અદાણી પોર્ટ ફ્રેન્ચ કંપની સાથે મળીને મુંદ્રામાં કન્ટેઇનર ટર્મિનલ બાંધશે
મુંબઇ, 5 જુલાઇ : ભારતની કંપની અદાણી પોર્ટ્સ એન્ડ સ્પેશ્યલ ઇકોનોમિક ઝોન લિમિટેડ (APSEZ) વિશ્વની ત્રીજા નંબરની સૌથી મોટી કન્ટેઇનર શિપિંગ કંપની CMA CGM Group સાથે મળીને પશ્ચિમ ભારતમાં આવેલા ગુજરાતમાં મુંદ્રા બંદર ખાતે નવું કન્ટેઇનર ટર્મિનલ બાંધશે. ભારતમાં આ ફ્રેન્ચ કંપની દ્વારા આ સૌપ્રથમ પોર્ટ રોકાણ છે.
બોમ્બે સ્ટોક એક્સચેન્જને શુક્રવારે આપેલા એક નિવેદનમાં અદાણી પોર્ટે જણાવ્યું હતું કે ગુજરાતમાં આવેલા અદાણીના મુંદ્રા કોમપ્લેક્સમાં આ ચોથું ટર્મિલન બંધાશે. આ ટર્મિનલ 50-50 ટકાની ભાગીદારી સાથે બે વર્ષમાં બાંધવામાં આવશે.
આ નવા ટર્મિનલને કારણે મુંદ્રા બંદરની કુલ ક્ષમતામાં 30 ટકાનો વધારો થશે. જેના કારણે તે ભારતનું સૌથી મોટું પોર્ટ બની જશે. આ રોકાણ અંદાજે રૂપિયા 2100 કરોડનું હોવાનું જાણવા મળે છે. આ ટર્મિનલનું બાંધકામ જાહેરાત બાદ તરત જ શરૂ થઈ જશે. આ પ્રોજેક્ટના ભાગરૂપે 16.5 મીટરની પાણીની ઉંડાઇ ધરાવતી 650 મીટરની જેટીનું બાંધકામ પણ કરાશે. આ આંતરરાષ્ટ્રીય સ્તરના ટર્મિલનમાં પ્રારંભમાં 65 ટનની ક્ષમતા ધરાવતી રેલ માઉન્ટેડ ક્વે ક્રેન્સના ચાર યુનિટ રહેશે. આ ક્રેન્સ 18,000 ટીઇયુ વેસેલ્સ તથા સુપર પોસ્ટ અને અલ્ટ્રા લાર્જ કન્ટેનર વેસેલ્સનું હેન્ડલિંગ કરવાની ક્ષમતા ધરાવે છે. યાર્ડ ઇક્વિપમેન્ટમાં 12 લિફટ રબર ટાયર્ડ કન્ટેનર ગેન્ટ્રી ક્રેનનો સમાવેશ થાય છે.
નોંધનીય છે કે ગુજરાતના અબજોપતિ ઉદ્યોગપતિ ગૌતમ અદાણીની કંપની અદાણી પોર્ટ્સે તાજેતરના વર્ષોમાં પોતાનો વેપાર વધાર્યો અને વિસ્તાર્યો છે. જેના કારણે તે દેશની સૌથી મોટી પોર્ટ ડેવલપર કંપની બની ગઇ છે. નોંધનીય છે કે આ વર્ષે મે મહિનામાં કંપનીએ પૂર્વ ભારતમાં આવેલું ધમ્રા બંદર ખરીદ્યું હતું. કંપની ચેન્નઇમાં એન્નોરમાં અને ઓરિસ્સાના ધામ્રા બંદરને વિકસાવશે.