સરકારી બેંકોની સરળ કામગીરી માટે રોડમેપ તૈયાર : અરૂણ જેટલી
નવી દિલ્હી, 12 નવેમ્બર : કેન્દ્રની એનડીએ સરકારને યુપીએ સરકાર તરફથી વારસામાં મળેલી આર્થિક રીતે બિસ્માર સરકારી બેંકોના કામકાજમાં હવે ગતિ લાવવાની રૂપરેખા તૈયાર કરવામાં આવી રહી છે. સરકારની યોજના સફળ થશે તો આગામી નાણાકીય વર્ષના આરંભથી સરકારી બેંકોના કામકાજને પ્રોફેશનલ સ્વરૂપ આપવાની કેટલીક મહત્વની જાહેરાતો કરવામાં આવશે. આ ફેરફારોમાં બેંકોમાં ટોચના સ્તરે નિમણુંકોની પધ્ધતિ પણ બદલવામાં આવશે.
મોદી સરકાર આ માટે નક્કર વ્યવસ્થા ગોઠવી રહી છે. સરકારી બેંકોના પ્રમુખો સહિત તમામ ટોચના હોદ્દા પર (સ્વતંત્ર ડાયરેકટર સહિત) કોઇ રાજકીય હસ્તક્ષેપ ચાલશે નહિ. થોડા સમય પહેલા નાણા પ્રધાન અરૂણ જેટલીએ એક મુલાકાતમાં એવો નિર્દેશ આપ્યો હતો કે સરકારી બેંકોમાં હવે વર્ષોથી જે ચાલતું આવ્યું છે તે બાબત ચાલશે નહીં. બેંકોની કામગીરી સુધારવા માટે તેમજ તેની આર્થિક સ્થિતિ સુધારવા રિઝર્વ બેંક અને નાણામંત્રાલય બંને પોતપોતાના સ્તરે કામ કરી રહ્યા છે. ખાસ કરીને સરકારી બેંકોમાં ટોચના સ્તરે નિમણુંકોમાં પારદર્શિતા લાવવામાં આવશે અને પ્રોફેશનલ લોકોની આ હોદ્દા પર નિમણૂક કરવામાં આવશે.
સરકારી બેંકોને રાજકીય હસ્તક્ષેપથી કઇ રીતે દૂર રાખવી તે માટે જરૂરી કાયદા અને નિયમો નાણામંત્રાલય તૈયાર કરી રહ્યું છે. નવા નિયમો હેઠળ સરકારી બેંકોમાં ચેરમેન અને મેનેજીંગ ડિરેકટરના હોદ્દા અલગ રહેશે અને કોઇ રાજકીય નિમણૂક કરવામાં આવશે નહીં. આરબીઆઇને પણ જાહેર ક્ષેત્રની સરકારી બેંકોની નાણાકીય સ્થિતિ સુધારવા માટે પગલા ભરવા જવાબદારી સોંપવામાં આવી છે.
આ માટે આરબીઆઇ જરૂરી રોડમેપ તૈયાર કરી રહી છે. નાણા મંત્રાલયે સરકારી બેંકોમાં પોતાની લઘુત્તમ ભાગીદારી એક મર્યાદા ઘટાડીને ૫૨ ટકા કરવાનો પ્રસ્તાવ કર્યો છે. આ ઉપરાંત એનપીએની વધતી જતી સમસ્યા નિવારવા માટે કેટલાક નિયમો તૈયાર કરવામાં આવી રહ્યા છે.