જાણો: અલ્ઝાઇમર સાથે જોડાયેલા કેટલાક ભ્રમ
પહેલુ સુખ તે જાતે નર્યા એ તો સૌ કોઇએ સાંભળ્યું જ હશે. અને એટલે જ હેલ્થ પ્રત્યેની સજાગતા એ જ તંદુરસ્તીનું સૌથી મોટું રહસ્ય છે. આજે આપણે અલ્ઝાઇમર અંગે વાત કરીશું.
અલ્ઝાઇમર થવાના કારણો અને તેના પ્રભાવ અંગે ઘણાં ભ્રમ ફેલાયેલા છે. અને આ ભ્રમ અલ્ઝાઇમરને સારી રીતે સમજવામાં સૌથી મોટી સમસ્યા છે.
આજે અમે તમને અલ્ઝાઇમર અંગે સૌથી વધુ પ્રચલિત પાંચ ભ્રમ અંગે જણાવી રહ્યાં છીએ.
પહેલો ભ્રમ: અલ્ઝાઇમર માત્ર વયોવૃદ્ધને જ થાય છે
સામાન્ય રીતે અલ્ઝાઇમર 65 કે 65થી વધુની ઉંમરના લોકોને થાય છે. પરંતુ આ બિમારી યુવાઅવસ્થામાં પણ થઇ શકે છે. શોધમાં સામે આવ્યું છેકે અલ્ઝાઇમરગ્રસ્ત લોકોમાં 5% લોકો 30, 40, અને 50 વર્ષની વયના હોય છે. આ ઉંમરમાં અલ્ઝાઇમર ડાયગ્નોસિસ કરવામાં વાર લાગે છે.
બીજો ભ્રમ: અલ્ઝાઇમરના લક્ષણો વધતી ઉંમરના કારણે
થોડા પ્રમાણમાં મેમરી લોસ વધતી ઉંમરના કારણે હોઇ શકે છે. પરંતુ ભૂલી જવાની આદત વધતી ઉંમરના કારણે નથી હોતી. જેમકે પોતાની કારની ચાવી ક્યાંક રાખીને ભૂલી જવી તે સામાન્ય બાબત છે. પરંતુ ડ્રાઇવ કરતી વખતે પોતાની ઓફિસનો રસ્તો ભૂલી જવો સામાન્ય બાબત નથી હોતી. આ એક લક્ષણ છે, જે ગંભીર સમસ્યા તરફ ઇશારો કરે છે.
ત્રીજો ભ્રમ: અલ્ઝાઇમરથી મોત નથી થતુ
આ ભ્રમ તો પાયાવિહોણો જ છે. હાલમાં જ એક રીસર્ચ મુજબ એક તથ્ય સામે આવ્યું છે કે અમેરિકામાં મોતનું છઠ્ઠું સૌથી મોટું કારણ અલ્ઝાઇમર છે. અલ્ઝાઇમર થયા બાદ મોટાભાગે લોકો 8થી 10 વર્ષ સુધી જીવિત રહે છે. અલ્ઝાઇમરના શિકાર લોકો ખાવાનું પણ ભૂલી જાય છે. અને કુપોષણનો શિકાર થાય છે. છેવટે અનેક રોગોનો શિકાર થાય છે. અને અંતે મોતને ભેટે છે.
ચોથો ભ્રમ: સારવારની સંભાવના
સત્ય એ છે કે અલ્ઝાઇમર એક નાઇલાજ બિમારી છે. જો કે બિમારીની શરૂઆતમાં જ દવાઓ અને સારી સારસંભાળ દ્વારા સારૂં જીવન જીવી શકાય છે.
પાંચમો ભ્રમ: એલ્યુમિનિયમ, સિલ્વર ફિલીંગ, કે એસ્પાર્ટમથી થાય છે
તમે સામાન્ય રીતે સાંભળ્યુ હશે કે એલ્યુમિનિયમના વાસણોમાં જમવાનું બનાવવાથી અથવા તો ખાવાથી કે પાણી પીવાથી અલ્ઝાઇમર થાય છે. સત્ય એ છેકે તેની પાછળ કોઇ વૈજ્ઞાનિક કારણ નથી. નિષ્ણાંતો હજી સુધી અલ્ઝાઇમર થવા પાછળનું કોઇ કારણ નથી શોધી શક્યા. તેઓ બસ એટલુ જ જાણી શક્યા છે કે અલ્ઝાઇમર થવા પાછળ જીન્સ, જીવન શૈલી, અને વાતાવરણ જવાબદાર હોય છે. કેટલીક શોધ દ્વારા સામે આવ્યું છેકે અલ્ઝાઇમર હ્રદય રોગ, હાઇ બ્લડપ્રેશર, અને ડાયાબિટીસ સંબંધિત બિમારી છે. જો કે હજી પણ આ બિમારી અંગે અનેક સંશોધનો થઇ રહ્યાં છે, કોઇ ચોક્કસ કારણ હજી સુધી નથી જાણી શકાયું.