નવરાત્રીમાં કારના વેચાણમાં મોટો ઉછાળો, અધધ આટલા ટકા વધુ કાર વેચાઈ!
કોરોના બાદ હવે ભારતીય અર્થવ્યવસ્થા પાટા પર ચડી રહી હોય એવુ લાગી રહ્યુ છે. આ નાણાકીય વર્ષમાં ઓટો રિટેલ વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. માત્ર નવરાત્રીમાં જ વાહનોની ખરીદીમાં 57%નો ઉછાળો જોવા મળ્યો છે.
નવી દિલ્હી : કોરોના બાદ હવે ભારતીય અર્થવ્યવસ્થા પાટા પર ચડી રહી હોય એવુ લાગી રહ્યુ છે. આ નાણાકીય વર્ષમાં ઓટો રિટેલ વેચાણમાં જબરદસ્ત વૃદ્ધિ જોવા મળી છે. માત્ર નવરાત્રીમાં જ વાહનોની ખરીદીમાં 57%નો ઉછાળો જોવા મળ્યો છે. ગયા વર્ષની સરખામણીમાં આ વર્ષે નવરાત્રીમાં વાહનોના વેચાણમાં 57 ટકાનો વધારો થયો છે. ફેડરેશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ એસોસિએશન દ્વારા સોમવારે જારી કરાયેલા આંકડા અનુસાર, તમામ શ્રેણીના વાહનોના વેચાણમાં નોંધપાત્ર વધારો થયો છે. ટુ વ્હીલર, થ્રી વ્હીલર, કોમર્શિયલ વ્હીકલ, પેસેન્જર વ્હીકલ, ટ્રેક્ટર વગેરેમાં મોટો ઉછાળો આવ્યો છે.
ટુ વ્હીલરમાં 52 ટકા, થ્રી વ્હીલરમાં 115 ટકા, કોમર્શિયલ વાહનોના વેચાણમાં 48 ટકા, પેસેન્જર વાહનોના વેચાણમાં 70 ટકા, ટ્રેક્ટરના વેચાણમાં 58 ટકાનો વધારો નોંધાયો છે. એફડીએ દ્વારા કહેવામાં આવ્યું છે કે, નવરાત્રિ માટે પ્રથમ વખત વેચાણના આંકડા જાહેર કર્યા છે. જ્યારે તેની સરખામણી 2019 સાથે કરવામાં આવે તો તેમાં 16 ટકાનો વધારો જોવા મળ્યો છે. સૌથી વધુ વધારો ટુ વ્હીલર, થ્રી વ્હીલર, સીવી, પીવી, ટ્રેક્ટરમાં જોવા મળ્યો છે.
FADMના પ્રમુખ મનીષ રાજ સિંઘાનિયાએ જણાવ્યું કે, આ વર્ષે 26 થી 5 ઓક્ટોબર સુધી નવરાત્રી ઉજવાઈ હતી. નવરાત્રિમાં વાહનોનું જબરદસ્ત વેચાણ થયું છે. ત્રણ વર્ષના ગાળા બાદ વાહનોના વેચાણમાં આ જબરદસ્ત વેચાણ જોવા મળ્યું છે. ટુ વ્હીલરના વેચાણમાં સતત ઘટાડો જોવા મળ્યો હતો. તે કોરોના સમયગાળા પછી પ્રથમ વખત સકારાત્મક જોવા મળ્યો છે. બીજી તરફ ઓટો ઉદ્યોગના નિષ્ણાતોનું કહેવું છે કે આગામી તહેવારોની સિઝનમાં પણ વાહનોનું વેચાણ વધતું રહેશે.