GSDPની સરખામણીમાં ગુજરાતમાં માત્ર 15 ટકા દેવું
Debt in Gujarat : ગુજરાત રાજ્યના જાહેર ઋણ અંગેના મીડિયાના પ્રશ્નના જવાબમાં, નાણા વિભાગના ઉચ્ચ અધિકારી, જે. પી. ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાત તેના દેવા અંગે ખૂબ જ સાવચેત અને વ્યવહારિક છે, અને જ્યારે GSDP-જાહેર દેવાના ગુણોત્તરની તુલના કરવામાં આવે છે, ત્યારે ગુજરાત રાજ્યમાં સૌથી આગળ છે. ઓડિશાને બાદ કરતાં અન્ય તમામ રાજ્યો કરતાં સારી સ્થિતિમાં છે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, ગુજરાતનું અર્થતંત્ર આ વર્ષે 24 લાખ કરોડ છે. કેન્દ્રએ નિર્ધારિત કર્યું છે કે, કોઈપણ રાજ્ય તેના જીએસડીપીના 27 ટકાની મર્યાદા સુધી દેવું લઈ શકે છે અને તેનાથી વધુ નહીં. ગુજરાતના કિસ્સામાં તે રૂપિયા 5.50 લાખ કરોડ છે.
જીએસડીપીની સરખામણીમાં ગુજરાતે માત્ર 15 ટકા દેવું લીધું છે. જીએસડીપીને ડેટ રેશિયો સાથે સરખાવીએ તો ગુજરાતનું દેવું ઓડિશાને બાદ કરતા અન્ય તમામ રાજ્યો કરતા ઓછું છે. ગુજરાત આ ક્ષેત્રમાં ખૂબ જ સાવચેત અને વ્યવહારિક છે અને સૌથી ઓછું દેવું લે છે.

ગુપ્તાએ જણાવ્યું હતું કે આ વર્ષે ગુજરાતના બજેટનું કદ અગાઉના વાર્ષિક બજેટ કરતાં 11 ટકા વધુ છે, જે રૂ. 31,000 કરોડ છે. તે અંગે વિસ્તૃત માહિતી આપતા નાણાં વિભાગના અન્ય અધિકારી આરતી કંવરે જણાવ્યું હતું કે વૃદ્ધિ માટે નાણાં ઉછીના લેવા પડે છે.
તેમણે જણાવ્યું હતું કે, સરકારનો પ્રયાસ હંમેશા શ્રેષ્ઠ ઉપલબ્ધ દરે લોન મેળવવાનો હોય છે. બધા ઉધાર સમાન નથી હોતા. ઉધાર લીધેલા નાણાંમાં ભારત સરકારની મૂડી સહાયનો સમાવેશ થાય છે જે પચાસ વર્ષ માટે વ્યાજમુક્ત લોન છે. ઋણમાં નાબાર્ડની લોન પણ સામેલ છે જે સૌથી ઓછા દરે ઉપલબ્ધ છે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, આગામી વર્ષ માટે ગુજરાતની રાજકોષીય ખાધ 1.86 ટકા અંદાજવામાં આવશે, જે 3 ટકાની નિર્ધારિત મર્યાદાથી ઘણી ઓછી છે. ગુજરાતનું જાહેર દેવું GSDPના 27.1 ટકાની મર્યાદામાં માન્ય છે. તે માત્ર 14.17 ટકાની રેન્જમાં છે.
સરકાર ધ્યાનમાં રાખે છે કે, આવનારી પેઢીઓ પર બોજ ન આવે. અગાઉના બજેટની સરખામણીએ આ વર્ષે બજેટમાં 11.5 ટકાનો વધારો થયો છે પરંતુ બજેટનું કદ નક્કી કરતી વખતે સરકાર રાજકોષીય ક્ષમતા વિશે વિચારે છે, એટલે કે ટેક્સ રિટર્ન. રાજ્ય પાસે રૂપિયા 1.50 લાખ કરોડની ટેક્સ આવક જે ઘણા રાજ્યો કરતા સારી છે. બાકી ગેરંટીની મંજૂરી મર્યાદા રૂપિયા 20,000 કરોડ છે, જેની સામે ગુજરાત પાસે માત્ર રૂપિયા 1464 કરોડ છે.
ગુપ્તાએ જણાવ્યું હતું કે, બજેટ હંમેશા વર્ષ 2005ના ગુજરાત ફિસ્કલ રિસ્પોન્સિબિલિટી એક્ટ અનુસાર અંતિમ સ્વરૂપ આપવામાં આવે છે. આ અધિનિયમના પરિમાણો બંધનકર્તા છે. કોવિડ રોગચાળાને કારણે વર્ષ 2020-21ને બાદ કરતાં ગુજરાત હંમેશા 2011 થી બજેટ રેવન્યુ સરપ્લસ રાખે છે.












Click it and Unblock the Notifications
