિં તેનો વિચાર શુક્ર ગ્રહની સ્થિતિ, ચોથા ભાવમાં બેઠેલા ગ્રહનું બળ, ભાગ્ય ભાવ અને લાભ સ્થાનથી નક્કી કરવામાં આવે છે.
આજના જમાનામાં લોકો આત્મા સુખ કરતાં ભૌતિક સુખ પાછળ વધુ ભાગી રહ્યાં છે. ભૌતિક સુખમાં આમ તો ઘણી વસ્તુઓ આવે પણ તેમાં સૌથી મોટું સુખ છે વાહનસુખ. વાહન સુખ મેળવવા લોકો અનેક જતન કરે છે, કાશ અમે પણ આ ઝડપી જીવનમાં વાહનસુખના માધ્યમથી એશ-આરામનું જીવન માણી શકીએ.
વાહન સુખની પ્રાપ્તિ ક્યારે થશે તેની ગણતરી જ્યોતિષને આધારે કરવી વધારે યોગ્ય રહેશે. ચતુર્થેશ કુંડળીમાં સ્વરાશિમાં હોય, મિત્ર રાશિમાં હોય, મૂળ ત્રિકોણમાં કે ઉચ્ચ રાશિમાં હોય, ચતુર્થ ભાવ પાપ ગ્રહોની દ્રષ્ટિથી મુક્ત હોય તથા શુક્ર જ્યારે બળવાન થઈ લગ્ન અથવા ત્રિકોણમાં ગોચર કરે ત્યારે વાહન મેળવવા માટે પ્રયત્ન કરવો જોઈએ.
વાહન પ્રાપ્તિના ભાવ અને ગ્રહોની ભૂમિકા
જન્મ કુંડળીમાં ચતુર્થ ભાવ, ચતુર્થભાવનો કારક ગ્રહ, ચતુર્થ ભાવ પર પડનારા ગ્રહોની દ્રષ્ટિ વાહનસુખ મેળવવામાં મદદ કરે છે. શુક્ર ગ્રહને વાહન સુખનો પ્રમુખ કારક ગ્રહ માનવામાં આવે છે. કોઈ કારકને વાહન સુખની પ્રાપ્તિ થશે કે નહિં તેનો વિચાર શુક્ર ગ્રહની સ્થિતિ, ચોથા ભાવમાં બેઠેલા ગ્રહનું બળ, ભાગ્ય ભાવ અને લાભ સ્થાનથી નક્કી કરવામાં આવે છે.
અહીં વાંચો - આવો જાણીએ જ્યોતિષમાં કેવી રીતે થાય છે ઉંમરનું કેલક્યુલેશન
વાહન પ્રાપ્તિ માટેના યોગ
- જન્મકુંડળીમાં ચતુર્થેશ લગ્નેશના ઘરમાં હોય તથા ચતુર્થેશના ભાવમાં હોય એટલે કે બંને વચ્ચે સ્થાન પરિવર્તનનો યોગ બની રહ્યો હોય તો જાતકને મોટું વાહનસુખ મળી શકે છે.
- ચતુર્થ ભાવનો સ્વામી તથા નવમ ભાવનો સ્વામી લગ્ન ભાવમાં બેઠો હોય તો વ્યકિતને વાહન સુખ મળી શકે છે.
- જો કુંડળીમાં નવમ, દશમ અને લાભ ભાવમાં શુક્રની સાથે ચતુર્થેશની યુતી હોય તો વાહનની પ્રાપ્તિ થઈ શકે છે.
- જો ચતુર્થેશનો સંબંધ શનિ સાથે હોય અને શનિ અને શુક્રની યુતિ હોય અથવા શુક્ર પર રાહુની દ્રષ્ટિ હોય તો વાહન મેળવવામાં ઘણી મુશ્કેલી આવે છે.
- જે કુંડળીમાં ચતુર્થ ભાવ બળવાન હોય, શુક્રનો લાભેશ સાથે સંબંધ હોય તથા પંચમભાવમાં ગુરુ બેઠો હોય એવી વ્યકિતને વાહનોનો કાફલો મળે છે.
- જ્યારે કુંડળીમાં ચતુર્થેશ ઉચ્ચ રાશિમાં શુક્ર સાથે હોય તથા ચોથા ભાવમાં સૂર્ય સ્થિત હોય તો આવી વ્યકિતને લગભગ 30 વર્ષ સુધી વાહનસુખ મળવાની શક્યતા રહે છે.
- લાભ ભાવમાં ચતુર્થેશ બેઠો હોય અને લગ્નમાં શુક્ર ગ્રહ બેઠો હોય તથા લગ્નમાં શુભ ગ્રહ સ્થિત હોય તો લગભગ 15 થી 20 વર્ષ સુધી વાહન ભોગવવા મળે છે.
- ચતુર્થ ભાવનો સ્વામી નીચ રાશિમાં બેઠો હોય અને લગ્નમાં શુભ ગ્રહ બેસે તો પણ કિશોરાવસ્થામાં જ વાહન સુખ મળવાની શક્યતા રહે છે.
- જો જન્મ કુંડળીમાં દશમ ભાવનો સ્વામી ચતુર્થેશ સાથે યુતિ કરી રહ્યો હોય, દશમેશ પોતાના નવમાંશમાં ઉચ્ચ થઈ બેઠો હોય તો વાહન સુખ મેળવવામાં મોડું થાય છે.