RBIની ધિરાણ નીતિ જાહેર, તમામ દરો યથાવત રાખ્યા, માર્કેટ રેડ ઝોનમાં
નવી દિલ્હી, 5 ઓગસ્ટ : આજે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા (આરબીઆઇ - RBI)એ પોતાની પોલિસી જાહેર કરતાં તમામ દરો યથાવર રાખતા વ્યાજદરમાં કોઈ ફેરફાર કર્યાં નથી. જેના પગલે શેરબજાર રેડ ઝોનમાં કારોબાર કરી રહ્યું છે.
RBIના ગર્વનર રઘુરામ રાજને પોલિસીની જાહેરાત કરતાં રેપોરેટ અને રિવર્સ રેપોરેટમાં પણ કોઈ બદલાવ કર્યાં નથી. આ અપરિવર્તનને કારણે રેપો રેટ 8 ટકા પર સ્થિર છે, જ્યારે રિવર્સ રેપોરેટ 7 ટકા પર સ્થિર છે. જ્યારે SLRમાં 50 બેઝ્ડ પોઈન્ટનો ઘટાડો કર્યો છે.
આ પરિણામે SLR 22 ટકા થઈ ગયો છે. જ્યારે CRR 4 ટકા, બેંક રેટ 9 ટકા અને એમએસએફ 9 ટકા રેટ પર કાયમ છે.
રઘુરામ રાજને નાણાંકિય વર્ષ 2015માં 5.5 ટકા જીડીપીનું અનુમાન રાખ્યું છે. જ્યારે મોંઘવારી દર 8 ટકા રહેવાનું અનુમાન છે. સાથે તેમણે જાન્યુઆરી 2016 સુધીમાં મોંઘવારી દર 6 ટકા સુધી સ્થિર રાખવાનું અનુમાન કર્યું છે. SLRમાં ઘટાડા અંગે ગર્વનરે જણાવ્યું કે વિકાસની ગતિમાં સુધારા માટે SLRમાં ઘટાડો જરૂરી છે.
RBI એ વ્યાજદર યથાવત રાખ્યાની ઘોષણા બાદ મુંબઈ શેરબજારમાં વઘઘટ જોવા મળી હતી. બપોરે 12.25 વાગ્યે BSE સેન્સેક્સ 156.86 પોઈન્ટ ગગડીને 25566.30 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. જ્યારે NSEનો નિફ્ટી 37.90 પોઈન્ટ ઘટીને 7,645.75 પોઈન્ટની સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો.
BSE મિડકેપ અને BSE સ્મોલકેપ ઈન્ડેક્સ અનુક્રમે 0.11 ટકા ઘટીને અને 0.12 ટકા વધીને ટ્રેડ થઈ રહ્યા હતા. આરબીઆઇની ઘોષણા બાદ ઓટો તેમજ ફાર્મા શેરોમાં લેવાલી, જ્યારે પાવર, બેન્ક તેમજ રિયલ્ટી શેરોમાં વેચવાલી જોવા મળી છે.