લતા-ભૂપેન એક-બીજાના પ્રેમમાં હતાં : પ્રિયમ્વદા પટેલ
મુંબઈ, 5 નવેમ્બર : ભારતની સ્વરકોકિલા લતા મંગેશકરના સુર જેટલાં સુંદર છે, તેટલું જ રહસ્યમય તેમનું જીવન છે. એકાંકી જીવન જીવતાં લતા અંગે સ્વર્ગીય ગાયક ભૂપેન હઝારિકાનાં પત્ની પ્રિયમ્વદા પટેલે ખુલાસો કર્યો છે કે લતા અને ભૂપને એક-બીજાનાં પ્રેમમાં હતાં અને એટલે જ ભૂપેન સાથે તેમના છુટાછેડાં થયા હતાં. આસામાની એક સ્થાનિક ચૅનલને આપેલા ઇન્ટરવ્યૂમાં પ્રિયમ્વદાએ લતા અને ભૂપેનના સબંધો તૂટવાના કારણ અંગે પણ ખુલાસો કર્યો છે. તેમણે આ વાત પોતાની આત્મકથા મોઈ એતી જજાબારમાં પણ લખી છે.
જોકે આ વાતમાં કેટલું તથ્ય છે, તે અંગે તો હાલ કઈં જાણવા મળ્યું નથી, પરંતુ આસામિયા ગાયક સ્વર્ગીય ભૂપેન હઝારિકાના જીવનના પાના દરેક અંકમાં નવી કહાણી કહે છે. પત્ની અને પોતાના પરિવારથી અલગ થયા બાદ ભૂપેન છેલ્લા શ્વાસ સુધી નિર્માતા-દિગ્દર્શક કલ્પના લાજિમી સાથે રહ્યાં. ભૂપેન અને કલ્પના પરિણીત છે કે નહિં, એ વાતને કોઈ અધિકૃત સમર્થન ક્યારેય નથી મળ્યું.
ભૂપેન અને લાજિમીની ઉંમરમાં 28 વરસનો અંતર હતો. ભૂપેને પોતાની ફિલ્મ અને ટેલીવિઝન કંપનીઓ, બૅંક ખાતાઓ તેમજ અંગત કંપની ખાતાઓ, રોકાણ, રોકડ રકમ, સોનાના દાગીનાઓ તેમજ ભારત અને દુનિયા ભરમાં ફેલાયેલી પોતાની મિલ્કત તમામ મોત બાદ કલ્પના લાજિમીના નામે લખી આપી હતી. આ અંગે પણ તેમના પરિવારમાં મોટો વિવાદ સર્જાયો હતો.
નોંધનીય છે કે ગત વર્ષ 5મી નવેમ્બરના રોજ આસામ સમ્રાટ તેમજ સંગીતના પુરોધા ભૂપેન હઝારિકાનું નિધન થયુ હતું. દાદા સાહેબ ફાળકે પુરસ્કાર, પદ્મ ભૂષણ તેમજ સંગીત-નાટક અકાદમી રત્ન પુરસ્કારથી સન્માનિત ભૂપેન હઝારિકા સાહેબે અનેક ફિલ્મો તથા ભાષાઓમાં પોતાનું અનુપમ સંગીત આપ્યુ હતું. ફિલ્મ રુદાલીના સંગીતને આજે પણ લોકો યાદ કરે છે.
મિસિસ હઝારિકાના આ ખુલાસા પર લતાજી મૌન છે. જોઇએ કે લતાજી આ અંગે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહિં, કારણ કે સામાન્ય રીતે લતાજી લોકોની આવી વાતો અંગે કોઈ પ્રતિક્રિયા આપતાં નથી, પરંતુ લોકો આ વાત જાણવા કાયમ આતુર રહે છે કે ંસગીતના આ દેવીએ આખરે બધું હોવા છતાં લગ્ન કેમ ના કર્યાં?