Video : આઠ દિવસે આમિર પહોંચ્યા સંજયને મળવા
મુંબઈ, 30 માર્ચ : બૉલીવુડના પરફેક્શનિસ્ટ આમિર ખાને ગઈકાલે મોડી સાંજે સંજય દત્ત સાથે મુલાકાત કરી. સુપ્રીમ કોર્ટ દ્વારા સંજય દત્તને પાંચ વરસની સજા સંભળાવ્યાને 8 દિવસ બાદ આમિર ખાન સંજય દત્તને મળવાં તેમના નિવાસ સ્થાને પહોંચ્યાં.
મુંબઈ બૉમ્બ ધડાકા કેસમાં આર્મ્સ એક્ટ હેઠળ સંજય દત્તને ગત 21મી માર્ચના રોજ પાંચ વરસની સજા ફરમાવાઈ હતી. તે દિવસથી જ બૉલીવુડના મોટાભાગના કલાકારો દુઃખ વ્યક્ત કરી રહ્યાં હતાં અને સંજયને મળવા તેમના ઘરે બૉલીવુડના અનેક કલાકારોએ સતત ત્રણ દિવસ ધસારો કર્યો હતો.
જોકે મહાનાયક બિગ બી અમિતાભ બચ્ચન, શાહરુખ ખાન, આમિર ખાન તથા સલમાન ખાન તરફથી શરુઆતમાં કોઈ પ્રત્યાઘાત નહોતા મળ્યાં. એટલું જ નહીં બિગ બી કે ત્રણેય ખાનોમાંથી કોઈ પણ કલાકાર સંજયને મળવા ગયુ નહોતું. જોકે પછી પોતે પણ પોલીસ કેસમાં ફસાયેલા સલમાન ખાન સંજયને મળવા પહોંચ્યા હતાં, પરંતુ બિગ બી, આમિર અને શાહરુખ અંગે ઊભો થયેલો પ્રશ્ન જેમ નો તેમ રહ્યો હતો.
દરમિયાન આમિર ખાને ગઈકાલે સાંજે પોતાના પત્ની કિરણ રાવ સાથે સંજય દત્તના ઘરે જઈ તેમની મુલાકાત લીધી. આમિર ખાને જોકે આ મુલાકાત અંગે કંઈ પણ કહેવાનો ઇનકાર કરી દીધો, પરંતુ કહે છે કે આમિર ખાને સંજય દત્તને સજા અંગે સહાનુભૂતિ વ્યક્ત કરી.
નોંધનીય છે કે સંજય દત્ત આમિર ખાનની ફિલ્મ પીકેમાં પણ કામ કરી રહ્યાં છે. કહે છે કે આ મુલાકાત દરમિયાન આમિર ખાને પીકેના શૂટિંગ અંગે પણ સંજય દત્ત સાથે ચર્ચા કરી.
જુઓ આમિર ખાન-કિરણ રાવની સંજય દત્ત સાથેની મુલાકાતનું વીડિયો.