SBI ની હોમ લોન સસ્તી થતા 25 લાખ કમાઇ શકે ગ્રાહક, જાણો શું છે ગણિત
ભારતીય સ્ટેટ બેંકના ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યએ બતાવ્યુ કે હોમ લોન સસ્તી થતા ગ્રાહકોને કેવી રીતે ફાયદો થશે અને બેંકના ગ્રાહક કેવી રીતે 25 લાખ રુપિયા કમાઇ શકશે...
ભારતીય સ્ટેટ બેંકની ચેરમેન અરુંધતિ ભટ્ટાચાર્યએ સોમવારે કહ્યુ કે હોમ લોનના દરોમાં થયેલો ઘટાડો લોનધારકોના પૈસા બચાવશે. અરુંધતિ ભટ્ટાચાર્યએ કહ્યુ કે હોમ લોનના વ્યાજ દર 8.6% થવાથી જેમણે 30 વર્ષ માટે 50 લાખ રુપિયાની લોન લીધી છે તેવા ગ્રાહકોને દર મહિને 2,333 રુપિયાનો ફાયદો થશે. તેમણે કહ્યુ કે આ રીતે ગ્રાહકોને દર વર્ષે લગભગ 27, 996 રુપિયાનો ફાયદો મળશે. તેને જો પૂરેપૂરા સમય માટે ગણવામાં આવે તો ગ્રાહકને લગભગ 8.39 લાખ રુપિયાનો ફાયદો થઇ શકે છે. ઇએમઆઇ ઓછી થવાને કારણે જે પૈસા બચે તેનુ ગ્રાહક રિકરિંગ ડિપોઝીટ તરીકે (6.5% ના દરે) રોકાણ કરે તો 30 વર્ષ બાદ 25.80 લાખ રુપિયા થઇ જશે.
તમને જણાવી દઇએ કે ભારતીય સ્ટેટ બેંકે સોમવારે જ માર્જિનલ કોસ્ટ લેંડિંગ રેટમાં ઘણો ઘટાડો કર્યો છે. ભારતીય સ્ટેટ બેંકે આ ઘટાડા બાદ હોમ લોનના દરોમાં પણ ઘટાડો કર્યો છે. આ ઘટાડા બાદ હોમ લોનના નવા દરો 75 લાખ રુપિયા સુધીની લોન લેનાર કોઇ નવી મહિલા ગ્રાહક માટે 8.60% હશે જ્યારે અન્ય માટે આ વ્યાજ દર 8.65 હશે. આ પહેલા મહિલાઓ માટે વ્યાજ દર 9.25% અને અન્ય માટે 9.30% હતા.
ભારતીય સ્ટેટ બેંક એક ખાસ લોન ઓફર પણ લાવ્યુ છે જે મુજબ 30 લાખ રુપિયા સુધીની લોન લેવા પર 8.50% ના દરે વ્યાજ આપવાનું રહેશે. આ ઓફરમાં શરુઆતના બે વર્ષ માટે વ્યાજ દર ફિક્સ રહેશે અને ત્યારબાદ તે ફ્લોટિંગ થઇ જશે એટલે કે બજારના હિસાબે વ્યાજ દર લાગશે. તમને જણાવી દઇએ કે નોટબંધી બાદ બેંકો પાસે ભારે માત્રામાં કેશ આવ્યુ છે માટે હવે બેંકોએ લોન સસ્તી કરી છે.