ગુજરાતી વેપારીની દરિયાદિલી, 50 વૃદ્ધોને કરાવી વિદેશની સહેલ
ગુજરાતી વેપારી રિઝવાન આડતિયાએ કરાવી 50 સિનિયર સીટિઝનને મલેશિયા અને સિંગાપોરની ટૂર. આ ટૂરનો તમામ ખર્ચો આ વેપારીએ જ ઉઠાવ્યો.ત્યારે કોણ છે આ ગુજરાતી વેપારી જાણો અહીં.
ગુજરાતના વેપારી જગતમાં મોટું નામ ધરાવનાર રિઝવાન આડતિયા, જેટલા તેમના વેપાર માટે જાણીતા છે તેટલા તેમની સેવાકીય પ્રવૃત્તિ માટે પણ જાણીતા છે. આ માટે રિઝવાન આડતિયા ફાઉન્ડેશન સંસ્થાએ આ વખતે 50 જેટલા સીનિયર સિટિઝનને સિંગાપોર અને મલેશિયાની ટૂર કરાવી હતી. કુલ 7 દિવસની આ ટૂરમાં તેમણે આ તમામ વૃદ્ધજનોની સેવા પણ કરી અને તેમને જલસા પણ કરાવ્યા. સાથે સિંગોપોરની ચાર દિવસની મુલાકાત પછી તેમને ક્રૂઝમાં બેસાડીને મલેશિયા પણ લઇ જવાશે. આ માટે પાસપોર્ટથી લઇને હરવા ફરવાની તમામ જવાબદારી વેપારી રિઝવાનભાઇના ફાઉન્ડેશને જ સંભાળી હતી. નોંધનીય છે કે મૂળ પોરબંદરના રિઝવાનભાઇ હાલ આફ્રિકામાં પોતાનો બિઝનેસ ચલાવે છે.
વળી આવું પહેલી વાર નથી બન્યું કે રિઝવાનભાઇએ તેમની દરિયાદિલી બતાવી હોય આ પહેલા વર્ષ 2016માં પણ તે 50 વુદ્ધોને આ રીતે સિંગાપોર અને મલેશિયા લઇ ગયા હતા. વૃદ્ધાશ્રમમાં રહેતા આ 50 જેટલા વૃદ્ધજનોએ તેમનો આ પ્રવાસ ખૂબ જ ખુશીથી માણ્યો હતો. નોંધનીય છે કે રિઝવાનભાઇની માતાની મૃત્યુ પછી તેમને આ રીતે વૃદ્ઘજનોને વિદેશ પ્રવાસ કરાવવાનો નિર્ણય લીધો હતો. નોંધનીય છે કે ગુજરાતીઓ તેમની દરિયાદિલી અને સેવાવૃત્તિ માટે હંમેશાથી જાણીતા રહ્યા છે. અને રિઝવાનભાઇનો આ અનોખો પ્રયાસ પણ ખરેખરમાં સરાહનીય છે.