બેંક ATMનો બિનજરૂરી ઉપયોગ કરતા પહેલા બે વાર વિચારજો
નવી દિલ્હી, 1 ડિસેમ્બર : સામાન્ય રીતે નજીકના એટીએમમાંથી પૈસા લઇ આવીશું તેવા બેફિકરાઇ ભર્યા આર્થિક વ્યવહારોની લાઇન લગાવી દેનારાઓએ હવે તેમનો હાથ એટીએમના ઉપયોગ પર ખેંચાતો રાખવો પડશે. એટીએમના વધેલા ઉપયોગને પગલે બેંકના ટ્રાન્ઝિક્શનની સંખ્યા નોંધપાત્ર રીતે ઘટી રહી છે. આ બાબતથી ચિંતિત બેંકોએ રિઝર્વ બેંકને આ સ્થિતિ પર અંકુશ લાદવા માટે વિનંતી કરી હતી.
આ વિનંતીને સ્વીકારીને રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયાએ ફ્રી એટીએમ ટ્રાન્ઝિક્શનની સંખ્યા આજથી ઘટાડી દીધી છે. હવેથી પાંચ વારથી વધુ વાર પૈસા ઉપાડવા પર ચાર્જ લાગશે.
ગ્રાહકનું ખાતું હોય તે બેંકના જ એટીએમમાંથી પાંચ વારથી વધુ રૂપિયા ઉપાડવા પર આજથી રૂપિયા 20 સહિત સર્વિસ ટેક્સનો ચાર્જ લાગશે. આ સાથે જ આપેલી માર્યાદા કરતા વધુ પૈસા ઉપાડવા ઉપર પણ બેંકો 8.5 રૂપિયાનો ચાર્જ વસૂલશે.
આ સાથે જ અન્ય બેંકના એટીએમમાંથી માત્ર ત્રણ વાર ફ્રીમાં રૂપિયા ઉપાડી શકાશે. એથી ઉપરના દરેક ટ્રાન્ઝિક્શન પર 20 રૂપિયાનો ચાર્જ લાગશે. જ્યારે નોન ફાયનાન્સિયલ ટ્રાન્ઝિક્શન પર સાડા આઠ રૂપિયાનો ચાર્જ લાગશે.
આ નવો નિયમ અગાઉ દિલ્હી, મુંબઈ, ચેન્નઈ, કોલકાતા, હૈદરાબાદ અને બેંગલુરુમાં પહેલી નવેમ્બરથી અમલી છે.