અમે 22 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ, બધી જગ્યાએ ભાજપની સરકાર નથીઃ ગૌતમ અદાણી
ગૌતમ અદાણી મુજબ પીએમ મોદી સાથે તેમના સંબંધો પર જે આલોચકો સવાલો ઉઠાવે છે, તેઓ ભૂલી જાય છે કે અદાણીની સફર ચાર દશક પહેલાં શરૂ થઈ હતી ત્યારે કોંગ્રેસનું શાસન હતું.
દુનિયાના ત્રીજા સૌથી અમીર ગૌતમ અદામીએ ઇન્ડિયા ટીવીને એક એક્સક્લૂસિવ ઇન્ટર્વ્યૂમાં જણાવ્યું કે તેમનો કારોબાર હરણફાડ ગતિએ વધવા પાછળ પીએમ મોદી સાથે સારા સંબંધ હોવાની વાત બિલકુલ પાયાવિહોણી છે, કેમ કે પોતે કેટલાય વિપક્ષ-શાસિત રાજ્યોમાં પણ કામ કરી રહ્યા છે. તેમણે કહ્યું, "અમારો તો ઉદ્દેશ્ય રહેશે કે જ્યાં-જ્યાં શક્ય હોય તે રાજ્યોમાં વધુમાં વધુ રોકાણ કરે... અદાણી ગ્રુપને ખુશી છે કે આજે અમે 22 રાજ્યોમાં કામ કરી રહ્યા છીએ અને બધા રાજ્યોમાં ભાજપની સરકાર નથી. કેરળમાં અમે વામમોર્ચા સરકાર સાથે પણ કામ કરી રહ્યા છીએ, બંગાળમાં મમતા દીદી સાથે પણ કામ કરી રહ્યા છીએ, નવીન પટનાયક સાથે પણ કામ કરી રહ્યા છીએ, જગનમોહન રેડ્ડી, કેસીઆર... દરેક જગ્યાએ જ્યાં ક્ષેત્રીય પાર્ટિઓની સરકાર છે, ત્યાં પણ કામ કરી રહ્યા છીએ... આજે હું દાવા સાથે કહી શકું છું કે તેમાંથી કોઈપણ સરકાર સાથે અમને જરાય તકલીફ નથી થઈ."
રજત શર્મા દ્વારા હોસ્ટ કરવામાં આવેલા કાર્યક્રમ 'આપ કી અદાલત'માં પહોંચેલા ગૌતમ અદાણીએ કહ્યું, "હું જણાવવા માંગું છું કે મોદીજી પાસેથી તમે કોઈ વ્યક્તિગત સહાયતા ના લઇ શકો... તમે તેમની પાસેથી નીતિ વિષયક વાત કરી શકો છો, તમે દેશના હિતમાં ચર્ચા કરી શકો છો, પરંતુ જે નીતિ બને છે, તે બધા માટે હોય છે, તે એકલા અદાણી ગ્રુપ માટે નથી બનતી."
60 વર્ષીય ઉદ્યોગપતિએ એમ પણ જણાવ્યું કે તેમના અબજોનો કારોબાર કરતા ગ્રુપ વિશે ગેરસમજણ છે કે તેને પ્રમોટ કરવામાં આવી રહ્યો છે, જેના પગલે બેંકો અને સામાન્ય માણસની બચત ખતરામાં આવી શકે ચે. તેમણે કહ્યું, "પાછલા 7-8 વર્ષમાં અમારી લોનમાં 11 ટકાનો વધારો થયો છે અને અમારી આવક 24 ટકા વધી છે... આજે અમારી કુલ સંપત્તિ અમારી લોનની સરખામણીએ 3થી 4 ગણા થઇ ચૂકી છે..."
90 મિનિટના શો દરમિયાન ગૌતમ અદાણીએ કહ્યું કે તેમનું માનવું છે કે વિપક્ષના નેતા રાહુલ ગાંધી વારંવાર તેમની વિરુદ્ધ ક્રોની કૈપિટલિઝ્મનો જે આરોપ લગાવે છે, તે 'રાજનીતિની મોડસ ઓપરેન્ડીનો એક ભાગ છે.' તેમણે રાજસ્થાનનું ઉદાહરણ આપ્યું, જ્યાં કોંગ્રેસની જ સરકાર છે.
