જીએસટી રિટર્ન નહીં ભરનારા સાવધાન, સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે!
જીએસટી રિટર્ન નહીં ભરનારા સાવધાન, સંપત્તિ પણ જપ્ત થઈ શકે છે!
જીએસટી રિટર્ન ફાઇલ નહીં કરનારાઓ માટે આ સાવધાન થઈ જવાનો સમય છે. કેમ કે આવનારા સમયમાં ટેક્સ અધિકારી તમારા બેંક એકાઉન્ટ સહિત સંપત્તિ જપ્ત કરી શકે છે. સીબીઆઈસી (Central Board of Indirect Taxes and Customs)ના નવા નિયમો અનુસાર જીએસટી કમિશનર કેન્દ્રિય જીએસટી એક્ટની કલમ 83 હેઠળ સંપત્તિ જપ્ત કરી શકે છે. આ ઉપરાંત નિયત સમયગાળા દરમિયાન રિટર્ન ભરવામાં ન આવ્યા હોય તેવા કિસ્સાઓમાં નોંધણી પણ રદ કરી શકે છે.
પ્રોપર્ટી જપ્ત થઈ શકે
આ નિર્ધારિત સમયગાળાની અંતિમ તારીખ હજુ સુધી નિશ્ચિત નથી. આ સેક્શન અનુસાર કમિશનર કોઈપણ સંપત્તિ અને બેંક એકાઉન્ટ સીલ કરી શકે છે. આ માટે તે પ્રોપર્ટીના વિવરણ સાથે એક આદેશ જારી કરશે અને તે બાદ 15 દિવસમાં રિટર્ન નહીં ભરનારા સામે આ કાર્યવાહી કરવામાં આવશે.
નોટિસ મોકલવામાં આવશે
ઇકોનોમિક ટાઇમ્સના એક અહેવાલમાં જણાવ્યા અનુસાર, પહેલી 5 નોટિસ મોકલ્યા બાદ પણ રિટર્ન નહીં ભરવા પર 15 દિવસની અસેસમેન્ટ નોટિસ મોકલવામાં આવશે. તેમ છતાં પણ રિટર્ન ફાઇલ ન કરનારા વેપારી દ્વારા કોઈ પ્રતિક્રિયા ન મળતા આખરે અધિકારી ઉપલબ્ધ રેકોર્ડ અને ડેટાના આધારે આકારણી કરીને 30 દિવસ પછી કરની રકમની વસૂલાત કરશે. સીબીઆઈસીએ એ સાફ કર્યુ છે કે આ જ સમયસીમાંનું દેશભરમાં પાલન થશે અને એક જ ફોર્મ અને ફોર્મેટમાં નોટિસ મોકલવામાં આવશે.
ટેક્સ વધારવા પર સરકારનો ભાર
હાલમાં સરકાર તેની આવક વધારવા માટે ટેક્સ વસૂલાતમાં ભાર મુકી રહી છે. કારણ કે છેલ્લા કેટલાક મહિનાઓમાં ટેક્સ વસૂલાતમાં ઘટાડો નોંધાયો છે. જીએસટી કાઉન્સિલની તાજેતરમાં યોજાયેલી બેઠકમાં ટેક્સ કલેક્શન વધારવા મુદ્દે ચર્ચા થઈ હતી. આ ઉપરાંત કેન્દ્ર સરકારે ઓગસ્ટ અને સપ્ટેમ્બરના જીએસટી વળતરના 35,298 કરોડ રૂપિયા રાજ્યોને ચુકવ્યા છે. રાજ્યની સરકારો આવકની ધીમી ગતિ અને આર્થિક મુશ્કેલીઓને કારણે જીએસટી વળતરની માંગ કરી રહી હતી.
પર્સનલ લોન: લોન લેતા પહેલા આ 10 બાબતોનું ધ્યાન રાખો, ફાયદામાં રહેશો