'એકતા થકી વિકાસનું ઉદાહરણ પુરૂ પાડે છે ગુજરાતનું ગામ'
નડીયાદ [રાકેશ પંચાલ] એકતા વિકાસનો માર્ગ કેટલો મોકળો અને સરળ કરી દે છે. તેનું જીવતું ઉદાહરણ ચરોતર પંથકમાં આવેલું ગામ બન્યું છે. દાયકાઓથી ખેતી સાથે સંકળાયેલા આ ગામના ગ્રામજનોની એકતાએ તેમને શાંતિ અને સંતોષનો અનુભવ કરાવ્યો છે. ખેડા જિલ્લાના નડિયાદ તાલુકામાં આવેલું રામપુર ગામ એકતાનું પ્રતિક બની ગયું છે. તેનું મુખ્ય કારણ છે રામપુર ગામના એક હજાર જેટલા યુવકો એકમેકના સાથે વિદેશમાં સ્થાયી થઈ ગયા છે. આ ગામમાંથી વર્ષ 1990માં પહેલો યુવક વિદેશમાં ગયો હતો. ત્યારબાદ અત્યાર સુધી એકબીજાના સહારે અનેક દેશોમાં આ ગામના અંદાજે એક હજાર જેટલા યુવકો કામકાજ અર્થે સ્થાયી થઈ ચુક્યાં છે.
ચરોતરમાં એનઆરઆઈ ગામ તરીકે પ્રસિદ્ધ પામેલ રામપુર ગામ અંદાજે ચાર હજાર જેટલી વસ્તી ધરાવે છે. પરંતુ આ ગામનો ઈતિહાસ વર્ષ બે દાયકાઓમાં બદલાયો છે. જ્યારે આ ગામે પોતાનો વિકાસ કરવા માટે આગવી અનોખી રીત અપનાવી હતી. જે માટે એક આર્થિક માળખાકીય સહાય ઉભી કરવામાં આવી હતી. જેની મદદથી અનેક યુવાનોએ વિદેશ પહોંચ્યા અને આજે આ ગામ ચરોતરમાં સમુદ્દ અને પ્રસિદ્ધ એનઆરઆઈ ગામ તરીકે ઓળખાય છે.
વર્ષ 1988 સુધી રામપુર ગામમાં કોઈ બેંક ન હતી. જે કારણોસર ગ્રામજનોને બેંકના કામકાજ માટે અન્ય ગામ કે નડિયાદ શહેરમાં જવાની ફરજ પડતી હતી. જે કારણોસર 1988માં રામપુર ગામમાં કો.ઓ.ક્રેડીટ સોસાયટી બેંકની સ્થાપના કરવામાં આવી હતી. જેમાં ગ્રામજનો રૂપિયાની લેવડ-દેવડ કરતા થયા હતાં. ત્યારબાદ 1990માં દિપીલભાઈ પટેલ નામનો યુવક વિદેશમાં સૌથી પહેલા ગયો હતો. લોકોના મતે ગામની બેંકની શરૂ કરવામાં દિલીપભાઈ પટેલનો સૌથી મોટો ફાળો હતો. ગ્રામજનો દ્રારા આર્થિક સહાય અર્થે સ્થપાયેલ આ બેન્કે અનેક યુવકોના ભવિષ્યનાં ઉજ્જવળ બનાવામાં અનેરો ભાગ ભજવ્યો છે.
આ બેંકને રિકવરી માટે કોઈ કાયદેસરના પગલાં ભરવા પડ્યા નથી
રામપુરના ગ્રામજનોને નાની-નાની લેવડ-દેવડ માટે પણ આસપાસના ગામે આવેલી બેંકોનો સહારો લેવો પડતો હતો. જેથી ધી રામપુર પીપલ્સ કો.ઓ ક્રેડીટ સોસાયટી બેંક શરૂ કરવામાં આવી. આ બેંકનો મુખ્ય ઉદેશ્ય લોકોનાં નાણાની બચત તેમજ નાના પાયે રોજની લેવડ-દેવડ થઈ શકે તે માટે જરૂરી વ્યવસ્થા ઉભી કરવાનો હતો. બેંક મારફતે ઘર કે જમીન ઉપર ગ્રામજનોને સત્વરે લોન આપવાની સુવિધાનો અનેક ગ્રામજનોએ લાભ લીધો. આજ સુધી આ બેંકને રિકવરી માટે કોઈ કાયદેસરના પગલાં ભરવા પડ્યા નથી. જ્યારે કો.ઓ બેંક મોટાપાયે બંધ થઈ રહી હતી ત્યારે પણ અમારે કોઈ પ્રકારની તકલીફ પડી નથી.
