ક્રિપ્ટોકરન્સી ક્યારેય લીગલ ટેન્ડર નહીં બને, ફક્ત આરબીઆઈની ડિજિટલ કરન્સીને સમર્થન આપશે-નાણા સચિવ
નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે ક્રિપ્ટો રોકાણકારોને મોટો ઝટકો આપ્યો, હવે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લાગશે.
નવી દિલ્હી, 2 જાન્યુઆરી : નાણામંત્રી નિર્મલા સીતારમણે મંગળવારે સંસદમાં કેન્દ્રીય બજેટ રજૂ કર્યું. આ દરમિયાન તેમણે ક્રિપ્ટો રોકાણકારોને મોટો ઝટકો આપ્યો, હવે ક્રિપ્ટોકરન્સી પર 30 ટકા ટેક્સ લાગશે. ત્યારથી સવાલો ઉઠી રહ્યા હતા કે શું ક્રિપ્ટો હવે લીગલ ટેન્ડર બની ગયું છે? નાણા સચિવ ટીવી સોમનાથને બુધવારે જવાબ આપ્યો. તેમણે સ્પષ્ટ કર્યું કે બિટકોઇન, ઇથેરિયમ અથવા NFTs ક્યારેય લીગલ ટેન્ડર બનશે નહીં.
નાણા સચિવ ટીવી સોમનાથનના જણાવ્યા અનુસાર, ડિજિટલ કરન્સીને આરબીઆઈનું સમર્થન મળશે, જે ક્યારેય ડિફોલ્ટ નહીં થાય. પૈસા આરબીઆઈના હશે પરંતુ તે ડિજીટલ હશે. RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ રૂપિયો દેશમાં એકમાત્ર કાનૂની ટેન્ડર હશે. બાકી બધા કાનૂની ટેન્ડર નથી અને ક્યારેય લીગલ ટેન્ડર બનશે નહીં. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે બિટકોઇન, ઇથેરિયમ અથવા NFTs ક્યારેય કાયદેસર બનશે નહીં. ક્રિપ્ટો અસ્કયામતો એવી અસ્કયામતો છે જેનું મૂલ્ય બે લોકો વચ્ચે નક્કી થાય છે. તમે સોનું, હીરા, ક્રિપ્ટો ખરીદી શકો છો, પરંતુ સરકાર દ્વારા કોઈ કિંમત અધિકૃત કરવામાં આવશે નહીં.
પોતાનો મુદ્દો સમજાવતા તેમણે કહ્યું કે ખાનગી ક્રિપ્ટો રોકાણકારોએ જાણવું જોઈએ કે આ માટે કોઈ સરકારી સત્તા નથી. તમારું રોકાણ સફળ થશે કે નહીં તેની કોઈ ગેરંટી નથી. આ રોકાણમાં નુકસાન થઈ શકે છે અને તેના માટે સરકાર જવાબદાર નથી. નાણા સચિવે કહ્યું કે સરકારની નીતિમાં કૃષિ સિવાયની અન્ય તમામ આવક કરપાત્ર છે. અમારી પાસે હાલમાં ક્રિપ્ટોકરન્સી પર સ્પષ્ટતા નથી કે તે વ્યવસાયિક આવક છે, મૂડી લાભો છે કે સટ્ટાકીય આવક છે. કેટલાક લોકો તેમની ક્રિપ્ટો સંપત્તિ જાહેર કરે છે, કેટલાક નહીં. હવે દરેક વ્યક્તિએ સમાન દરે 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે.
નાણા સચિવના જણાવ્યા અનુસાર, આ 30 ટકા ટેક્સ નિયમ માત્ર ક્રિપ્ટો માટે નથી. જો તમે હોર્સ રેસિંગમાં રોકાણ કરીને કમાણી કરો છો, તો તેના પર પણ 30 ટકા ટેક્સ ચૂકવવો પડશે. આ જ નિયમ ક્રિપ્ટોને લાગુ પડે છે. ઇથેરિયમનું વાસ્તવિક મૂલ્ય કોઈ જાણતું નથી. તેના દરમાં દરરોજ વધઘટ થાય છે. આવી સ્થિતિમાં ક્રિપ્ટો દ્વારા કમાણી કરનારાઓએ હવે 30% ટેક્સ ચૂકવવો પડશે. આ ભારત સરકારની નીતિ છે.