Valentine's Day: દરેક પ્રેમીએ જાણવી જોઈએ આ ઐતિહાસિક પ્રેમ કહાનીઓ
ભારતના ઈતિહાસમાં ઘણી અસામાન્ય પ્રેમ કહાનીઓ મળે છે જે દુનિયા માટે આજે પણ ઉદાહરણ સ્વરૂપ છે. આજે એવી જ અમુક જાણીતી પ્રેમ કહાનીઓ વિશે જાણીએ.
હિંદુસ્તાનની વીર ભૂમિ પર ઘણી શૌર્ય ગાથાઓ બની પરંતુ સાથે સાથે આપણા દેશે દુનિયા સામે પ્રેમના પણ ઘણા ઉદાહરણો પૂરા પાડ્યા. એક સમય હતો જ્યારે એ કહાનીઓમાંથી પ્રેરણા લઈને લોકો સાથે જીવવા-મરવાની કસમો ખાતા હતા. ભારતના ઈતિહાસમાં એવી પ્રેમ કહાનીઓએ જન્મ લીધો જેણે સમાજની પરવા કર્યા વિના પ્રેમને પસંદ કર્યો. દુશ્મની દોસ્તીમાં બદલાઈ ગઈ અને દોસ્ત દુશ્મન બની ગયા. ભારતના ઈતિહાસમાં ઘણી અસામાન્ય પ્રેમ કહાનીઓ મળે છે જે દુનિયા માટે આજે પણ ઉદાહરણ સ્વરૂપ છે. આજે એવી જ અમુક જાણીતી પ્રેમ કહાનીઓ વિશે જાણીએ.
શાહજહાં-મુમતાઝ
ઐતિહાસિક પ્રેમ કહાનીઓની આ યાદીમાં શાહજહાં-મુમતાઝનુ નામ લીધા વિના શરૂઆત કરવી અયોગ્ય ગણાશે. તેમની અનોખી પ્રેમ કહાનીની નિશાની આજે પણ તાજમહેલ સ્વરૂપે હાજર છે. શાહજહાંની આમ તો ઘણી બેગમો હતી પરંતુ મુમતાઝ પ્રત્યે તેમનો પ્રેમ એક જૂનુન જેવો હતો જેણે એ સંગેમરમરના પત્થરોને પણ જીવંત કરી દીધા. આજે પણ તાજમહેલની દીવાલો પર તેમની કહાની ગુંજે છે.
પૃથ્વીરાજ-સંયુક્તા
શૌર્ય અને પરાક્રમ માટે તો પૃથ્વીરાજની ઘણી કહાનીઓ જાણીતી છે. પરંતુ આ વીરે પ્રેમના મેદાનમાં પણ પોતાનો ઝંડો લહેરાવ્યો. વાસ્તવમાં પૃથ્વીરાજને પોતાના શત્રુ કન્નૌજના રાજા જયચંદની દીકરી સંયુક્તા સાથે પ્રેમ થઈ ગયો. જયચંદને જ્યારે આના વિશે માલુમ પડ્યુ ત્યારે તે ગુસ્સે થઈ ગયા અને સંયુક્તાના સ્વયંવરનુ આયોજન કર્યુ. આ સ્વયંવરમાં તેમણે ઘણા રાજકુમારોને બોલાવ્યા પરંતુ જયચંદે પૃથ્વીરાજને આમંત્રણ ન આપ્યુ અને પોતાના દરબારની બહાર તેમનુ એક પૂતળુ બનાવડાવીને દરવાન તરીકે ઉભુ કરી દીધુ. સંયુક્તાને જ્યારે વરમાળા પહેરાવવા માટે કહ્યુ ત્યારે તે એ સભામાં હાજર બધા રાજકુમારોને છોડીને દ્વાર પર જતી રહી અને પૃથ્વીરાજના પૂતળાને માળા પહેરાવી દીધી. એ પૂતળાની પાછળ પૃથ્વીરાજ પહેલેથી જ હાજર હતા અને બધા સામે તે સંયુક્તાને પોતાની સાથે ભગાવીને લઈ ગયા.
