આજે બંકિમચંદ્ર ચટોપાધ્યાયની પુણ્યતિથિ, જાણો 'વંદે માતરમ' કેમ ન બની શક્યું રાષ્ટ્રગાન
આજે સુપ્રસિદ્ધ કવિ અને પત્રકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પુણ્યતિથિ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટર્જી) બંગાળી ભાષાના અત્યંત પ્રતિષ્ઠિત સાહિત્યકાર હતા.
Death Anniversary of Bankim Chandra Chattopadhyay : આજે સુપ્રસિદ્ધ કવિ અને પત્રકાર બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાયની પુણ્યતિથિ છે. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય (ચેટર્જી) બંગાળી ભાષાના અત્યંત પ્રતિષ્ઠિત સાહિત્યકાર હતા. બંગા ભૂમિએ તેમને સાહિત્યિક અને ભાષાકીય સમૃદ્ધિ તેમજ સંવેદનશીલ દ્રષ્ટિ આપી હતી, જેમણે તેમને એવી કૃતિઓ બનાવવા માટે સક્ષમ બનાવ્યા હતા, જે માત્ર બંગાળીના જ નહીં પરંતુ સમગ્ર ભારતીય ઓળખના પ્રતીકો ગણાતા હતા.
ઘણા લોકો તેમને બંકિમ બાબુ પણ કહેતા હતા. તેઓ માત્ર બંગાળીના જાણીતા નવલકથાકાર, કવિ, ગદ્ય અને પત્રકાર જ ન હતા, પરંતુ તેમના લખાણોની અન્ય ભાષાઓ પર પણ વ્યાપક અસર હતી. આ સાથે સાથે આજે પણ ભારતીય જનતામાં, તેઓ 'વંદે માતરમ' ના લેખક તરીકે ઓળખાય છે, જે રાષ્ટ્રીય ગીત તરીકે પ્રતિષ્ઠા ધરાવે છે.
'વંદે માતરમ' ગીત ભારતીય સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન ક્રાંતિકારીઓ માટે પ્રેરણા સ્ત્રોત હતું અને આજે પણ રાષ્ટ્રવાદીઓ તેના પર ગર્વ અનુભવે છે. રાજા રામમોહન રાય, ઈશ્વરચંદ્ર વિદ્યાસાગર, સ્વામી રામકૃષ્ણ પરમહંસ, પ્યારીચંદ મિત્ર, માઈકલ મધુસુદન દત્ત, બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય અને ઠાકુર રવીન્દ્રનાથ ટાગોર, વિવેકાનંદ, દયાનંદ સરસ્વતી વગેરેએ બંગાળી સમાજ, સાહિત્ય અને સંસ્કૃતિના ઉત્થાન માટે અનન્ય કાર્ય કર્યું હતું. જેના કારણે સમગ્ર દેશની ભાષાકીય સમૃદ્ધિ પર અસર પડી છે.
બંકિમ ચંદ્ર ચટ્ટોપાધ્યાયનો જન્મ પશ્ચિમ બંગાળના ઉત્તર 24 પરગણા જિલ્લાના કંથલપરા નામના ગામમાં એક સમૃદ્ધ, પરંતુ પરંપરાગત બંગાળી પરિવારમાં થયો હતો. તેમણે પ્રારંભિક શિક્ષણ મેદિનીપુરમાં પૂર્ણ કર્યું અને પછી હુગલીની મોહસીન કોલેજમાં પ્રવેશ લીધો હતો. બંકિમચંદ્ર ચટ્ટોપાધ્યાય બાળપણથી જ પુસ્તકોમાં રસ ધરાવતા હતા અને શરૂઆતમાં એંગ્લો ભાષા તરફ આકર્ષાયા હતા, તેમણે કહ્યું હતું કે, તેમના અંગ્રેજી શિક્ષકે તેમને ખરાબ રીતે ઠપકો આપતાં અંગ્રેજીમાં તેમનો રસ સમાપ્ત થઈ ગયો હતો. આ પછી તેમણે તેમની માતૃભાષા માટે રસ દાખવવાનું શરૂ કર્યું હતું. આ સાથે તેમણે ડેપ્યુટી મેજિસ્ટ્રેટનું પદ સંભાળ્યું હતું.
તેમણે 1866માં કપાલકુંડલા, 1869માં મૃણાલિની, 1873માં વિષ્રિક્ષા, 1877માં ચંદ્રશેખર, 1877માં રજની, 1881માં રાજ સિંહ અને 1884માં દેવી ચૌધરાણી સહિત અનેક નવલકથાઓ લખી હતી. આ ઉપરાંત તેમણે કમલા કાંતેર દૌપ્તર,' 'કૃષ્ણ કાંતેર વિલ,' 'વિજ્ઞાન રહસ્ય,' 'લોકહસ્ય,' 'ધર્મતત્ત્વ.' અને 'એસ. એસ.' જેવા ગ્રંથો પણ લખ્યા હતા. આજે તેઓ આ દુનિયામાં હયાત નથી પરંતુ લોકો તેમના કામને આજે પણ ખૂબ જ પસંદ કરે છે.
