સ્વીસ બેંકમાં ભારતીય નાણાની યાદી નથી : અરૂણ જેટલી
નવી દિલ્હી, 9 જુલાઇ : ભારતમાં કાળા ધનનો મામલો હજી ઠંડો થયો નથી. સ્વીસ બેંક ભારતને કયા કયા ભારતીયોના કાળા નાણા છે તે અંગેની યાદી આપશે એવા સમાચારોએ મામલો ગરમાયો હતો. જો કે નાણા પ્રધાન અરૂણ જેટલીએ રાજ્યસભામાં સત્તાવાર જવાબ આપતા જણાવી દીધું છે કે સ્વીસ બેંક પાસે આવી કોઇ યાદી નથી.
બજાટ સત્ર દરમિયાન મંગળવારે રાજ્યસભામાં આ માહિતી ખુદ નાણા પ્રધાન અરૂણ જેટલીએ આપી હતી. જોકે આ બાબતે ભારત સરકારનું કહેવું છે કે સ્વિસ નેશનલ બેંકે પોતાની વેબસાઇટ પર જાહેર કર્યું હતું કે ભારતીયો સ્વિટઝરલૅન્ડની બેંકોમાં 2013ના અંતે 14,100 કરોડ રૂપિયાની ડિપોઝિટ ધરાવે છે. એક વર્ષ પહેલાં આંકડો 8547 કરોડ રૂપિયા હોવાનું પણ વેબસાઇટ પર જણાવવામાં આવ્યું હતું.
નાણાપ્રધાન અરુણ જેટલીએ રાજ્યસભામાં શાંતારામ નાઈકના પ્રશ્નના લેખિત ઉત્તરમાં જણાવ્યું હતું કે સરકારે 23 જૂને સ્વિસ સત્તાવાળાઓને પત્ર લખ્યો હતો અને ત્યાર બાદ પ્રસાર માધ્યમોમાં સમાચાર આવ્યા હતા કે ભારતીયો સ્વિસ બેન્કમાં મોટા પ્રમાણમાં નાણાં ધરાવે છે.
ભારત સરકારે ડાયરેક્ટ ટેક્સ અવોઇડન્સ કન્વેન્શન (DTAC)ની કલમ 26ની જોગવાઈઓ મુજબ લખેલા પત્રનો જવાબ સ્વિસ સત્તાવાળાઓએ 4 જુલાઈના પત્ર દ્વારા આપ્યો છે. એમાં કહેવામાં આવ્યું છે કે ભારતીયો સ્વિસ નાણાકીય સંસ્થાઓમાં મિલકતો ધરાવતા હોય એવી કોઈ યાદી તેમની પાસે નથી.
સરકારે વિદેશમાં રખાયેલાં કાળાં નાણાં પાછાં લાવવા માટે કયાં પગલાં લીધાં છે એ વિશેના જવાબમાં જેટલીએ કહ્યું હતું કે નાણાં મંત્રાલયે સર્વોચ્ચ અદાલતના ભૂતપૂવર્ ન્યાયમૂર્તિ એમ. બી. શાહના વડપણ હેઠળ વિશેષ તપાસટુકડીની રચના કરી છે. ટુકડીનું કાર્ય ચાલી રહ્યું છે.
ઈશ્વરલાલ શંકરલાલ જૈનના બિનતારાંકિત પ્રશ્નના જવાબમાં નાણાં ખાતાનાં રાજ્યકક્ષાનાં પ્રધાન નર્મિલા સીતારામને પણ કહ્યું હતું કે સ્વિસ સરકારે કાળાં નાણાં ધરાવતા શકમંદ ભારતીયોની કોઈ યાદી નથી આપી.