દિલીપ કુમારને PM મોદી અને રાહુલ સહિત નેતાઓએ આપી શ્રદ્ધાંજલિ, રાષ્ટ્રપતિએ કહ્યુ - દેશના દિલમાં હંમેશા રહેશે
દિલીપ કુમારના નિધન બાદ સિનેમા જગતમાં શોકની લહેર દોડી ગઈ છે. દેશના મોટા-મોટા નેતાઓ અને અભિનેતાઓ શોક સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે.
નવી દિલ્લીઃ હિંદી સિનેમાના દિગ્ગજ બૉલિવુડ અભિનેતા દિલીપ કુમાર હવે આપણી વચ્ચે નથી રહ્યા. 98 વર્ષની વયે આજે સવારે તેમણે દુનિયાને અલવિદા કહી દીધી. તેમના નિધન બાદ સિનેમા જગતમાં શોકની લહેર દોડી ગઈ છે. દેશના મોટા-મોટા નેતાઓ અને અભિનેતાઓ શોક સંવેદનાઓ વ્યક્ત કરી રહ્યા છે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી, સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહ, સરકારના મંત્રી, મુખ્યમંત્રીએ પોતાના ટ્વિટર અકાઉન્ટ પર તેમને શ્રદ્ધાંજલિ આપી છે.
'હિંદી સિનેમાના લીજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે'
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટ્વિટ કર્યુ, 'દિલીપજીના નિધન પર હું શોક વ્યક્ત કરુ છુ. તેમનુ જવુ આપણી સાંસ્કૃતિક દુનિયા માટે મોટી ખોટ છે. તેમની અદ્વિતીય પ્રતિભાના આશીર્વાદ મળ્યા હતા જેના કારણે પેઢીઓ સુધી દર્શકો મંત્રમુગ્ધ હતા. તેમને સિનેમાના એક લીજેન્ડ તરીકે યાદ કરવામાં આવશે. તેમના પરિવાર, દોસ્તો અને અસંખ્ય પ્રશંસકો પ્રત્યે મારી ઉંડી સંવેદનાઓ.' વળી, રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદે કહ્યુ, 'દિલીપ સાહેબે પોતાનામાં ઉભરતા ભારતના ઈતિહાસને સંક્ષેપમાં રજૂ કર્યો. તેઓ દેશના દિલમાં હંમેશા રહેશે.'
'એક ઉત્કૃષ્ટ અભિનેતા હતા દિલીપ કુમારજી'
સંરક્ષણ મંત્રી રાજનાથ સિંહે ટ્વિટ કર્યુ, 'દિલીપ કુમારજી એક ઉત્કૃષ્ટ અભિનેતા હતા જેમની ભારતીય ફિલ્મ જગતમાં તેમના અનુકરણીય યોગદાન માટે સહુએ ખૂબ પ્રશંસા કરી. ગંગા-જમુના જેવી ફિલ્મોમાં તેમના અભિનયે લાખો સિનેમાપ્રેમીઓનુ દિલ જીત્યુ. હવે તેઓ નથી રહ્યા, મને તેમના નિધનથી ખૂબ દુઃખ થયુ છે.' વળી, રાજનાથે કહ્યુ, 'હું દિલીપજીને વ્યક્તિગત રીતે ત્યારે મળ્યો હતો જ્યારે હું તેમને પદ્મ વિભૂષણ આપવા માટે મુંબઈ ગયો હતો. એ મહાન અભિનેતા સાથે વાતચીત કરવી મારા માટે એક વિશેષ પળ હતી. તેમનુ નિધન ભારતીય સિનેમા માટે અપૂરણીય ખોટ છે. તેમના પરિવાર, દોસ્તો અને પ્રશંસકો પ્રત્યે મારી સંવેદનાઓ.'
રાહુલ ગાંધીએ કહ્યુ - તમને નહિ ભૂલી શકીએ
સૌથી જૂની રાજકીય પાર્ટી કોંગ્રેસના પૂર્વ રાષ્ટ્રીય અધ્યક્ષ રાહુલ ગાંધીએ દિલીપ કુમાર પ્રત્યે સંવેદનાઓ વ્યક્ત કરી. રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ - 'દિલીપ કુમારજીના પરિવાર, દોસ્તો અને પ્રશંસકો પ્રત્યે મારી હાર્દિક સંવેદનાઓ. ભારતીય સિનેમામાં તેમના અસાધારણ યોગદાનને આવનારી પેઢીઓ સુધી યાદ રાખવામાં આવશે.' વળી, કેન્દ્ર સરકારના મંત્રી મુખ્તાર અબ્બાસ નક્વીએ લખ્યુ - 'આજે દેશે એક મહાન અભિનેતા અને એક મહાન વ્યક્તિત્વ અને માનવીને ગુમાવી દીધા છે. તેમના પરિવાર અને દિલીપ કુમાર સાહેબના શુભચિંતકો પ્રત્યે મારી ગાઢ સંવેદનાઓ. રેસ્ટ ઈન પીસ!'