27 જૂન, 1838ના રોજ કોલકાતામાં જન્મેલા ચટોપાધ્યાયનું 8 એપ્રીલ, 1894ના રોજ કોલકાતામાં જ અવસાન થયું હતું. આજે દેશભરના તમામ મોટા નેતાઓએ તેમને શ્રદ્ધાંજલિ આપી હતી. કલા દ્વારા વિદેશી શાસન સામે મોરચો ખોલનારા ચટોપાધ્યાયને તેમની ક્રાંતિના કારણે નોકરીમાં પ્રમોશન પણ ન મળ્યું, પરંતુ તેમણે અંગ્રેજો સામેની લડાઈ બંધ ન કરી હતી.
ચટોપાધ્યાયને એક મહાન દેશભક્ત તરીકે ઓળખવામાં આવે છે, જેમણે વંદે માતરમ્ દ્વારા અસંખ્ય દેશવાસીઓમાં આઝાદીની ભાવના જાગૃત કરી હતી. તેમના સમગ્ર જીવન દરમિયાન, તેમણે બંગાળી ભાષા અને સંસ્કૃતિને આગળ વધારવા માટે કામ કર્યું હતી. જ્યારે ચટોપાધ્યાય નોકરી પર હતા, ત્યારે લખતા હતા ત્યારે તેમને ઘણી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. અંગ્રેજ અધિકારીઓ કામમાં અડચણ ઉભી કરવાનો પ્રયાસ કરતા રહેતા હતા.
બંકિમચંદ્ર ચટોપાધ્યાય એક જાગ્રત અધિકારી હતા. તેઓ અંગ્રેજો સામે ક્યારેય ઝૂક્યા નથી. તેઓ નીડર હતા અને દેશભક્ત પણ હતા, જેના કારણે અંગ્રેજો તેમના પર નારાજ રહેતા હતા. તે અંગ્રેજો સાથે દરેક પગલે લડતા રહ્યા હતા. એની અસર એ થઈ કે, ઘણી મહેનત કરવા છતાં ચેટર્જી ક્યારેય કોઈ મોટા પદ સુધી પહોંચી શક્યા ન હતા.
એવું કહેવાય છે કે, આ કારણે બંકિમચંદ્ર ચટોપાધ્યાય 53 વર્ષની ઉંમરે નિવૃત્ત થવા માંગતા હતા, પરંતુ અંગ્રેજોએ આવું થવા દીધું નહીં. તેનો ઈરાદો કંઈક બીજો હતો. જોકે, કોઈક રીતે બંકિમ ચંદ્ર નિવૃત્ત થયા અને લખવાનું ચાલુ રાખ્યું હતું. જે બાદ તેઓ રામકૃષ્ણ પરમહંસને મળ્યા અને ચેટરજીના અંગ્રેજો સામેના સંઘર્ષને નવી દિશા મળી હતી.
સ્વતંત્રતા સેનાનીઓએ વંદે માતરમને માન્યતા આપી : વંદે માતરમ ગીત સંસ્કૃતમાં બંકિમચંદ્ર ચટોપાધ્યાય દ્વારા રચવામાં આવ્યું છે. તે સ્વાતંત્ર્ય સંગ્રામમાં લોકો માટે પ્રેરણાનો સ્ત્રોત હતો. તેનું સ્થાન જન ગણ મન જેટલું છે. તે સૌપ્રથમ 1896માં ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના સત્રમાં ગાવામાં આવ્યું હતું. આ પછી વંદે માતરમની લોકપ્રિયતા સતત વધતી ગઈ છે.
1920 સુધીમાં, સુબ્રમણ્યમ ભારતી સાથે ઘણા વિદ્વાનોએ આ ગીતનો વિવિધ ભારતીય ભાષાઓમાં અનુવાદ કર્યો હતો. આ પછી સંબંધિત સમયે વંદે માતરમને રાષ્ટ્રગીતની માન્યતા મળી હતી. લાલા લજપત રાયે લાહોરથી જે જર્નલ પ્રકાશિત કરવાનું શરૂ કર્યું તેનું નામ પણ વંદે માતરમ રાખ્યું હતું.
રાષ્ટ્રગાનનો દરજ્જો ન મળ્યો : વંદે માતરમની ગુંજ અંગ્રેજોને હંમેશા પરેશાન કરતી હતી. તેમના આ ગીતને કારણે સમગ્ર ભારત આઝાદી માટે ઉભરાયું હતું. તેઓ આ રાષ્ટ્રીય ગીતને કોઈ રીતે રોકવાનો પ્રયાસ કરી રહ્યા હતા. અંગ્રેજોના કહેવા પર આ ગીત પર વિવાદ ઊભો થયો હતો.
ઉલ્લેખીય છે કે, વંદે માતરમ ની પસંદગી રાષ્ટ્રગાન રૂપે થઈ શકતી ન હતી કેમ કે, કેટલાક મુસ્લિમોનું માનવું હતું કે, વંદે માતરમમાં માં દુર્ગાની વંદના કરવામાં આવે છે, જ્યારે ઈસ્લામ ધર્મમાં કોઈ વ્યક્તિ કે વસ્તુની પૂજા કરવી એ ખોટુ માનવામાં આવે છે. જે કારણે દેશ-વિદેશમાં ભારતની આઝાદીને જગાડનારા ગીતને રાષ્ટ્રગાનનો દરજ્જો ન મળ્યો, પરંતું વંદે માતરમ એ આપણું રાષ્ટ્રીય ગીત છે.