કોંગ્રેસ શાસિત રાજસ્થાનમાં કરેલા 68000 કરોડ રૂપિયાના રોકાણનો ઉલ્લેખ કરતા તેમણે કહ્યું, "રોકાણ કરવું અમારું સામાન્ય કામ છે. રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતના આમંત્રણ પર હું રોકાણ સમ્મેલનમાં રાજસ્થાન ગયો હતો. બાદમાં રાહુલ ગાંધીએ પણ રાજસ્થાનમાં અમારા રોકાણની પ્રશંસા કરી હતી. હું જાણું છું, રાહુલની નીતિઓ પણ વિકાસ-વિરોધી નથી."
ગૌતમ અદાણી મુજબ જે ટિકાકારો પીએમ નરેન્દ્ર મોદી સાથે તેમના સંબંધો પર સવાલો ઉઠાવે છે, તેઓ ભૂલી જાય છે કે તેમની સફર લગભગ ચાર દશક પહેલાં શરૂ થઈ ગઈ હતી, ત્યારે દેશ પર કોંગ્રેસનું શાસન હતું.
"મારા જીવનમાં ત્રણ મોટા બ્રેક મળ્યા. પહેલી બ્રેક મળી 1985માં, જ્યારે રાજીવ ગાંધી વડાપ્રધાન હતા અને નવી આયાત-નિકાસ નીતિ આવી, અમારી કંપની એક ગ્લોબલ ટ્રેડિંગ હાઉસ બની. બીજી બ્રેક 1991માં મળી જ્યારે પીવી નરસિમ્હા રાવ અને ડૉ મનમોહન સિંહની સરકારના સમયમાં અમે પબ્લિક-પ્રાઇવેટ પાર્ટનરશિપ કરી શક્યા. જેનાથી દેશમાં ઇન્ફ્રાસ્ટ્રક્ચરને નવી દિશા મળી."
"અને ત્રીજી બ્રેક, નરેન્દ્ર મોદીના ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના 22 વર્ષના શાસનમાં મળી, હું ગર્વ સાથે કહી શકું છું, તે બહુ સારો અનુભવ રહ્યો." તેમણે ભાર આપી કહ્યું, "ગુજરાત ઈન્વેસ્ટર-ફ્રેન્ડલી છે, અદાણી ફ્રેન્ડલી નથી."
પાછલા વર્ષ દરમિયાન ગૌતમ અદાણીની સંપત્તિ કોઈપણ અન્ય અબજોપતિની સરખામણીએ વધુ વધી છે. તેમના ગ્રુપની કુલ સંપત્તિ 200 અબજ અમેરિકી ડૉલર છે, જેમાં ગ્રીન ઉર્જા, પોર્ટ, ખાણ, એરપોર્ટ અને મોટા ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સામેલ છે. ગૌતમ અદાણી મુજબ તેમની કંપનીએ એકેય યોજના ક્યારેય બોલી લગાવ્યા વિના હાંસલ નથી કરી, અને તેથી સરકાર પાસેથી વિશેષ ઉપકાર મળવાનો સવાલ જ પૈદા નથી થતો.
તેમણે કહ્યું, "લોકો જ્યારે આરોપ લગાવે છે તો જણાવે અમે એકેય કામ બિડિંગ (બોલી) લગાવ્યા વિના કર્યું હોય તો.. અમે બિડિંગ વિના, મેરિટ વિના, ક્યારેય કોઈ બિઝનેસમાં પ્રવેશતા નથી. અમને પણ ખબર છે, ભારતમાં તેવા પ્રકારના કામ કરવામાં વિવાદ વધી જાય છે. અદાણી ગ્રૂપની ફિલોસોફી રહી છે કે અમે બોલી લગાવ્યા વિના કોઈ પણ વસ્તુને સ્પર્શતા નથી... પછી તે પોર્ટ હોય, એરપોર્ટ હોય, રોડ હોય, વિજળીઘર હોય, એકેય બિઝનેસમાં અમે બિડિંગ વિના કામ નથી કર્યું. અમે બિડિંગને મેનેજ કરી હોવાનો અમારા પર એકપણ આરોપ નથી. બિડિંગ પ્રક્રિયામાં કોઈ ગડબડી કરી હોવાનો આક્ષેપ અમારા ઉપર રાહુલ ગાંધીએ પણ નથી લગાવ્યો."
ગૌતમ અદાણીના સક્સેસ મંત્ર વિશે પુછવામાં આવતાં તેમણે કહ્યું, "મહેનત, મહેનત અને મહેનત."