હૈદરાબાદી કિલ્લો ભેદવા માટે ‘સરદારી કવાયત’
અમદાવાદ, 31 જુલાઈ : ગુજરાતના મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી હવે દરેક તેવા મુદ્દે દખલ આપી રહ્યાં છે કે જે રાષ્ટ્રીય કક્ષાનો કે પછી ચૂંટણીગત હોય. સ્વાભાવિક હતું કે મોદી તેલંગાણા જેવા મુદ્દે મૌન કેમ રહેત? તેમણે તેલંગાનાની રચના ઉપર યૂપીએ સરકારની મોહર લાગ્યાના 24 કલાકની અંદર જ મોઢું ખોલ્યું અને તેલંગાણાને ટેકો આપતાં ખૂબ જ સિફતપૂર્વક યૂપીએ સરકારના નિર્ણય સામે પ્રશ્નચિહ્નો લગાવ્યાં.
ભાજપમાં પ્રચાર ઝુંબેશ સમિતિના પ્રમુખ બન્યા બાદ નરેન્દ્ર મોદી એક બાજુ લોકસભા ચૂંટણી 2014ની તૈયારીઓમાં જોડાઈ ગયાં છે, તો બીજી બાજુ પોતાની તૈયારીઓને તીક્ષ્ણ ધાર આપવા તેઓ સતત મીડિયામાં ચર્ચિત રહેવાનો કોઈ પણ પ્રયત્ન નથી ચૂકતાં. તેથી જ નરેન્દ્ર મોદી ક્યારેક ગુજરાતના રમખાણો અંગે ગલૂડિયા વાળું નિવેદન આપી રાજકીય ઉથલ-પાથલ મચાવે છે, તો ક્યારેક અમેરિકી વિઝા ઉપર મૌન રહીને પણ સમગ્ર દેશમાં હોબાળો ઊભો કરાવી દે છે. વચ્ચે-વચ્ચે અમર્ત્ય સેન જેવા સુરસુરિયા પણ નિકળતાં રહે છે કે જે મોદીને ચર્ચિત રાખવાની તેમની કવાયતને ઝળહળાવી દે છે.
ખેર, ગુજરાતના રમખાણો કે અમેરિકી વિઝા તો ચીલાચાલુ મુદ્દા થઈ ગયાં છે અને આ મુદ્દાઓ વડે મોદી સતત અને અસ્ખલિત રીતે લોકપ્રિયતા તેમજ નકારાત્મક પ્રસિદ્ધિ મેળવતાં જ રહે છે, પણ આ વખતે મોદીએ જે મુદ્દો ઉઠાવ્યો છે, તે દેશના દક્ષિણી રાજ્યો સાથે જોડાયેલો છે કે જ્યાં ભાજપે હજી જમીન શોધવાની છે. આંધ્ર પ્રદેશમાંથી પૃથક રાજ્ય તેલંગાણાની રચનાના મુદ્દે મોદીએ મોઢું ખોલ્યું છે અને ખૂબ જ સિફતપૂર્વક. મોદીએ તેલંગાણા મુદ્દે જે સવાલો ઊભા કર્યાં છે, તે એક કુશળ રાજકારણી તરીકે તો સચોટ છે જ, પણ ભાજપ માટે અભેદ્ય હૈદરાબાદી કિલ્લાને ભેદવાની દૃષ્ટિએ વ્યુહાત્મક પણ છે. મોદીએ તેલંગાણા મુદ્દે એક રીતે સરદારી કવાયત શરૂ કરી છે.
અહીં એ યાદ અપાવવની જરૂર નથી કે તે સરદાર વલ્લભભાઈ પટેલ જ હતાં કે જેમના કારણે આજે ભારત પાસે હૈદરાબાદ (હાલનું આંધ્ર પ્રદેશ) છે. હૈદરાબાદના લોકોને પાકિસ્તાનમાં જતા બચાવનાર સરદાર પટેલ ગુજરાતના છે અને તે પણ સૌ જાણે જ છે કે મોદી અંગે તેમના ટેકેદારોમાં સરદારની જ છબી છે. સરદારના નામે ગુજરાતમાં રાજકારણ તો કોંગ્રેસ ને ભાજપ સહિત તમામ રાજનેતાઓએ કર્યું છે અને કરતાં રહ્યાં છે, પરંતુ મોદીએ સરદાર પટેલના નામે જેટલી સફળતા હાસલ કરી, તેટલી કદાચ કોઈ જ નેતા હાસલ નથી કરી શક્યું.
સરદારની આડમાં નરેન્દ્ર મોદી સામાન્ય રીતે કોંગ્રેસને ભાંડે છે અને હવે તે જ સરદારી સ્ટાઇલમાં નરેન્દ્ર મોદી તે જ હૈદરાબાદી કિલ્લાને ભેદવાની કવાયદ કરી રહ્યાં છે. નરેન્દ્ર મોદી જાણે છે કે 11મી ઑગસ્ટે તેમને હૈદરાબાદ ખાતે જનસભા સમ્બોધવી છે. આંધ્ર પ્રદેશમાં ભાજપનો કોઈ જનાધાર નથી. મોદી સમક્ષ આ હૈદરાબાદી ગઢને સરદાર પટેલની જેમ ભેદવાનો પડકાર છે અને તેમણે તેલંગાણા નામે પ્રથમ તીર છોડી દીધું છે.