ગેહલોત સરકારના નવા કેબિનેટે લીધા શપથ, કોણ બન્યા મંત્રી?
રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની નવી કેબિનેટ દ્વારા રવિવારની સાંજે 4 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ નવા મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા.
જયપુર : રાજસ્થાનમાં અશોક ગેહલોત સરકારની નવી કેબિનેટ દ્વારા રવિવારની સાંજે 4 કલાકે શપથ ગ્રહણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. રાજભવન ખાતે આયોજિત કાર્યક્રમમાં રાજ્યપાલ કલરાજ મિશ્રાએ નવા મંત્રીમંડળને શપથ લેવડાવ્યા હતા. ટીકારામ જુલી, ગોવિંદ રામ મેઘવાલ, શકુંતલા રાવત, હેમારામ ચૌધરીએ કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા. શપથ ગ્રહણ કાર્યક્રમમાં મુખ્યમંત્રી અશોક ગેહલોત પણ હાજર રહ્યા હતા.
કાર્યક્રમમાં વિશ્વેન્દ્ર સિંહ, મહેન્દ્રજીત સિંહ માલવિયા, રામલાલ જાટ, મહેશ જોશી, રમેશ મીના, મમતા ભૂપેશ, ભજન લાલ જાટવે કેબિનેટ મંત્રી તરીકે શપથ લીધા હતા.
આ સિવાય બ્રિજેન્દ્ર સિંહ ઓલા, મુરારી લાલ મીણા, રાજેન્દ્ર ગુડ્ડા અને ઝાહિદા ખાનને રાજ્યપાલે રાજ્ય મંત્રી તરીકે શપથ લેવડાવ્યા હતા.
નવી કેબિનેટને લઇને નારાજગી
રાજસ્થાનમાં કેબિનેટમાં ફેરબદલમાં કોંગ્રેસ હાઈકમાન્ડે પણ મુખ્યમંત્રી અશોક ગેહલોતથી નારાજ સચિન પાયલટ કેમ્પનું સંપૂર્ણ ધ્યાન રાખ્યું છે. આ વખતે નવી કેબિનેટમાં પાયલટ કેમ્પના 5 લોકોને સ્થાન આપવામાં આવ્યું છે. નવા કેબિનેટથી ગેહલોત અને પાયલટ કેમ્પ બંને ખુશ દેખાઈ રહ્યા છે, પરંતુ તેની સાથે કેટલાક મંત્રીઓને લઈને ધારાસભ્યોની નારાજગી પણ સામે આવી છે.
કોંગ્રેસના ધારાસભ્ય જોહરી લાલ મીણાએ ટીકારામ જુલીની મંત્રી તરીકે નિમણૂકનો વિરોધ કર્યો છે. મીનાએ જુલી પર ભ્રષ્ટાચારમાં સંડોવાયેલા હોવાનો આરોપ લગાવ્યો અને કહ્યું કે, તેમના આગમન સાથે અલવરમાં કોંગ્રેસનો સફાયો થઈ જશે. ટીકારામ જુલી અલવર ગ્રામીણ સીટથી ધારાસભ્ય છે.
મીણાએ કહ્યું કે, અલવર જિલ્લામાં બધા જાણે છે કે, ટીકારામ જુલી ભ્રષ્ટ છે. અમે તેમને હટાવવાનું કહ્યું હતું, પરંતુ તેમને કેબિનેટ મંત્રી બનાવવામાં આવ્યા છે. બીજી તરફ જુલીએ આરોપોને પાયાવિહોણા ગણાવ્યા અને કહ્યું કે, મીણા કોંગ્રેસના વરિષ્ઠ નેતા છે અને તેઓ તેમનું સન્માન કરે છે, પરંતુ તેમના આરોપો ખોટા છે. જો તેમની પાસે કોઈ પુરાવા હોય તો તેમણે સામે લાવવા જોઈએ.
સચિન પાયલટે વધુમાં જણાવ્યું હતું કે, 'નવી કેબિનેટમાં 4 દલિત મંત્રીઓને સ્થાન આપવામાં આવ્યું છે. અમારો પક્ષ ઈચ્છે છે કે દલિત, ઉપેક્ષિત, પછાત લોકોને દરેક જગ્યાએ પ્રતિનિધિત્વ મળવું જોઈએ. અમારી સરકારમાં લાંબા સમયથી દલિતોનું પ્રતિનિધિત્વ ન હતું, હવે તેની ભરપાઈ કરવી પડશે. આદિવાસીઓનું પ્રતિનિધિત્વ પણ વધ્યું હતું. કોંગ્રેસ પાર્ટી સોનિયા ગાંધી, રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના નેતૃત્વમાં કામ કરી રહી છે.
ભાજપની ગેરરીતિઓને લોકોની સામે લાવવા માટે પાર્ટીના કાર્યકરોએ સાથે મળીને કામ કરવું પડશે. પાર્ટીમાં કોઈ જૂથવાદ નથી. નિર્ણયો (કેબિનેટ ફેરબદલના) એકસાથે લેવામાં આવે છે. હું દિલ્હીમાં પાર્ટી અધ્યક્ષ સોનિયા ગાંધીને મળ્યો, અમે ઘણા મુદ્દાઓ પર ચર્ચા કરી હતી. છેલ્લા 20 વર્ષમાં પાર્ટી દ્વારા મને આપવામાં આવેલી તમામ જવાબદારીઓને મેં સમર્પણ સાથે નિભાવી છે. આવનારા સમયમાં પાર્ટી મને જ્યાં પણ મોકલશે હું ત્યાં કામ કરીશ.