યુવાનોને વિદેશ મોકલવા માટે મદદરૂપ થાય છે બેંક
રામપુર કો.ઓ બેંક મારફતે યુવાનોને વિદેશ મોકલવા માટે કેવી રીતે મદદરૂપ થઈ તે બાબતે જણાવતાં બેંક કર્મચારી જણાવી રહ્યાં છે કે " કોઈ પણ યુવકને ભણવા અર્થે લંડન માટે બેંક ખાતામાં અમુક રકમ બતાવી પડે છે. ઉપરાંત ટિકિટ અને વિઝાની તૈયારી દરમ્યાન લગતો ખર્ચે જેને મળીને લાખો સુધી પહોંચી જાય છે. જે માટે ગ્રામજનોને લોનની સહાય બેંક મારફતે કરવામાં આવતી હતી. જેથી મદદથી અનેક યુવાનો વિદેશમાં પહોંચી ગયા, ત્યાં ભણીગણીને સ્થાયી પણ થયાં. અને આમ એક સાંકળ જેવી રચના આપોઆપ બની ગઈ અને જેની અસરથી અંદાજે એક હજાર જેટલા યુવાનો વિદેશમાં કામકાજ અર્થે સ્થાયી થઈ ગયા છે. "
વિદેશમાં ગ્રામજનોની વધતીજતી સંખ્યા
ગ્રામજનોના મતે શરૂઆતમાં ગયેલા યુવકો સ્ટુડન્ટ વિઝા લઈને ગયા હતા ત્યાં ભણવાની સાથે કામકાજ પણ કરતા હતા. અને ત્યાં લગ્ન કરીને સ્થાયી પણ થઈ ગયા. વર્તમાન સમયમાં અમારા ગામનાં લોકોની સંખ્યા વિદેશીમાં ઘણી વધી ગઈ છે. જેથી સગા-વ્હાલા દ્રારા ભણીગણીને તૈયાર થઈ ગયેલા પરિવાર યુવક કે યુવતીને બોલાવામાં આવે છે. ત્યાં પહોંચી ગયા બાદ ત્યાં સ્થાયી થયેલા પરિવારજનો કે મિત્રવર્ગ દ્રારા નવા આવેલા યુવકની દરેક વ્યવસ્થા કરી દે છે.
ઘરદીઠ એક સભ્ય વિદેશમાં કરે છે વસવાટ
જોકે હાલના દિવસોમાં ગામના દરેક ઘરમાંથી કોઈને કોઈ સભ્ય વિદેશમાં સ્થાયી થયેલા છે. જે કારણોસર વીઝા મેળવવામાં આસાની રહે છે. આ ઉપરાંત વિદેશથી યુવક કે યુવતીઓ ગામની છોકરી કે છોકરા સાથે લગ્ન કરવા માટે પણ આવે છે. જેથી અહીંથી વિદેશમાં ગયેલા યુવકના સંગાસંબંધી વિદેશમાં રહેતા હોય છે. જેથી દરેક પ્રકારની સુવિધા મેળવવામાં આસાની રહે છે. જેમાં ત્યાંની દુકાન, હોટેલમાં કામની વ્યવસ્થા, જમવાની, રહેવાની વ્યવસ્થા સ્થાયી થયેલા પરિવારજનો દ્રારા ગોઠવી દેવામાં આવે છે.
