સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા ઇસ્લામિક ઇક્વિટી ફંડ રજૂ કરશે
નવી દિલ્હી, 29 નવેમ્બર : ભારતમાં રહેલી ઇસ્લામિક બેન્કિંગ ક્ષેત્રની વિશાળ શકયતાઓને ધ્યાનમાં રાખીને સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ ઇસ્લામિક બેન્કિંગની દિશામાં આગળ વધવાનો નિર્ણય લીધો છે. આ માટે આગામી સમયમાં તે ઇસ્લામિક ઇક્વિટી ફંડ લાવશે.
દેશની સૌથી મોટી રાષ્ટ્રીયકૃત બેંક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાએ દેશમાં વસતા 170 મિલીયન મુસ્લિમોને રોકાણ કરવા તરફ આકર્ષિત કરવા માટે ઇસ્લામિક ઇકવિટી ફંડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. આ રીતે સ્ટેટ બેન્ક અંદાજે 18 મિલીયન ડોલર જેટલી મુડી એકઠી કરવા ધારે છે.
આ માટે સિકયુરીટી એન્ડ એકસચેન્જ બોર્ડ ઓફ ઇન્ડીયા (સેબી)માં સ્ટેટ બેન્ક અને અન્ય ત્રણ મ્યુચ્યુઅલ ફંડને શરીયા ફંડ લોન્ચ કરવા મંજુરી આપી દીધી છે. બેન્કને 1 ડિસેમ્બરથી લોન્ચ થનારા આ ફંડ થકી એક અબજ રૂપિયા પ્રારંભમાં આકર્ષિત કરવા ધારે છે.
ભારતમાં મોટા પ્રમાણમાં મુસ્લિમો શરીયતની પાબંદી અને વ્યાજથી દૂર રહેવાના કારણે બેકિંગ સિસ્ટમથી દૂર છે. આ ફંડમાં દારૂ, તમાકૂ, જુગાર, કેસિનો અને વ્યાજ મેળવતા નાણાં સંસ્થાઓને બાકાત રાખવામાં આવેશે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડના સીઈઓ અને એમડી દિનેશ ખારાએ જણાવ્યું હતું કે આ એક ડાઈવર્સિફાઈડ ફંડ હશે જેમાં લાર્જ કેપ, મિડ કેપ અને સ્મોલ કેપ ફંડને સમાવી લેવાશે.
મુંબઈ સ્ટોક એકસચેન્જમાંથી શરીયાને અનુરૂપ સ્ટોકને તારવીને કાર્યવાહી કરવામાં આવશે. ભારતના સ્ટોક એકસચેન્જમાં હાલ શરીયા મુજબની 600થી 700 કંપનીઓ છે. આ નવા ફંડનો વિરોધ ઓલ ઈન્ડિયા મુસ્લિમ પર્સનલ લો બોર્ડ દ્વારા પણ નથી કરાયો.