સુશાંતની આત્મહત્યા પર મુકેશ ભટ્ટનું મોટું નિવેદન, બોલ્યા- પરવીન બાબીના રસ્તે ચાલી રહ્યો હતો
સુશાંતની આત્મહત્યા પર મુકેશ ભટ્ટનું મોટું નિવેદન, બોલ્યા- પરવીન બાબીના રસ્તે ચાલી રહ્યો હતો
નવી દિલ્હીઃ કોરોના સંકટ વચ્ચે બૉલીવુડ પર એક બાદ એક દુખોનો પહાડ તૂટી રહ્યો છે, પહેલા ઇરફાન ખાન, ઋષિ કપૂર અને હવે સુશાંત સિંહ રાજપૂતના મોતે ઈન્ડસ્ટ્રીને ધ્રૂજાવી મૂકી છે. જેવી રીતે સુશાંત સિંહ રાજપૂતે પોતાના ફ્લેટ પર ફાંસી લગાવીને આપઘાત કરી લીધો, તેના પર વિશ્વાસ કરવો સહેલો નથી. પરંતુ ફિલ્મ નિર્માતા મુકેશ ભટ્ટે તેમની આત્મહત્યા પર મોટું નિવેદન આપ્યું છે. તેમણે કહ્યું કે આ ઘટનાથી હું આશ્ચર્યચકિત નથી કેમ કે મને પહેલેથી જ આ વાતનો અંદેશો હતો અને આ બાબતે મેં મારા ભાઇ મહેશ ભટ્ટ સાથે પણ વાત કરી હતી.
હું ચકિત નથી
મુકેશ ભટ્ટે એક ન્યૂજ ચેનલ સાથે વાત કરતા કહ્યું કે સુશાંત સિંહ રાજપૂત એક સારા કલાકાર હતા, પરંતુ તેમની આત્મહત્યાના સમાચારથી હું ચકિત નથી, મને પહેલેથી જ આ બાબતનો અંદાજો થઇ ગયો હતો. અમે આશિકી 2 ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા એવા સમયે પહેલીવાર મારી સુશાંત સાથે મુલાકાત થઇ હતી, તે સમયે સુશાંત મારી પાસે આવ્યો હતો અને તેણે ફિલ્મમાં કામ કરવાની ઇચ્છા વ્યક્ત કરી હતી, પરંતુ તે સમયે મામલો જામ્યો નહ, તારીખની સમસ્યાને કારણે અમે સાથે કામ ના કરી શક્યા.
સુશાંતમાં બધું ઠીક નહોતું
સુશાંત વિશે વાત કરતાં મુકેશ ભટ્ટે કહ્યું કે જ્યારે અમે સડક 2 ફિલ્મની તૈયારી કરી રહ્યા હતા તે સમયે બીજી વખત સુશાંત સાથે મારી મુલાકાત થઇ, પરંતુ તે વખતે તેના હાવભાવ, તેની વાત કરવાની રીત વગેરેથી મને અંદાજો આવી ગયો હતો કે આ છોકરામાં બધું જ ઠીક નથી, આને કંઇક સમસ્યા છે. એ સમયે મેં ખુદ સુશાંતને પૂછ્યું હતું કે તું ઠીક છો? તેણે કહ્યું હતું કે હા હું ઠીક છું, તેણે મારી સાથે પોતાના પરિવાર અને બધી વાતોનો ઉલ્લેખ કર્યો હતો.
પરવીન બાબીના રસ્તે ચાલી રહ્યો હતો સુશાંત
મુકેશ ભટ્ટે જણાવ્યું કે મેં સુશાંત વિશે મારા ભાઇ મહેશ ભટ્ટને પણ જણાવ્યું હતું કે આ છોકરામાં બધું જ ઠીક નથી, આ પરવીન બાબીના રસ્તે ચાલી રહ્યો છે. અમે એના વિશે વાત કરી હતી કે આ અમારી સાથે કામ કરવા માંગે છે પરંતુ તે સમયે પણ વાત ના બની. પરંતુ હું એટલું કહેવા માંગીશ કે તેને મળ્યા બાદ મને બધું જ ઠીક નહોતું લાગ્યું. તે એક સારો એક્ટર હતો, આવી રીતે તેમનું જવું દુખદ છે. સાથે જ મુકેશ ભટ્ટે કહ્યું કે હું સુશાંતની બહુ નજીક નહોતો, એની સાથે મારી માત્ર બે વાર જ મુલાકાત થઇ હતી, મેં તેના વિશે માહિતી મેળવી હતી, મને જાણવા મળ્યું હતું કે તે મનોવૈજ્ઞાનિકની સલાહ લઇ રહ્યો છે અને તેનો ઇલાજ ચાલી રહ્યો છે.