ગુજરાતને 5 વર્ષમાં બેરોજગાર મુક્ત રાજ્ય બનાવવા સરકારે યોજના ઘડી
ગાંધીનગર, 26 ડિસેમ્બર : ગુજરાત સરકાર નવી પહેલ કરવામાં દેશમાં સૌથી આગળ રહે છે. નવા વર્ષમાં પણ ગુજરાત સરકાર આ સિલસિલો ચાલુ રાખવા માંગે છે. ગુજરાત સરકાર આગામી પાંચ વર્ષ એટલેકે વર્ષ 2015થી 2020 સુધીમાં ગુજરાતને બેરોજગાર મુક્ત રાજ્ય બનાવવા માંગે છે. આ દિશામાં સરકારે આયોજનની તૈયારીઓ પણ કરી છે.
આ અંગે અગ્રણી બિઝનેસ દૈનિક ઇકોનોમિક ટાઇમ્સમાં પ્રકાશિત અહેવાલ અનુસાર રાજ્યની ઉદ્યોગ નીતિની મુદ્દત 31 ડિસેમ્બર,2014ના રોજ પૂરી થઈ રહી છે અને તે અગાઉ સરકારે 2015ની ઉદ્યોગ નીતિ તૈયાર કરી લીધી છે. જેની જાહેરાત પહેલી કે 11મી જાન્યુઆરીએ કરવામાં આવી શકે છે.
સર્વસામાન્ય ધારણા છે કે ગુજરાત ઔદ્યોગિક ક્ષેત્રે મોખરાનું રાજ્ય છે અને ઉદ્યોગો માટે લાલ જાજમ બિછાવવામાં આવે છે. પરંતુ આ નવી ઉદ્યોગ નીતિમાં ફેરફાર કરાયો છે. આ નીતિમાં 2015થી 2020 સુધીના પાંચ વર્ષમાં ગુજરાતને બેરોજગાર મુક્ત બનાવવાની બ્લ્યુ પ્રિન્ટ રજૂ કરવામાં આવી છે. પ્રથમવાર ઉદ્યોગ શરુ કરનારા સાહસિકો માટે સ્ટાર્ટ-અપ નીતિ અમલમાં મૂકીને તેમને અલગથી પ્રોત્સાહનો આપવાનું નક્કી કરાયું છે.
ગુજરાત સરકાર માને છે કે મોટા ઉદ્યોગોમાં કરોડો-અબજો રૂપિયાના મૂડીરોકાણ છતાં તેમાં રોજગારી મળવાની ટકાવારી ઓછી હોય છે. જ્યારે લઘુ અને મધ્યમ (એમએસએમઈ) ઉદ્યોગોમાં ઓછા મૂડીરોકાણે વધુ રોજગારી હાંસલ કરી શકાય છે એટલે નવી નીતિમાં સરકારે ગઉ ઉદ્યોગોને પ્રોત્સાહન પર વધુ ભાર આપ્યો છે.
રાજ્ય સરકારના આયોજન મુજબ ગુજરાતમાં હાલ આશરે 9 લાખ જેટલા લોકો બેરોજગાર છે ત્યારે દર વર્ષે લગભગ 1.60 લાખ લોકોને આ ક્ષેત્રમાંથી રોજગારી મળે તો આગામી પાંચ વર્ષમાં 'ગુજરાત બેરોજગાર-મુક્ત રાજ્ય' બની શકે છે અને તે ગણતરી મુજબ નીતિમાં એમએસએમઈ ક્ષેત્રમાં પ્રોત્સાહનોની લ્હાણી કરવામાં આવે તેમ મનાય છે.
હાલની નીતિમાં માઈક્રો ઉદ્યોગોને 7 ટકા વ્યાજ સબસીડી તથા લઘુ અને મધ્ય ઉદ્યોગોને 5 ટકા વ્યાજ સબસીડી અપાય છે પરંતુ નવી નીતિમાં માઈક્રો ઉદ્યોગો માટે વ્યાજ સબસીડી વધારીને 9 ટકા તથા નાના અને મધ્યમ ઉધોગો માટે વ્યાજ સબસીડી 7 ટકા કરવાનો નિર્ણય કર્યો છે, જે પૈકી મહિલા ઉદ્યોગ સાહસિક માટે 1 ટકા વ્યાજ સબસીડી, યુવા ઉદ્યોગ સાહસિકને 1 ટકા ઉપરાંત અનુસૂચિત જાતિ,જનજાતિ, ઓબોસી જેવી અનામત કક્ષાના ઉદ્યોગ સાહસિકોને વધારાની સબસીડી આપવામાં આવશે. આ ઉપરાંત કેસ સબસીડી અને સેલ્સ ટેક્ષ સબસીડીના દરમાં પણ વધારો કરાય તેવી શક્યતા છે.