બાજબહાદૂર-રુપમતિ
બાજબહાદૂર માલવાના સુલતાન હતા. એક દિવસ શિકાર પર નીકળ્યા હતા ત્યારે તેમની નજર રુપમતિ પર પડી. તેનુ જેવુ નામ હતુ તેવુ જ તેનુ રુપ હતુ. એક સુલતાન એ સામાન્ય છોકરીને જોઈને પોતાનુ દિલ સંભાળી ન શક્યા. દુનિયાની પરવા કર્યા વિના સુલતાને રુપમતિને પોતાની બેગમ બનાવી લીધી. બિન મુસ્લિમ ન હોવાના કારણે પરિવારે પણ બાજબહાદૂરના આ નિર્ણયને સ્વીકાર્યો નહિ. પરંતુ સુલતાને પોતાનુ વચન નિભાવ્યુ અને દુનિયામાં પ્રેમનો એક સુંદર અધ્યાય ઉમેરીને રુપમતિ સાથે લગ્ન કર્યા.
બાજીરાવ-મસ્તાની
બાજીરાવ અને મસ્તાની પર બનેલી બોલિવુડ ફિલ્મના કારણે ઘણા લોકો તેમના પ્રેમના ઉંડાણને સમજી શક્યા. બાજીરાવ મરાઠાના જાબાંઝ યોદ્ધા હતા અને તેમને બુંદેલખંડના રાજ છત્રસાલની દીકરી મસ્તાની સાથે પ્રેમ થઈ ગયો હતો. બાજીરાવે લગ્ન બાદ મસ્તાનીને પોતાની પત્નીનો દરજ્જો આપ્યો પરંતુ તેમને ક્યારેય કાનૂની અધિકાર ન મળી શક્યો. મસ્તાની તેમની બીજી પત્ની હતી. મસ્તાની અને બાજીરાવના શ્વાસ એકબીજા સાથે જોડાયેલા હતા. કહેવાય છે કે જ્યારે બાજીરાવનુ મોત થયુ ત્યારે મસ્તાનીએ પણ આત્મહત્યા કરી લીધી.
બિમ્બિસાર-આમ્રપાલી
બિમ્બિસાર અને આમ્રપાલીની પ્રેમ કહાની અલગ જ ઉદાહરણ રજૂ કરે છે. બિમ્બિસાર મગધના રાજા હતા અને એક યુદ્ધ દરમિયાન ઘાયલ થઈ ગયા હતા. આમ્રપાલી વૈશાલીની સૌથી સુંદર નર્તકી માનવામાં આવતી હતી. તેણે સામાન્ય સૈનિક સમજીને ઘાયલ બિમ્બિસારની સેવા કરી. એવુ કહેવાય છે કે બિમ્બિસારની 400 રાણીઓ હતી પરંતુ તેમની સૌથી પ્રિય રાણી આમ્રપાલી હતી.
સલીમ-અનારકલી
સલીમ અને અનારકલીની દાસ્તાનમાં પ્રેમ અને પીડા સમાંતર રૂપે ચાલે છે. અનારકલીને મેળવવા માટે સલીમે અકબર સાથે યુદ્ધ પણ કર્યુ પરંતુ તે આ યુદ્ધ સાથે અનારકલીને પણ હારી ગયા. અકબરની શરત હતી કાં તો તે ખુદ આત્મહત્યા કરી લે અથવા અનારકલી તેમના હવાલે કરી દે. સલીમે મોતને ભેટવાનુ બહેતર માન્યુ પરંતુ અનારકલીએ અંતિમ સમયે સલીમનો જીવ બચાવી લીધો અને પોતાને અકબરના હવાલે કરી દીધી. અકબરે અનારકલીને જીવતી દીવાલમાં ચણાવી દીધી પરંતુ ઈતિહાસના પાનાંઓમાં આજે પણ પ્રેમની ગાથાઓમાં સલીમ-અનારકલીનુ નામ ચમકી રહ્યુ છે.
આ પણ વાંચોઃ Rose Day 2020: આજે રોઝ ડે, જાણો ગુલાબનો દરેક રંગ શું કહે છે?