આરબીઆઇનો નવો નિયમ - ચાલુ ખાતા ધારકો માટે ઉપાડની સીમા વધારાઇ
દેશભરમાં નોટબંધી લાગુ થવાના 83 દિવસ બાદ આખરે ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ ખાતા ધારકોને રાહત આપી છે.
દેશભરમાં નોટબંધી લાગુ થઇ હોવાના 83 દિવસ બાદ આખરે ભારતીય રિઝર્વ બેન્કે ચાલુ ખાતા ધારકોને રાહત આપી છે. તો બીજી બાજુ બચત ખાતા ધારકો માટેના નિયમોમાં કોઇ ફેરફાર કરવામાં આવ્યો નથી. ભારતીય રિઝર્વ બેન્કે જાહેર કરેલા આદેશ અનુસાર હવે ચાલુ ખાતા ધારક બેન્કમાંથી એક અઠવાડિયામાં 1 લાખ રૂપિયાથી વધુ ઉપાડી શકશે. અત્યાર સુધી ચાલુ ખાતા ધારકો એક અઠવાડિયામાં માત્ર 1 લાખ જ ઉપાડી શકતા હતા.
તો બીજી બાજુ બચત ખાતા ધારકોના નિયમમાં ખાસ ફેરફાર કરવામાં આવ્યો નથી. નવ નિયમ અનુસાર બચત ખાતા ધારક એક વારમાં એટીએમમાંથી હવે 24,000 રૂપિયા ઉપાડી શકશે, પરંતુ એક અઠવાડિયામાં 24,000થી વધુ રોકડ ઉપાડવા પર હજુ પણ પ્રતિબંધ છે. સાથે જ આરબીઆઇ એ તમામ બેન્કોને સૂચના આપી છે કે તેઓ ડિજિટલ પેમેન્ટ પર વધુ ફોકસ કરે અને રોકડની લેણ-દેણને હતોત્સાહિત કરે.
નોટબંધીના નિર્ણય બાદ આરબીઆઇ એ બચત ખાતા અને ચાલુ ખાતા ધારકો માટે રકમ ઉપાડવાની સીમા નિશ્ચિત કરી દીધી હતી. નોટબંધીના તુરંત બાદ બચત ખાતા ધારકોને પ્રતિ દિવસ એટીએમમાંથી 4000 રૂપિયા ઉપાડવાની છૂટ આપવામાં આવી હતી. એક અઠવાડિયા બાદ આ સીમા વધારીને 4500 રૂપિયા કરવામાં આવી હતી અને ત્યાર બાદ રૂપિયા 10,000 કરવામાં આવી. આમ છતાં, બેન્કમાંથી એક અઠવાડિયામાં માત્ર 24,000 રૂપિયા જ ઉપાડવાનો નિયમ હજુ બદલવામાં નથી આવ્યો.
અહીં વાંચો - RBI એ જેટલી નોટ છાપી, બેંકોએ તેનાથી પણ વધારે વેચી છે
હવે 30 જાન્યુઆરી, 2017ના રોજ આરબીઆઇ એ નવો આદેશ જાહેર કરતાં એક જ દિવસમાં 24,000 રૂપિયા ઉપાડવાની છૂટ બચત ખાતા ધારકોને આપી છે. તો બીજી બાજુ ચાલુ ખાતા ધારક 1 લાખ રૂપિયા કે તેથી વધુની રકમ પોતાના ખાતામાંથી ઉપાડી શકશે. નોટબંધી બાદ ચાલુ ખાતા ધારકો માટે પહેલાં એક અઠવાડિયામાં રૂપિયા 50,000ની સીમા નક્કી કરવામાં આવી હતી, જે 16 જાન્યુઆરીએ વધારીને 1 લાખ રૂપિયા કરવામાં આવી હતી. હવે ચાલુ ખાતા ધારકો માટે પણ આ સીમા સમાપ્ત કરી દેવામાં આવી છે.