અમુક વર્ષો કામ કર્યા બાદ વતન ફરે છે યુવકો
રામપુરમાં એક નજરે ધ્યાનથી જોશો તો તમને જવાન યુવકોની સંખ્યા ઘણી ઓછી લાગશે. ચોતરે ચોતરે આરામ કરતાં વડીલો નજરે પડશે. જે બાબતે ગ્રામજનોનાં મતે અહીંનો યુવક કોલેજનું ભણતર પુરૂ કર્યા બાદ વિદેશ જવાની તૈયારીઓમાં લાગી જાય છે. વર્તમાન સમયમાં જે યુવકો વિદેશમાં કામ કરી રહ્યાં છે તેમનાં મોટાભાગના યુવકોની ઉંમર પચ્ચીસથી પાંત્રીસ વર્ષની વચ્ચેની છે. જે મોટે ભાગે લગ્ન કરવા માટે જ આવતાં હોય છે. અમુક વર્ષો કામ કર્યા બાદ મોટે ભાગે ચાલીસ વર્ષની ઉંમર બાદ વિદેશમાં કામ કરતા યુવકો વતન પરત ફરતા હોય છે.
એક હજાર જેટલા યુવાનો વિશ્વના વિવિધ દેશોમાં કરે છે વસવાટ
આ મહિનામાં લંડનની પરત ફરેલા હર્ષદભાઈના મતે ત્યાં મોટેભાગે લોકો ચાલીસ વર્ષ સુધી કામ કરે છે. ત્યારબાદ વતન પાછા ફરવાનું વધારે પસંદ કરે છે. જે લોકોને ત્યાં સારી નોકરી છે કે ગ્રીનકાર્ડ મળી જાય છે. તે ત્યાં સ્થાયી થઈ જાય છે. નહીં તો રૂપિયા લઈને પાછા ફરવું વધારે યોગ્ય છે. ત્યાં યુવકો મોટેભાગે હોટલ કે સ્થાયી થયેલા પરિવારોની દુકાનોમાં કામ કરતા હોય છે. જેથી કોઈ પ્રકારની તકલીફ પડતી નથી. જોકે મોટેભાગે સ્ટુડન્ટ વિઝા ઉપર ગયેલા યુવકો ગ્રીનકાર્ડ વિઝા મળે તે માટે રોકાઈ જાય છે અને ગ્રીનકાર્ડ મળી ગયા બાદ તુરંત લગ્ન કરવા માટે વતન પરત ફરતા હોય છે. આ બાવીસ વર્ષના સમયગાળામાં એક હજાર જેટલા યુવાનો વિશ્વના વિવિધ દેશો જેવા કે યુકે, યુએસએ, કેનેડા, સાઉથ આફ્રિકામાં સ્થાયી થઈ ગયા છે.
એકતાએ ખોલ્યા વિકાસના દરવાજા
રામપુર ગામમાં શરૂઆતથી લઈને આજ દિન સુધી વિદેશ જવા માટે ઈચ્છુક લોકોને સચોટ માર્ગદર્શન આપે તેવી કોઈ સંસ્થા નથી. તેમ છતાં આ ગામે પોતાની આગવી સમજણ અને એકમેકના સહારે ગામની સાથે પોતાના જીવન માટે વિકાસના દરવાજા ખોલવામાં સફળતા મેળવી છે. ગ્રામજનોના મતે બે દાયકા પહેલા અમારા રામપુર ગામની પરિસ્થિતિ અત્યંત કફોડી હતી. ગામનો જે કંઈ વિકાસ થયો છે. તે દસ વર્ષના ગાળામાં થવા પામ્યો છે. રામપુર ગામમાં એકબીજાથી ચડિયાતા મકાનો બન્યાં છે. અનેક સારા મંદિરો બન્યાં છે.
વિદેશમાં રહેતા યુવકો સમયાંતરે કરે છે દાન
આ ઉપરાંત હાલના દિવસોમાં લાખોના ખર્ચે ગામની પટેલ વાડી બની રહી છે. જોકે લોકોના મતે વિદેશમાં રહેતા યુવકો દ્રારા સમયાંતરે દાન આપવામાં આવે છે. જે કારણોસર ગામને રૂપિયાની ખોટ પડતી નથી. જેથી જીવનધોરણ ઉંચુ લાવવા માટે જરૂરી વ્યવસ્થા થઈ જાય છે. ગામમાં પહેલા ખારા પાણીનો મોટો પ્રશ્ન હતો. જે માટે ગામથી બે કિલોમીટર મીઠા પાણીનો બોર બનાવામાં આવ્યો છે. જેથી હાલના દિવસોમાં ગામને દરેક સુવિધાઓ પ્રાપ્ત છે.