દિલ્હી હાઈકોર્ટમાં વિવેક અગ્નિહોત્રીને માંગવી પડી માફી, જાણો શું છે સમગ્ર ઘટના?
થોડા મહિનાઓ પહેલા રિલિઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીરી ફાઈલ્સ ઘણી ચર્ચામાં રહી હતી. ધ કાશ્મીરી ફાઈલ્સના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ હિંસા કેસના આરોપી ગૌતમ નવલખાને જામીન આપવા બદલ દિલ્હી હાઈકોર્ટની ટીકા કરી હતી.
થોડા મહિનાઓ પહેલા રિલિઝ થયેલી ફિલ્મ ધ કાશ્મીરી ફાઈલ્સ ઘણી ચર્ચામાં રહી હતી. ધ કાશ્મીરી ફાઈલ્સના નિર્માતા વિવેક અગ્નિહોત્રીએ ભીમા કોરેગાંવ હિંસા કેસના આરોપી ગૌતમ નવલખાને જામીન આપવા બદલ દિલ્હી હાઈકોર્ટની ટીકા કરી હતી. જે કારણે વિવેકે મંગળવારના રોજ આ નિવેદન પર દિલ્હી હાઈકોર્ટમાં બિનશરતી માફી માંગી છે. જોકે, તેમ છતાં કોર્ટ દ્વારા તેને હાજર થવા માટેનો આદેશ કરવામાં આવ્યો છે.
આ કારણે માંગવી પડી માફી
વાસ્તવમાં આ ઘટના આરોપી ગૌતમ નવલખા સાથે સંબંધિત છે. કોર્ટે આરોપીના જામીન મંજૂર કર્યા હતા. જે બાદ વિવેક અગ્નિહોત્રીએ જસ્ટિસ મુરલીધર પર પક્ષપાતી હોવાનો આરોપ લગાવ્યો હતો. જે કારણે દિલ્હી હાઈકોર્ટ દ્વારા આ અંગે ધ્યાનમાં લેતા વર્ષ 2018માં વિવેક અગ્નિહોત્રી અને આનંદ રંગનાથન વિરુદ્ધ કોર્ટની અવમાનનાની કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી.
કોર્ટનું કહેવું છે કે, વિવેક અગ્નિહોત્રીએ કોર્ટના નિર્ણયનું અપમાન કર્યું છે, તેથી તેમણે કોર્ટમાં હાજર રહેવું પડશે. જો તેને આ મામલે દિલગીરી વ્યક્ત કરવી હોય તો તે કોર્ટમાં આવીને જ કરી શકે છે.
આ દિવસે કોર્ટમાં હાજર થશે
વિવેક અગ્નિહોત્રી દ્વારા ન્યાયાધીશ સામેનું પોતાનું નિવેદન પાછું ખેંચવા અને માફી માંગવા માટે એક એફિડેવિટ દાખલ કરવામાં આવી હતી. જોકે, હાઈકોર્ટે ફિલ્મ નિર્માતાને સુનાવણી માટે કોર્ટમાં વ્યક્તિગત રીતે હાજર રહેવા જણાવ્યું છે. કોર્ટે વિવેક અગ્નિહોત્રીને 16 માર્ચના રોજ હાજર થવા જણાવ્યું છે.