Lal Bahadur Shastri Jayanti: લાલ બહાદૂર શાસ્ત્રી જયંતિ પર જાણો તેમના વિશે ન જાણેલી વાતો
આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સાથે ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની પણ 116મી જયંતિ છે.
નવી દિલ્લીઃ આજે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીની જન્મજયંતિ સાથે ભારતના બીજા પ્રધાનમંત્રી લાલ બહાદૂર શાસ્ત્રીની પણ 116મી જયંતિ છે. લાલ બહાદૂર શાસ્ત્રી સાદગીભર્યુ જીવન જીવનાર, કુશળ નેતૃત્વ ધરાવતા ગાંધીવાદી નેતા હતા. લાલ બહાદૂર શાસ્ત્રીનો જન્મ 2 ઓક્ટોબર, 1904ના રોજ ઉત્તર પ્રદેશના વારાણસીથી સાત માઈલ દૂર રેલવે ટાઉન મુગલસરાયમાં થયો હતો. તેમના પિતા એક સ્કૂલ શિક્ષક હતા. લાલ બહાદૂર શાસ્ત્રી જ્યારે દોઢ વર્ષના હતા ત્યારે તેમના પિતાનુ નિધન થઈ ગયુ હતુ. તેમની માતા ત્રણેય સંતાન સાથે પોતાના પિતાના ઘરે રહ્યા હતા. લાલ બહાદૂર શાસ્ત્રીને ઉચ્ચ શિક્ષણ માટે વારાણસીમાં તેમના કાકાના ઘરે રહેવા મોકલ્યા હતા.
લાલ બહાદૂર શાસ્ત્રી જ્યારે માત્ર 11 વર્ષના હતા ત્યારે તેમણે દેશ માટે કંઈક કરવાનુ મન બનાવી લીધુ હતુ. લાલ બહાદૂર શાસ્ત્રીએ માત્ર 16 વર્ષની ઉંમરે ગાંધીજીના અસહયોગ આંદોલનમાં શામેલ થવા માટે ભણવાનુ છોડવાનો નિર્ણય કર્યો હતો. મહાત્મા ગાંધીના અસહકાર આંદોલનમાં ભાગ લેવાના કારણે તેઓ કુલ સાત વર્ષ સુધી જેલમાં રહ્યા હતા. લાલ બહાદૂર શાસ્ત્રીના લગ્ન 1927માં મીરઝાપુરના લલિતા દેવી સાથે થયા હતા.
લાલ બહાદૂર શાસ્ત્રી આઝાદી પછી વર્ષ 1951માં દિલ્લી આવ્યા અને કેન્દ્રીય મંત્રીમંડળના ઘણા વિભાગો સંભાળ્યા. તેઓ રેલવે મંત્રી, પરિવહન તેમજ સંચાર મંત્રી, વાણિજ્ય તેમજ ઉદ્યોગ મંત્રી, ગૃહ મંત્રી અને નહેરુજીની બિમારી દરમિયાન વિભાગ વિનાના મંત્રી રહી ચૂક્યા છે. જવાહરલાલ નહેરુના અવસાન બાદ 1964માં લાલ બહાદૂર શાસ્ત્રી દેશના પ્રધાનમંત્રી બન્યા.
વર્ષ 1965માં લાલ બહાદૂર શાસ્ત્રીના પ્રધાનમંત્રી કાળ દરમિયાન ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ થયુ હતુ. એ વખતની દેશમાં ભૂખમરો હતો અને અનાજની અછત હતી ત્યારે લાલ બહાદૂર શાસ્ત્રીએ પોતાના પગાર લેવાનુ પણ છોડી દીધુ હતુ. ઘરના નોકરોને કામ પર ન આવવાનુ કહીને બધુ કામ જાતે કરતા હતા. એ વખતે દેશમાં ભયંકર દુકાળ પડ્યો હતો. સંકટ ટાળવા માટે તેમણે દેશવાસીઓને એક દિવસનો ઉપવાસ રાખવાની અપીલ કરી હતી. આ સાથે જ કૃષિ ઉત્પાદનમાં આત્મનિર્ભર બનવા માટે તેમણે 'જય જવાન, જય કિસાન'નો નારો આપ્યો.
1966માં લાલ બહાદૂર શાસ્ત્રીને ભારત રત્નથી સમ્માનિત કરવામાં આવ્યા હતા. 10 જાન્યુઆરી, 19966ના રોજ તાશકંદમાં પાકિસ્તાન સાથે શાંતિ સમજૂતી પર કરાર કર્યાના 12 કલાક બાદ શાસ્ત્રીજીનુ અચાનક અવસાન થયુ હતુ. 11 જાન્યુઆરી, 1966માં તેમણે અંતિમ શ્વાસ લીધા હતા.