કિંગફિશરના સ્ટાફે કામ શરૂ કર્યું, એરલાઇન્સ શરૂ થવા અંગે અનિશ્ચતતા
કર્મચારીઓ સાથે થયેલી સમજૂતી અનુસાર કિંગફિશરના વ્યવસ્થાપકો માત્ર 24 કલાકની અંદર કર્મચારીઓને પ્રથમ પગાર આપશે. ત્યાર બાદ આ મહિનાની અંતિમ તારીખ એટલે કે 31 ઑક્ટોબર પહેલા પગારનો બીજો હપ્તો, દિવાળી પહેલા પગારનો ત્રીજો હપ્તો અને ડિસેમ્બરમાં પગારનો ચોથો હપ્તો આપશે. આ ઑફર કર્મચારીઓએ સ્વીકારીને તાત્કાલિક ધોરણે કામ શરૂ કરવોનો નિર્ણય લીધો છે.
ગુરુવારના આ ઘટનાક્રમમાં હજી એ સ્પષ્ટતા થઇ શકી નથી કે કિંગફિશર એરલાઇન્સનું કામકાજ ક્યારથી શરૂ થશે. કારણ કે હાલ ડીજીસીએ દ્વારા તેનું લાયસન્સ રદ કરવામાં આવ્યું છે. કર્મચારીઓ છેલ્લા સાત મહિનાથી હડતાલ પર હોવાથી તેની ફ્લાઇટ્સ બંધ છે. આથી લાયસન્સ રદ કરવામાં આવ્યું હતું.
અગાઉ નાગરિક ઉડ્ડયન મંત્રી અજિત સિંહે કહ્યું હતું કે એરલાઇન્સે પોતાની ઉડાનો શરૂ કરવાની પરવાનગી મેળવ્યા પહેલાં તેને સુરક્ષા અને પગારની ચૂકવણી વિશે ઠોસ યોજના ડીજીસીએ સમક્ષ રજૂ કરવી પડશે. કિંગફિશર 8,000 કરોડ રૂપિયાના નુકશાનમાં છે. અને તેની ઉપર 7,000 કરોડ રૂપિયાનું દેવું છે.
પગાર ન મળવાને કારણે કર્મચારીઓ વિજય માલ્યાના ગ્રેટર નોયડામાં આવેલા ફોર્મ્યુલા-1 ટ્રેકને ઘેરવાની યોજના બનાવવામાં આવી હતી. જ્યારે બીજી તરફ મીડિયાના સવાલોના જવાબમાં માલ્યાએ ટિ્વટ કર્યું હતું કે 'હું આખું અઠવાડિયું પોતાના કામને કારણે વ્યસ્ત છું, મીડિયા મને ભાગેડું કહે છે કારણ કે હું તેમની સાથે વાત નથી કરતો.'