GST મુદ્દે કેન્દ્ર, રાજ્યોની સંધિ; સંસદીય સત્રમાં બિલ રજૂ થશે
નવી દિલ્હી, 16 ડિસેમ્બર : છેલ્લી ઘડીએ કેન્દ્ર સરકારે ગૂડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (જીએસટી - GST)ની જાળમાંથી પેટ્રોલિયમ પદાર્થોને બહાર રાખવાનો નિર્ણય લેતા જ રાજ્યોએ એપ્રિલ, 2016થી જીએસટીના અમલ માટેની તૈયારી દર્શાવી દીધી છે.
આ અંગે સૂત્રોએ જણાવ્યું છે કે 'રાજ્યોની ચિંતાઓને ધ્યાનમાં રાખવામાં આવી છે. સોમવારે સંમતિ સધાઈ ગઈ હતી કે શરૂઆતના થોડા વર્ષો જીએસટીમાંથી પેટ્રોલિયમ પદાર્થોને બાકાત રાખવામાં આવશે અને તેમાં તેને સમાવવાનો નિર્ણય પાછળથી લેવાશે.'
રાજ્યોને મહેસૂલી આવકમાં થતા નુકસાનની ભરપાઈ કરવાના મુદ્દે નાણાં મંત્રાલય તેને બંધારણી સુધારણા કાયદામાં કેવી રીતે સમાવી શકાશે તેના પર કાયદાકીય અભિપ્રાય મેળવશે. સરકાર સંસદના ચાલુ શિયાળુ સત્રમાં જીએસટી બિલ લાવવા માંગે છે.
નાણાપ્રધાન અરુણ જેટલી અને પંજાબ, હરિયાણા, ગુજરાત, તમિળનાડુ, મહારાષ્ટ્ર, કર્ણાટક અને જમ્મુ અને કાશ્મીર સહિત સાત રાજ્યોના નાણાપ્રધાનો વચ્ચે એક કલાકથી વધારે બેઠકો ચાલી હતી, જેમાં આ સમાધાનકારી ફોર્મ્યુલા પર સંમતિ સધાઈ હતી. એમ્પાવર્ડ કમિટીના ચેરમેન અબ્દુલ રહિમે બેઠક પૂર્ણ થયા પછી કહ્યું હતું કે 'જીએસટી પર વિસ્તૃત ચર્ચા થઈ હતી. ચર્ચા હકારાત્મક દિશામાં થઈ હતી.'
ગયા અઠવાડિયે જીએસટીના માળખા પર કેન્દ્ર અને રાજ્યો વચ્ચેની વાટાઘાટ જીએસટીની જાળમાં એન્ટ્રી ટેક્સ અને પેટ્રોલિયમ પદાર્થો પર વેટને સામેલ કરવાના મુદ્દે મડાગાંઠ સર્જાઈ હતી. પેટ્રોલ અને અન્ય પેટ્રો ઉત્પાદનો પરના કરવેરામાંથી પોતાની 50 ટકાથી વધારે આવક મેળવતા રાજ્યો આ વેરાને જીએસટીમાંથી બાકાત રાખવા ઇચ્છતાં હતાં, જેથી તેઓ આ ઉત્પાદનો પર કરવેરાના વિવિધ દર લાગુ કરવાની ચાલુ રાખી શકે. રાજ્યો ઇચ્છે છે કે વળતરને બંધારણીય સુધારા કાયદામાં સામેલ કરવામાં આવે.