મોદી v/s રાહુલ : આંધીમાં ઝળહળ્યો દીવો, પાણીમાં લાગી આગ!
અમદાવાદ, 27 જુલાઈ : દિલ અપના ઔર પ્રીત પરાઈ... કિસને હૈ યે રીત બનાઈ... આંધી મેં એક દીપ જલાયા ઔર પાની મેં આગ લગાઈ... ‘દિલ અપના ઔર પ્રીત પરાઈ' ફિલ્મનું આ પ્રસિદ્ધ શીર્ષક ગીત આજે ભારતીય રાજકારણમાં નરેન્દ્ર મોદી તેમજ રાહુલ ગાંધીના સંદર્ભે બંધબેસતું લાગે છે.

આ ગીત એમ જ યાદ નથી આવ્યું, પણ તેની પાછળના કારણોમાં છે દેશમાં લોકસભા ચૂંટણી 2014 અગાઉ ચાલતાં સર્વે અને તેના તારણો છે. સૌથી તાજો સર્વે ગઈકાલે જાહેર થયો. સર્વેનું તારણ તો નવું નથી. હા આંકડા જરૂર થોડાંક ઊપર-નીચે થયાં છે અને આ જ આંકડાઓએ આ ગીતની પંક્તિઓ માત્ર યાદ જ નથી અપાવી, પણ તેમાં થોડોક ફેરફાર કરી ‘આંધી મેં જલા દીપ, પાની મેં લગી આગ એટલે કે આંધીમાં ઝળહળ્યો દીવો, પાણીમાં લાગી આગ' આમ કરવા માટે મજબૂર કર્યાં.
સીએનએન-આઈબીએન દ્વારા કરાયેલ તાજેતરના સર્વે મુજબ નરેન્દ્ર મોદી પુનઃ એક વાર વડાપ્રધાન પદની રેસમાં સૌથી આગળ દર્શાવાયાં છે, તો રાહુલ ગાંધી બીજા સ્થાને છે. અહીં સર્વે કે તેના આંકડાઓ દોહરાવવાનો કોઈ ઇરાદો નથી, પણ સર્વેના કેટલાંક તારણો જરૂર ચોંકાવનાર દેખાય છે.
મોદીની ચારગણી છલાંગ
સર્વેને માત્ર આંકડાઓની દૃષ્ટિએ લઇએ, તો નરેન્દ્ર મોદીને દેશના 19 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગે છે અને આ રેસમાં તેઓ સૌથી આગળ છે, જ્યારે રાહુલ ગાંધીને 12 ટકા લોકો વડાપ્રધાન તરીકે પસંદ કરે છે. 2011ની સરખામણીમાં જોઇએ, તો મોદીને 2011માં માત્ર 5 ટકા લોકો વડાપ્રધાન તરીકે જોવા માંગતા હતાં, જ્યારે તે વખતે 19 ટકા સાથે રાહુલ ગાંધી સૌથી આગળ હતાં. હવે આ આંકડાઓના ઉંડાણમાં જઇએ, તો સ્પષ્ટ છે કે મોદીએ બે કે ત્રણ નહીં, પણ ચાર ગણી લાંબી છલાંગ લગાવી છે. પ્રથમ બાબત તો એ છે કે બે જ વર્ષોમાં મોદીને વડાપ્રધાન તરીકે પસંદ કરનારાઓની ટકાવારી 14 ટકા વધી ગઈ. આ મોદીની ડોઢી છલાંગ કહેવાય. બીજું, તેમના કટ્ટર હરીફ રાહુલના ગ્રાફમાં 7 ટકાનો ઘટાડો થયો. આ મોદીની બીજી છલાંગ છે. સત્તાપક્ષ કોંગ્રેસના ઉપ પ્રમુખ તેમજ પક્ષમાં નંબર બેનું સ્થાન ધરાવવા છતાં રાહુલના ગ્રાફમાં કડાકો મોદીની ત્રીજી છલાંગ છે અને ભાજપમાં વડાપ્રધાન પદના ઉમેદવાર તરીકે હજી સુધી જાહેર નહિં કરાયેલા અને માત્ર પ્રચાર સમિતિના પ્રમુખ બનીને જ મોદીએ 14 ટકાની લીડ હાસલ કરી કે જે તેમની ચોથી છલાંગ છે.
આંધીની ઉપજ
હવે સવાલે એ ઊભો થાય છે કે શું માત્ર વિકાસ જ છે કે જે નરેન્દ્ર મોદીની લોકપ્રિયતામાં ઝડપથી વધારો કરે છે? ઉત્તર કદાચ નહીંમાં જ આવશે. હકીકતમાં નરેન્દ્ર મોદી તે ઝંઝાવાતની ઉપજ છે કે જે છેલ્લા બાર વર્ષોથી તેમની વિરુદ્ધ નફરત તરીકે ચલાવાઈ રહ્યું છે. ગોધરાથી માંડી ગાંધીનગર, ગુજરાતથી માંડી દિલ્હી અને યૂરોપ-જાપાનથી લઈ અમેરિકા-બ્રિટન સુધી ફેલાવાયેલી નફરત જ તેમને લોકોમાં પ્રિય બનાવતી જાય છે. પોતે નરેન્દ્ર મોદી કહી ચુક્યાં છે કે નફરતના પત્થરોને તેમણે પોતાની પ્રગતિની સીડી બનાવી છે. નફરતનો આ સિલસિલો આજે પણ અમર્ત્ય સેનથી લઈ માર્કંડેય કાત્જુ સ્વરૂપે જળવાયેલો જ છે. આ નફરતે માત્ર નરેન્દ્ર મોદી સ્વરૂપે દીવો જ નથી પ્રગટાવ્યો, પણ જેમ-જેમ નફરતની આંધી વધતી ગઈ, તેમ-તેમ આ દીવો અવિચલિત અને અકમ્પિત બની રહી વધુ ઝળહળતો થયો.
અને પાણીમાં આગ
ગઈકાલે જ્યારે મોદી અંગે સીએનએન-આઈબીએન ઉપર ચર્ચા ચાલતી હતી, ત્યારે કેટલાંક બૌદ્ધિકોની દલીલો ઉપરથી લાગતુ હતું કે જાણે પાણીમાં આગ લાગી ગઈ હો. ચર્ચામાં બેઠેલા કેટલાંક બૌદ્ધિકો એવી દલીલો આપતા હતાં કે જેના ઉપરથી સ્પષ્ટ થતુ હતું કે તેમને મોદીની લોકપ્રિયતા જાણે હજમ નથી થઈ રહી. અથવા શક્ય છે કે તેઓ પોતાની જાતને તટસ્થ સાબિત કરવાની કોશિશમાં મોદીની લોકપ્રિયતા હજમ નહોતા કરી શકતાં. કેટલાંક તર્કશીલ બૌદ્ધિકો મોદીની આ લોકપ્રિયતાને અટલ બિહારી બાજપાઈના તોલે માપતા હતાં, પરંતુ કદાચ તેઓ ભૂલી ગયાં કે મોદી જેટલી નફરતનો સામનો નહોતા બાજપાઈએ કર્યો કે નથી રાહુલ ગાંધી કરતાં. આટલી ઘૃણા છતાં જો નરેન્દ્ર મોદી લોકપ્રિયતાની સીડી આટલી ઝડપથી ચડતા હોય, તો પછી તેમના વિરોધીઓ માટે તો પાણીમાં આગ લાગ્યા જેવી બાબત જ ગણાય ને!












Click it and Unblock the Notifications
