ઉત્તરાખંડ પીડિતોની વહારે આવશે બૉલીવુડ
મુંબઈ, 17 જુલાઈ : ફિલ્મ એન્ડ ટેલીવિઝન પ્રોડ્યુસર્સ ગિલ્ડ ઑફ ઇન્ડિયાના પ્રમુખ તેમજ નિર્માતા મુકેશ ભટ્ટે જણાવ્યું કે ઉત્તરાખંડ પીડિતો માટે આ સંસ્થા બે અન્ય સંસ્થાઓ સાથે મળી સ્વાતંત્ર્ય દિવસે એક કાર્યક્રમનું આયોજન કરશે.
મુકેશ ભટ્ટે સોમવારે સાઉથ આફ્રીકા ઇન્ડિયા ફિલ્મ એન્ડ ટેલીવિઝન ઍવૉર્ડ્સ (એસએઆઈએફટીએ)ની પ્રેસ કૉન્ફરંસ દરમિયાન આ માહિતી આપી. મુકેશ ભટ્ટ કે જેઓ બૉલીવુડના જાણીતા નિર્માતા-દિગ્દર્શક છે, તેમણે જણાવ્યું- ઉત્તરાખંડ માટે ફિલ્મ નિર્માતાઓની સંસ્થા, સ્ટાર પ્લાસ તથા ફિલ્મ વર્કર્સ ફેડરેશન ઑફ ઇન્ડિયા સ્વાતંત્ર્ય દિવસ પ્રસંગે 15મી ઑગસ્ટના રોજ એક કાર્યક્રમનું આયોજન કરશે.
ભટ્ટે જણાવ્યું - આ કાર્યક્રમ દ્વારા અમે જે નાણાં એકઠા કરીશું, તે ઉત્તરાખંડ પીડિતોને દાન કરવામાં આવશે. ઉત્તરાખંડમાં ગત મહીને ભારે વરસાદ તથા પૂરના કારણે મોટી હોનારત સર્જાઈ હતી કે જેમાં સેકડો લોકોએ પોતાના જાન ગુમાવવા પડ્યા હતાં.