કંપની નાણાકીય વર્ષ 2015માં 11 ટકા પગાર વધારો આપશે : સર્વે
નવી દિલ્હી, 19 નવેમ્બર : ભારતમાં કંપનીઓએ વ્યૂહાત્મક ખર્ચમાં વધારો કર્યો છે. જેના પગલે ચાલુ નાણાંકીય વર્ષ દરમિયાન ભારતીય કંપનીઓ સરેરાશ 11 ટકા વેતનવૃદ્ધિ આપે તેવી શક્યતાઓ વ્યક્ત કરવામાં આવી છે.
આ સંદર્ભમાં MyHiringClub.com અને FlikJobs.com દ્વારા કરવામાં આવેલા સર્વેમાં આશરે 92 ટકા જેટલી કંપનીઓએ જણાવ્યું હતું કે ચાલુ વર્ષે તેઓ તેમના કર્મચારીઓને ઈન્ક્રીમેન્ટ આપશે. જ્યારે 90 ટકા કંપનીઓ બોનસ આપે તેવી શક્યતા છે. તમામ ઈન્ડસ્ટ્રીઝમાં સરેરાશ 11 ટકાની વેતનવૃદ્ધિ અને 10 ટકાનું બોનસ અપાય તેવી શક્યતા છે.
વર્તમાન અપ્રેઝલ સિઝનમાં વેતન અને બોનસ દ્વિ-અંકીય રહે તેવી સંભાવના છે. કંપનીઓ દ્વારા અપાનારું સંભવિત ઈન્ક્રીમેન્ટ 11 ટકાની રેન્જમાં જ્યારે બોનસ 10 ટકાની રેન્જમાં રહેશે.
ચાલુ વર્ષે કંપનીઓ દ્વારા અપનારા ઈન્ક્રીમેન્ટ મુખ્યત્વે કર્મચારીઓના વાર્ષિક વેતનના 5-10 ટકાની રેન્જમાં અને બોનસ 5-20 ટકાની રેન્જમાં રહેવાની સંભાવના છે. ગત વર્ષની સરખામણીએ ચાલુ વર્ષે ઈન્ક્રીમેન્ટ અને બોનસની ટકાવારીમાં 1-2 ટકાનો વધારો થયો છે, જેમાં સૌથી વધુ અસર ટોચના મેનેજમેન્ટ લેવલે જોવાશે.
આ સર્વેમાં કંપનીના સીઈઓ, સીએફઓ, નાણાકીય વિભાગના વડા, હ્યુમન રિસોર્સ વિભાગના વડા સહિત 5,754 ટોચના અધિકારીઓ તથા 22.300 કર્મચારીઓને આવરી લેવાયાં હતાં. ભારતીય અર્થતંત્રની ગતિમાં વૃદ્ધિ થઈ હોવાના સંકેતો જણાઈ રહ્યાં છે જે વેતનમાં વૃદ્ધિ, બોનસ અને ઈન્સેન્ટિવ વગેરે દ્વારા કર્મચારીઓ પાછળના વ્યૂહાત્મક ખર્ચમાં તબદીલ થશે.