વડા પ્રધાનપદના ઉમેદવાર માટે એનડીએ ‘સંપૂર્ણ સંગઠિત’ : ભાજપ
શિવસેના સુપ્રીમો બાલ ઠાકરેએ શનિવારે આપેલા નિવેદન કે ‘ભાજપમાં સુષ્મા સ્વરાજ વડા પ્રધાનપદ માટે સૌથી વધારે યોગ્ય ઉમેદવાર છે.' એ ભાજપમાં ચર્ચાનો દોર શરૂ કર્યો હતો. બીજી તરફ આજે જેડીયુના અધ્યક્ષ શરદ યાદવે તેમનો પક્ષ ગુજરાતમાં આવનારી ચૂંટણીઓ એનડીએ સાથે મળીને લડવાને બદલે સ્વતંત્ર રીતે લડવાની જાહેરાત કરતા મુખ્ય વિરોધ પક્ષ ભાજપ સમસમી ગયો હતો.
જોકે ભાજપે ઠાકરેના નિવેદન સામે પ્રવક્તા શાહનવાઝ હુસૈનને વધારે કંઇ નહીં બોલતા પાર્ટી ડેમેજ કન્ટ્રોલ કરશે તેમ જણાવ્યું હતું. હુસૈને જણાવ્યું કે ‘એનડીએ સંપૂર્ણ રીતે સંગઠિત છે અને આવનારી લોકસભા ચૂંટણીઓમાં અમે જ સરકાર રચીશું. અમે આ મુદ્દે ચર્ચા કરી રહ્યા છીએ.' એનડીએના વડા પ્રધાનપદના ઉમેદવારની પસંદગીના મુદ્દે શરૂ થયેલા વંટોળનો જવાબ આપતા તેમણે જણાવ્યું કે ‘આ મુદ્દે યોગ્ય સમયે પાર્ટી યોગ્ય નર્ણય લેશે.'
વડા પ્રધાનપદના ઉમેદવાર અંગે હુસૈને વધારે સ્પષ્ટતા કરતા જણાવ્યું કે ‘જ્યારે ચૂંટણીઓ આવશે, ત્યારે વડા પ્રધાનપદના ઉમેદવારની પસંદગીનો સમય પણ આવશે. ચૂંટણીઓ યોજાવો દો ત્યારે અમે અમારો જવાબ આપીશું.' વડા પ્રધાનપદના ઉમેદવાર માટે દરેક પક્ષો જુદા જુદા નામ રજૂ કરી રહ્યા હોવા અંગે તેમણે જણાવ્યું કે ‘દરેકને પોતાનો મત જણાવવાનો અધિકાર છે.' બિહારના મુખ્યપ્રધાન નીતિશ કુમારે સંકેત આપ્યા છે કે ગુજરાતના મુખ્યપ્રધાન નરેન્દ્ર મોદી વડા પ્રધાનપદના ઉમેદવાર નહીં હોય, ઠાકરે સુષ્મા સ્વરાજને સમર્થન આપી રહ્યા છે.
જ્યારે એસએડી માને છે કે લાંબા સમયથી રાજકારણમાં સક્રિય લાલકૃષ્ણ અડવાણી પીએમ પદ માટેના યોગ્ય ઉમેદવાર છે. ગુજરાતમાં સ્વતંત્ર ચૂંટણી લડવા અંગેના જેડીયુના નિવેદનથી ભાજપને કોઇ ચિંતા નથી. આ અંગે હુસૈને જણાવ્યું કે 'છેલ્લે જ્યારે એનડીએ સત્તામાં હતું ત્યારે અટલ બિહારી વાજપેયીના નેતૃત્વ હેઠળ 2008માં જેડીયુએ સ્વતંત્ર રીતે ચૂંટણી લડી હતી. એવી રીતે બધાને પોતાની રીતે ચૂંટણી લડવાનો અધિકાર છે.'