ખાધ અને ફુગાવા નિયંત્રણને પ્રાથમિકતા : અરૂણ જેટલી
નવી દિલ્હી, 27 મે : નાણા અને ઉદ્યોગ બાબતોના નાવ કેન્દ્રીય મંત્રી અરૂણ જેટલીએ આજે પદભાર સંભાળ્યા બાદ યોજેલી પત્રકાર પરિષદમાં જણાવ્યું કે ફુગાવા પર અને રોકાણકારોના વિશ્વાસને ફરીથી પાછો મેળવી આપવો તથા ખાધ પર નિયંત્રણ કરીને વૃદ્ધિને પ્રોત્સાહન આપવું તે અમારી પ્રાથમિકતા રહેશે.
નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં બનેલી સરકારમાં નાણા તથા રક્ષા મંત્રી બનાવવામાં આવેલા અરૂણ જેટલીએ જણાવ્યું કે 'કામચલાઉ રીતે હું રક્ષા મંત્રાલયની જવાબદારી પણ સંભાળીશ, પરંતુ આ મંત્રીમંડળનો વિસ્તાર થવા સુધી જ વધારાની જવાબદારી હશે.'
નાણા પ્રધાન તરીકે કઇ બાબતોને પ્રાથમિકતા અપાશે તે અંગે અરૂણ જેટલીએ જણાવ્યું કે 'મને ખબર છે કે હું અત્યંત પડકારજનક સમયમાં કાર્યભાળ સંભાળી રહ્યો છું. જ્યારે ભારતીય અર્થવ્યવસ્થામાં વિશ્વાસ મજબૂત કરવાની જરૂર છે.'

તેમણે જણાવ્યું કે 'અમારી સરકારને જે જનાદેશ મળ્યો છે તેમાં અમારી આશા જીવંત છે. રાજકીય બદલાવ સ્વયંમાં વૈશ્વિક સમુદાય અને ઘરેલુ રોકાણકારો બંને માટે મજબૂત સંદેશ હોય છે. મને લાગે છે કે આવતા બે મહિનામાં નિર્ણય લેવાની પ્રક્રિયા ઝડપી બનાવીને તેમાં આગળ વધીશું. નવી સરકારની નવી નીતિને થોડા દિવસોમાં જાહેર કરીશુ.'
તેમણે જણાવ્યું કે 'નવી સરકારની સંપૂર્ણ નીતિ માટે આપે થોડા વધુ દિવસ રાહ જોવી પડશે.' શું તેઓ વૃદ્ધિદરની કિંમતે ફુગાવા પર ધ્યાન આપશે ત્યારે જેટલીએ કહ્યું કે અમારે સંતુલન સાધવાનું કામ કરવું પડશે. ભારતે કેટલાક વર્ષો સુધી નવ ટકાનો વૃદ્ધિદર નોંધાવ્યો હતો. પરંતુ વર્ષ 2008ની વૈશ્વિક આર્થિક મંદીને પગલે તેમાં ઘટાડો નોંધાયો હતો. વર્ષ 2012-13માં વૃદ્ધિદર ઘટીને 4.5 ટકા પર આવી ગયો. વર્ષ 2013-14માં તેમાં મામુલી વધારો થઇને તે 4.9 ટકાના દરે છે. જ્યારે ચાલુ નાણાકીય વર્ષમાં તે દર 5.5 ટકા રહેવીની સંભાવના છે.












Click it and Unblock the Notifications
